બ્રાહ્મણ વિદ્વાન અને તાલગુંડાના (હાલનો શિમોગા જિલ્લો)ના વતની મયુરાશર્મા (કન્નડ: ಮಯೂರಶರ್ಮ) (અથવા મયુરાશર્મન, મયુરવર્મા) (ઇ.સ. 345 - 365) બનવાસીના કદંબ સામ્રાજ્યના સ્થાપક હતાં. ભારતના કર્ણાટક રાજ્ય પર સૌથી પહેલાં રાજ કરનારા લોકો કદંબ સામ્રાજ્યના જ હતાં.[૧][૨] તેમણે બ્રાહ્મણમાંથી ક્ષત્રિય બની ગયા છે તે દર્શાવવા માટે મયુરવર્મા નામ ધારણ કર્યું હતું. કદંબોના ઉદય પહેલાં, આ ભૂમિ પર રાજ કરનારા લોકોના સત્તાના કેન્દ્રો કર્ણાટક પ્રદેશની બહાર સ્થિત હતાં; આમ માતૃભૂમિની ભાષા એવી કન્નડને મુખ્ય ભાષા બનાવીને સ્વતંત્ર ભૂ-રાજકીય અસ્તિત્વ તરીકે કદંબોની સત્તા સુધી પહોંચવાની ઘટના, આધુનિક કર્ણાટકના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણી શકાય. જેમાં મયુરાશર્મા મહત્વના ઐતિહાસિક પાત્ર ગણાશે. કન્નડ ભાષામાં સૌથી જૂનાં શિલાલેખો બનવાસીના કદંબોએ જ તૈયાર કર્યા હોવાનું મનાય છે.[૩]

પ્રારંભિક જીવન ફેરફાર કરો

 
તાલગુંડા સ્તંભનો શિલાલેખ મયુરાશર્માના જીવનમાં ડોકિયું કરવાની તક પૂરી પાડે છે

કદંબ કુટુંબના વંશનું વર્ણન કરતી કેટલીક દંતકથાઓ અને વાર્તાઓ છે. એક દંતકથામાં દર્શાવ્યા પ્રમાણે આ કુટુંબ ત્રણ-આંખ અને ચાર-હાથ ધરાવતાં ત્રિલોચન કદંબ માંથી ઉદ્ભવ્યું છે. શિવના કપાળ પરથી પરસેવાનાં ટીપાં કદંબ વૃક્ષના મૂળ પર પડતાં ત્રિલોચન કદંબને જીવન મળ્યું હતું. અન્ય દંતકથા પ્રમાણે મયુરાશર્માનો જન્મ રુદ્ર (શિવનું એક સ્વરૂપ) અને પૃથ્વી માતા થકી કદંબ ના શુકનિયાળ વૃક્ષ નીચે થયો હતો અને જન્મ વખતે તેમના કપાળ પર ત્રીજું નેત્ર પણ હતું. તો એક બીજી વાર્તા એવું કહે છે કે એક જૈન તીર્થંકરની બહેને કદંબ વૃક્ષ નીચે મયુરાશર્માને જન્મ આપ્યો હતો. આ તમામ દંતકથાઓ તેમના સામ્રાજ્યના સ્થાપકને દેવ જેવા ગણવા માટે ઉપસાવી હોય તેમ જણાય છે.[૪]

મયુરાશર્માના કુટુંબ અને તેમના સામ્રાજ્યની ઉત્પત્તિ વિશે જાણવા માટે 450નો તાલગુંડા શિલાલેખ સૌથી વિશ્વસનીય માહિતી સ્ત્રોત માનવામાં આવે છે. આ શિલાલેખમાં કોઇ દંતકથાઓ નથી, જેથી તે કદંબ રાજાઓના ક્રમનું વાસ્તવદર્શી અને સાચું ચિત્ર રજૂ કરે છે.[૫] શિલાલેખ મુજબ, મયુરાશર્મા વૈદિક બ્રાહ્મણ વિદ્વાન હતાં અને તાલગુંડાના વતની હતાં. તેઓ બંધુસેનાના પુત્ર, ગુરૂ (શિક્ષક) વીરશર્માના પૌત્ર અને તાલગુંડાનાં અગ્રહારા (ભણવાનું સ્થળ)ના વિદ્યાર્થી હતાં.[૧][૨][૬] શિલાલેખ એ વાતનું સમર્થન કરે છે કે આ કુટુંબનું નામ કદંબ વૃક્ષ પરથી જ પડ્યું છે જે તેમના ઘર નજીક મોટું થયું હતું. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેઓ કનારીસ દ્રવિડિયન કુટુંબના હતાં જેઓ પાછળથી બ્રાહ્મણ સમુદાયમાં જોડાયા હતાં. કારણ કે મધ્ય યુગમાં તે બ્રાહ્મણ સમુદાય લોકપ્રિય હતો.[૭] ગુદ્નાપુરનો શિલાલેખ મયુરાશર્માના વંશવેલાની અને તેમણે ક્ષત્રિય ધર્મ અપનાવ્યો તેની વિગતો પણ આપે છે.[૧]

સામ્રાજ્યનો ઉદ્ભવ ફેરફાર કરો

તાલગુંડાના શિલાલેખ મુજબ, મયુરાશર્મા તેમના ગુરુ અને દાદા વીરાશર્માની સાથે વૈદિક અભ્યાસ માટે પલ્લવોના પાટનગર કાંચી ગયા હતાં. તે સમયે કાંચી મહત્વનું ઘટિકાસ્થાન (અભ્યાસનું કેન્દ્ર) હતું. ત્યાં પલ્લવોના સૈનિક (ઘોડેસવાર) દ્વારા અપમાનિત થતાં મયુરાશર્માએ બ્રાહ્મણોનો અભ્યાસ પડતો મૂક્યો અને તેમના અપમાનનો બદલો લેવા માટે હથિયાર ધારણ કર્યા.[૮] સમગ્ર ઘટનાને શિલાલેખ આ રીતે સ્પષ્ટ વર્ણવે છે:

That the hand dextrous in grasping the kusha grass, fuel and stones, ladle, melted butter and the oblation vessel, unsheathed a flaming sword, eager to conquer the earth[૯][૧૦]

એવું કહી શકાય કે તાલગુંડા વિસ્તારમાં પલ્લવોના શાસનની સામે મયુરાશર્માનો ઉદય હકીકતમાં કાંચીના પલ્લવ ક્ષત્રિયોના વર્ચસ્વ વિરૂદ્ધ બ્રાહ્મણોનો સફળ બળવો હતો. આમ ન્યાય મેળવવા માટેના રોષના ભાગરૂપે અત્યારના કર્ણાટક વિસ્તારમાં પ્રથમ વખત ત્યાંના મૂળ વતનીઓ દ્વારા સામ્રાજ્ય સ્થપાયું.[૬] જોકે અન્ય વિદ્વાનો એવું માને છે કે મયુરાશર્માનો બળવો પલ્લવ વિષ્ણુગોપના પરાજય સાથે બંધબેસતો હતો. આ પરાજય ઉત્તર ભારતના સમુદ્રગુપ્ત દ્વારા દક્ષિણથી થયેલા આક્રમણથી થયો હતો.[૧૧] મયુરાશર્મા પલ્લવોના અંતરપલાસો (સૈનિકો)ને હરાવીને અને કોલારના બનસને વશ કરીને શરૂઆતમાં શ્રીપર્વતના જંગલો (મોટેભાગે હાલના આંધ્ર પ્રદેશનું શ્રીસૈલમ)માં રહ્યાં. સ્કંદવર્મનની આગેવાની હેઠળ પલ્લવો મયુરાશર્માને કાબુ કરી શકે તેમ ન હતાં અને તેથી તેમણે મયુરાશર્માને અમારા સમુદ્ર (પશ્ચિમ સમુદ્ર)થી પ્રેહારા (મલાપ્રભા નદી) સુધીના વિસ્તારમાં સર્વોપરિ તરીકે સ્વીકાર્યા.[૧૨] કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે મયુરાશર્માને શરૂઆતમાં પલ્લવોની સેનામાં સેનાપતિ (દંડનાયક ) તરીકે નીમવામાં આવ્યા હતાં, કારણ કે શિલાલેખમાં સેનાની જેવા શબ્દોનો ઉપયોગ થયો છે અને મયુરાશર્માને શદાનન (યુદ્ધના છમુખી ભગવાન) કહેવામાં આવ્યા છે. જોકે, અમુક સમયગાળા પછી, સમુદ્રગુપ્તના હાથે પલ્લવ વિષ્ણુગોપની હારથી ઊભી થયેલી ગેરસમજમાં પોતે સપડાતાં (અલ્લાહાબાદ શિલાલેખમાં દર્શાવ્યા મુજબ), મયુરાશર્માએ બનવાસી (તાલગુંડા પાસે)ને પાટનગર બનાવીને પોતાનું નવું સામ્રાજ્ય સ્થાપ્યું.[૧૩] એ વાત પણ જાણીતી છે કે, અન્ય લડાઇઓમાં મયુરાશર્માએ ત્રાઇકુટો, અભિરાસ, સેન્દ્રકા, પલ્લવો, પરિયાત્રકો, શકસ્થાનો, મૌખારીઓ અને પુન્નતોને હરાવ્યા હતાં.[૧૪] મયુરાશર્માએ પોતાના વિજયોની ઊજવણી કરવા માટે કેટલાય ઘોડાની બલીઓ આપી અને તાલગુંડાના બ્રાહ્મણોને 144 ગામ (બ્રહ્મદેયાસ તરીકે ઓળખાતાં) ફાળવી આપ્યાં.[૧૫] પ્રાચીન બ્રાહ્મણ શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નના ભાગરૂપે અને રાજાશાહી કર્મકાંડો કરવા તેમજ આનુભાવિક સરકારના સંબધિત કાર્યો કરવા માટે, મયુરાશર્માએ ઉત્તર ભારતના અહિચ્છાત્રમાંથી અનેક વિદ્વાન વૈદિક બ્રાહ્મણોને બોલાવ્યા હતાં. હવ્યક બ્રાહ્મણો, કેરાલાના નામ્પુથિરિઓ અને નાયરો (નાગવંશી ક્ષત્રિયો)ના કેટલાક જૂથો દાવો કરે છે કે તેઓ ચોથી સદીમાં સ્થાયી થયેલા આ બ્રાહ્મણોના વંશજો છે.[૧૬]

લોકપ્રિય માધ્યમોમાં ફેરફાર કરો

કન્નડમાં ડૉ.રાજકુમાર અભિનિત અત્યંત લોકપ્રિય ચલચિત્ર "મયુરા" મયુરાશર્માના જીવનને દર્શાવે છે.

નોંધ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ કામથ (2001), પેજ30
  2. ૨.૦ ૨.૧ મોરાઇસ (1931), pp9-10
  3. રમેશ (1984), p2, pp10-11
  4. મોરાઇસ (1931), pp7-8
  5. રાઇસ ઇન મોરાઇસ (1931), p15
  6. ૬.૦ ૬.૧ રમેશ (1984), p3
  7. કદંબોના પૂર્વજો મૂળ ઉત્તરના હતાં અથવા તેમણે દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું હતું તેને સાબિત કરવા માટે કોઇ જ મજબૂત ઐતિહાસિક આધારો કે શિલાલેખીય પુરાવા નથી. (મોરાઇસ, 1931, p17)
  8. રમેશ (1984), p6
  9. Kamath (2001), p31
  10. Moraes (1931), p15
  11. જ્યોર્જ મોરાઇસ, નિલકંઠ શાસ્ત્રી ઇન કામથ (2001), p31
  12. તાલગુંડા શિલાલેખને ઉકેલનાર પ્રોફેસર કીલહોર્નના મતે, તેમના સામ્રાજ્યની હદ પ્રેમારા અથવા મધ્ય ભારતનાં પ્રાચીન માલવા સુધી હોઇ શકે છે (મોરાઇસ 1931, p16)
  13. મોરાઇસ (1931), p16
  14. મયુરાશર્માના ચંદ્રવલ્લી શિલાલેખ પરથી(કામથ 2001, p31)
  15. મયુરાશર્માના પ્ર-પૌત્ર, કાકુષ્ટવર્માનાં હાલસી તામ્રપત્ર પરથી (મોરાઇસ 1931, p17)
  16. Kamat, Jyotsna Dr. "Havyaka Brahmins". Kamat's Potpourri. મેળવેલ 2007-03-06.

સંદર્ભો ફેરફાર કરો

  • જ્યોર્જ એમ.મોરાઇસ (1931), ધ કદંબ કુલ, અ હિસ્ટરી ઓફ એન્સિયન્ટ એન્ડ મીડિવલ કર્ણાટક, એશિયન એજ્યુકેશનલ સર્વિસીસ, ન્યૂ દિલ્હી, મદ્રાસ, 1990

ISBN 81-206-0595-0

  • ડો.સૂર્યનાથ યુ. કામત, અ કન્સાઇસ હિસ્ટરી ઓફ કર્ણાટક ફ્રોમ પ્રી-હિસ્ટોરિક ટાઇમ્સ ટુ ધ પ્રેઝન્ટ, જ્યુપિટર બુક્સ, એમસીસી, બેંગલોર, 2001 (પુનઃમુદ્રિત 2002) ઓસીએલસી (OCLC: 7796041
  • કે.વી.રમેશ, ચાલુક્યા ઓફ વતાપી, 1984, અગમ કલા પ્રકાશન, દિલ્હી, ISBN 3987-10333

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

ઢાંચો:Karnataka topics