કલાપી

ગુજરાતી કવિ અને લાઠી, ભારતના રાજા

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૨૬ જાન્યુઆરી ૧૮૭૪- ૯ જૂન ૧૯૦૦) જેઓ કલાપી ઉપનામથી પ્રખ્યાત છે, ગુજરાતી કવિ અને લાઠીના રાજવી હતા.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
જન્મસુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૨૬મી જાન્યુઆરી ૧૮૭૪
લાઠી
મૃત્યુ૯મી જૂન ૧૯૦૦
લાઠી
વ્યવસાયલાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળો૧૮૯૨-૧૯૦૦
નોંધપાત્ર સર્જનોકલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહિલ (દીર્ઘકાવ્ય), કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર,હ્રદયત્રીપૂટી
સહી

જીવન ફેરફાર કરો

રાજબા ઉર્ફે રમા
કેસરબા ઉર્ફે આનંદીબા
મોંઘી ઉર્ફે શોભના

તેમનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી.

દરમિયાન ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું.

રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો[૧] ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું.

ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું. એવું મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપી ને ઝેર આપવામાં આવ્યું હતું.[૨][૩]

ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.

સર્જન ફેરફાર કરો

 
કલાપીએ મોંઘી (શોભના)ને લખેલો પત્ર.

૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે ૧૮૯૭-૯૮માં સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.

વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નીપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને ઊર્મિવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરલતા તથા ગદ્યાળુતા જણાય છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શકાઈ નથી; પણ હૃદયંગમ ચિંતનશીલતા અને ઋજુ સંવેદનનું માધુર્યુભર્યું નિરૂપણ એમની કવિતાને હૃદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં એમની કવિતામાં પ્રૌઢિ જણાય છે. ‘કલાપીનો કેકારવ’ની ૧૯૩૧ ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર સર્ગના ‘હમીરજી ગોહિલ’ના ત્રણ સર્ગોને ૧૯૧૨ માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. સ્કૉટના ‘લેડી ઑવ ધ લેઈક’ ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલી બે હજાર ઉપરાંત પંક્તિઓની આ ઇતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની કચાશો અને નિરૂપણની દીર્ઘસૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દ્રષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.

કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌંદર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણનો તથા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જયાં અંગ્રેજી-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડયો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે.

પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. ‘સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતનક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે.

સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો ‘કલાપીના ૧૪૪ પત્રો’ (સં. મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’ (સં. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદ્ધૃત અને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રોમાં કલાપીનું નિર્દંભ, નિખાલસ અને ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના અને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે.

સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. ‘રીથ એન્ડ ધ કિંગ’ નું ‘કાન્તનો દિનચર્યાલેખ’ નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર કાન્તે ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા’ નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા ‘ચાર્લ્સ રોબિન્સન’ નું ‘એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ’ નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩ માં રમણીક મહેતાએ ‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે.

કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતાં નથી.

કલાપીનો કેકારવ ફેરફાર કરો

કલાપીની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ છે. કલાપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તે હાથે એનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧ માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી (‘સાગર’) એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.

કલાપીનું સંવેદનતંત્ર સદ્યગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મ ચિંતનના અનેક ગ્રંથોના વાચન--પરિશીલનના સંસ્કારો આ કવિતાના વિષયો ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. ‘કેકારવ’ની પ્રકૃતિવિષયક કવિતા પર અને કલાપીની રંગદર્શી કાવ્યરીતિ પર વર્ડઝવર્થ, શેલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ કવિઓના તેમ જ ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ‘કેકારવ’માં છે. ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘શૃંગારશતક’ જેવી સંસ્કૃત કૃતિઓની અસર પણ ‘કેકારવ’ની કવિતા પર ઝિલાયેલી છે. સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયનો ને લાવણીઓની અસર છે ને તે પછી નરસિંહરાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત આદિની કવિતાની અસરો વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરુપણમાં એનો પોતાનો અવાજ રણકે છે.

‘કેકારવ’માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છેઃ ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલતાને બોલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યો વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ કેટલીક કચાશોવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની-એનાં મસ્તી ને દર્દેદિલીની-દ્રષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (ઈશ્કે મિજાજી) ગઝલો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઈશ્કે હકીકી) ગઝલો કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપની યાદી’ એનું નોંધપાત્ર દ્રષ્ટાંત છે. કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણથી, મનોરમ દ્રશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી ને ખાસ તો પ્રાસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણું સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ’ એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પંક્તિઓનું, ચાર સર્ગે અધૂરું રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઇતિહાસવિષયક કથાકાવ્ય છે.

વિષયનિરુપણની બાબતમાં ‘કેકારવ’માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લા આઠેક વર્ષના અંગત પ્રેમજીવનનો જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવોકિતભર્યા ઈન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની સૌંદર્યદ્રષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. અંગત જીવનના સગાવેગો શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કારો જાગ્રત થવાથી ને સ્વીડનબોર્ગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખોજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે.

‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્બોધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બદ્ધ- વૃત્તોમાં કાવ્યરચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે તથા ઊર્મિ-ઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિંતને આ કવિતાને હૃદયસ્પર્શી ને લોકપ્રિય બનાવી છે. એટલે ક્યાંક કાવ્યભાવનાની મુખરતામાં તો ક્યારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં ને કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે.

સન્માન ફેરફાર કરો

 
લાઠી ખાતેનું કલાપી-તીર્થ સંગ્રહાલય
  • રાજવી કવિ કલાપી - જીવનચરિત્ર.
  • કલાપી પુરસ્કાર - આઈ.એન.ટી. તરફથી ગઝલ પુરસ્કાર.
  • કલાપી ‍(૧૯૬૬)નું ગુજરાતી ચલચિત્ર - જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી.[૪]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Joseph T. Shipley, સંપાદક (1946). Encyclopedia of Literature. New York: Philosophical Library. પૃષ્ઠ 514. મૂળ માંથી 2020-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-21Questia વડે.
  2. Amaresh Datta (1988). Encyclopaedia of Indian Literature. 2. Sahitya Akademi. પૃષ્ઠ 1436. ISBN 978-81-260-1194-0.
  3. "Kavi Kalapi's birth anniversary celebrated". The Times of India. Jan 27, 2011. મેળવેલ July 1, 2014.
  4. K. Moti Gokulsing; Wimal Dissanayake (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ 94. ISBN 978-1-136-77284-9. મેળવેલ 21 April 2017.

બાહ્ય કડીઓ ફેરફાર કરો