રામપ્રસાદ બક્ષી

ગુજરાતી લેખક

રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી (૨૭-૬-૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯) ગુજરાતી વિવેચક, સંપાદક, અનુવાદક હતા.

જીવન ફેરફાર કરો

જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫ થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭ થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૦-૬૪નો નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન.

સર્જન ફેરફાર કરો

પંડિતયુગનું પ્રતિબિંબ આપતી વ્યક્તિત્વમુદ્રાથી અંકિત આ લેખકની સંસ્કૃતસાહિત્યની સમજનો અંગ્રેજીસાહિત્યની સમજથી સંયોગ થયેલો જોવાય છે. બહુશ્રુતતાનો સ્પર્શ, અર્થઘટનની દ્યોતકતા, શાસ્ત્રીયતાનો અભિગમ, વિવરણપ્રધાન શૈલી વગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃતપરિપાટીએ તત્વચર્ચાને ઉપસાવે છે.

‘વાઙમયવિમર્શ’ (૧૯૬૩)માં સાહિત્ય તત્વની મીમાંસા કરતા લેખો છે. કાવ્યતત્વ, રસ અને અલંકાર તથા નાટ્યકલા એમ ત્રણેક વિભાગોમાં પથરાયેલા એમના લેખોના પ્રધાન સૂરમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રોનો સંસ્કાર છે. ‘નાટ્યરસ’ (૧૯૫૯) અને ‘કરુણરસ’ (૧૯૬૩)માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનોમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંતની ભૂમિકાની તત્વચર્ચાને સ્પષ્ટ કરતાં કરતાં પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનાં ધોરણો તુલનાત્મક પરિમાણરૂપે દાખલ કરાયેલાં છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ (૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્વમીમાંસા અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના એમના લેખોનો સંગ્રહ છે.

‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’ (૧૯૫૭), ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૯), ‘છોટુભાઈ કોરા જીવનજ્યોતિ’ (૧૯૫૯) કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે, ૧૯૬૨), ‘ગોકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ’ (૧૯૬૩), જયોતીન્દ્ર દવે ષષ્ઠિપૂર્તિ ગ્રંથ ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે ૧૯૬૪), ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૧), ગુલાબદાસ બ્રોકર ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘સંવાદ’ (અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમનાં સંપાદનો છે.

એમના અનુવાદોમાં ‘કથાસરિતા’ (૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’- ભા. ૧-૨ (૧૯૩૬, ૧૯૫૭), શીખ ધર્મસ્તો ‘સુખમની’ (૧૯૩૫) વગેરે મુખ્ય છે.

વાઙમયવિમર્શ (૧૯૬૩) : રામપ્રસાદ બક્ષીનો વિવેચનસંગ્રહ. આ ગ્રંથમાં બે લેખ સિવાય બાકીના લેખ સિદ્ધાંતચર્ચાના છે. બધા લેખો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગના અઢાર લેખો કાવ્યત્વચર્ચાના છે; એમાં કાવ્યપ્રયોજન, પ્રતિભા, અલંકાર, છંદ, પ્રાસ, રસ ઇત્યાદિ કાવ્યની સાથે સંકળાયેલાં તત્વોની ચર્ચા છે. બીજા વિભાગમાં રસ અને અલંકારની ચર્ચા કરતા લેખો છે. આ બંને વિભાગમાં રસ અને અલંકારની આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસ અને તેમની પ્રસ્તુતતાની લેખકે કરેલી ચર્ચા મહત્વની છે. ત્રીજા વિભાગના સત્તર લેખોમાંથી ચૌદ લેખો નાટક વિશે છે; એમાં નાટકનું પ્રાણભૂત તત્વ, નાટકના તાત્વિક પ્રકારો, રસ અને નાટ્ય, સાધારણીકરણ અને અભિનય, સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ ઇત્યાદિ વિશેની માર્મિક ચર્ચા છે. બીજા બે લેખોમાં ટૂંકીવાર્તાના સ્વરૂપની ચર્ચા છે. બીજા વિભાગનો ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ’ અને ત્રીજા વિભાગનો ‘હળવા નિબંધો’ એ બે લેખ ગુજરાતી સાહિત્યમાં તે તે સ્વરૂપના વિકાસને આલેખે છે.

સંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા અને મૌલિકતા આ લેખોની લાક્ષણિકતાઓ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો