ભદ્રંભદ્ર (પાત્ર)

રમણભાઈ નીલકંઠ કૃત નવલકથા 'ભદ્રંભદ્ર'નું પાત્ર

ભદ્રંભદ્ર (મૂળ નામ: દોલતશંકર) એ રમણભાઈ નીલકંઠ કૃત 'ભદ્રંભદ્ર' નવલકથાનું મુખ્ય પાત્ર અને નાયક (narrator) છે.[૧]

પાત્ર અને લક્ષણો ફેરફાર કરો

રમણભાઈએ સર્વાન્તેના ડોન કિહોટે અને સાંકો પાંઝા પરથી ભદ્રભદ્ર અને અંબારામના પાત્રો સર્જવાની પ્રેરણા લીધી હતી.[૧] સનાતન પક્ષના હિમાયતી મણિલાલ દ્વિવેદી અને સંસ્કૃતમય ભાષાશૈલીના હિમાયતી મનસુખરામ ત્રિપાઠી વગેરે વિદ્વાનોની મજાક કરવા માટે રમણભાઈએ ભદ્રંભદ્રનું પાત્ર વિકસાવ્યું હતું. આથી આ પાત્રમાં સંરક્ષક પક્ષ (Revivalist)નાં સઘળા લક્ષણોનો અતિરેક બતાવવામાં આવ્યો છે.[૧][૨]

ભદ્રંભદ્રના પાત્રનાં કેટલાક લક્ષણો છે — આર્યધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની આંધળી આસ્થા, પ્રાચીન પરંપરાનું જડ અનુસરણ, શાસ્ત્રોને ઈશ્વરપ્રણિત માનીને શાસ્ત્રાધાર સિવાય અન્ય પ્રમાણોને માનવાનો ઈન્કાર છતાં સ્વ-અર્થે શાસ્ત્રમાંથી ઈષ્ટ અર્થ કાઢવાની વૃત્તિ, સમાજસુધારા અને અર્વાચીન-આધુનિક વલણોનો સંપૂર્ણ વિરોધ, આર્યધર્મનું મિથ્યાભિમાન, બ્રાહ્મણના ભોજનહક, શ્રેષ્ઠત્વ, કર્મકાંડ-અધિકાર, સુધારાના બાળલગ્ન, વિધવાલગ્ન, સ્ત્રીકેળવણી વગેરે વિશેના વિચારોનો વિરોધ એ આ પાત્રના સ્થાયી લક્ષણો છે.[૧]

આવકાર ફેરફાર કરો

ભદ્રંભદ્રના પાર વિશે આનંદશંકર ધ્રુવે કટાક્ષમાં કહ્યું હતું, 'જગતના સાહિત્યમાં આ ગ્રંથ એક અપૂર્વ ઉમેરો છે. એનો નાયક ત્રણ લોકમાં પણ મળવો કઠણ છે'. એ વિશે બહેચરભાઈ પટેલ નોંધે છે કે, 'આજે એ [આનંદશંકરના] શબ્દો કટાક્ષહીન વિધાન લાગે છે. ખરેખર ભદ્રંભદ્રનું પાત્ર અ-જોડ છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ પટેલ, બહેચરભાઈ; માસ્તર, ધર્મેન્દ્ર મ. (૧૯૯૬). નવલકથા: સ્વરૂપ અને વિકાસ ('ભદ્રંભદ્ર' અને 'અશ્રુઘર'ના સવિસ્તર અભ્યાસ સહિત) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૪૦–૧૪૧.CS1 maint: multiple names: authors list (link)
  2. Shukla, Sonal (1995). "Gujarati Cultural Revivalism". માં Patel, Sujata (સંપાદક). Bombay: Mosaic of Modern Culture. New Delhi: Oxford University Press. પૃષ્ઠ 93. ISBN 978-0-19-563689-5.