Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૦:
અમદાવાદ મજૂર મહાજનનો નમૂનો આખા હિંદુસ્તાને અનુસરવા જેવો છે. શુધ્ધ અહિંસાના પાયા પર તેની યોજના થઈ છે. પોતાની આજ સુધીની કારકિર્દીમાં પાછા પડવાનો એકે પ્રસંગ તેને આવ્યો નથી. કશીયે હોહા કે ધાંધલ અથવા કશો દેખાવ કર્યા વિના તેની તાકાત ઉત્તરોત્તર વધતી ગઈ છે. તેની પોતાની ઇસ્પિતાલ, મિલમજૂરોનાં છોકરાંઓ માટેની નિશાળો, મોટી ઉંમરના મજૂરોને ભણાવવાના વર્ગો, તેનું પોતાનું છાપખાનું ને ખાદીભંડાર તે ચલાવે છે, ને મજૂરોને રહેવાને માટેના ઘરો તેણે બંધાવ્યા છે. અમદાવાદના લગભગ બધા મજૂરો મતપત્રકોમાં નોંધાયેલા છે અને ચૂંટ્ણીઓમાં અસરકારક ભાગ લે છે. મહાસભાની સ્થાનિક પ્રાંતિક સમિતિના કહેવાથી અમદાવાદના મજૂરોએ મતદારો તરીકે પોતાનાં નામો નોંધાવ્યાં હતાં. મહાજન કદી મહાસભાના પક્ષાપક્ષીના રાજકારણમાં સડોવાયેલું નથી. શહેરની સુધરાય નીતિ પર તે લોકોની અસર પડે છે. મહાજનને ફાળે સારી પેઠે સફળ નીવડેલી હડતાળો છે ને તે બધી પૂરેપૂરી અહિંસક હતી. અહીંના મજૂરે ને મિલમાલિકોએ પોતાનો સંબંધ મોટે ભાગે રાજીખુશીથી લવાદીને ધોરણે રાખ્યો છે. મારું ચાલે તો હું હિંદુસ્તાનભરની તમામ મજૂર સંસ્થાઓનું સંચાલન અમદાવાદના મહાજનને ધોરણે કરું. અખિલ હિંદ ટ્રેડ યુનિયન કૉંગ્રેસમાં માથું મારવાની મહાજને કદી ઇચ્છા રાખી નથી. ને તે કૉંગ્રેસની અસર તેણે પોતાના સંગઠન પર થવા દીધી નથી. અમદાવાદ મજૂર મહાજનની રીત ટ્રેડ યુનિયન કૉંગ્રેસ અખત્યાર
અમદાવાદનું મહાજન તેમાં સમાઈ જાય તેવો દિવસ ઊગે એવી મારી ઉમેદ છે. પણ મને તેની ઉતાવળ નથી. સમય પાકશે એટલે એ દિવસ એની મેળે આવશે.
 
૧૭. રક્તપિત્તના રોગીઓ
પતિયો એટલે કે રક્તપિત્તનો રોગી એ બદનામીનો શબ્દ છે. રક્તપિત્તના રોગીઓના ધામ તરીકે હિંદુસ્તાનનો નંબર મધ્ય આફ્રિકાથી બીજો આવે છે. પણ આપણામાંના સૌથી ચડિયાતા લોકોના જેવા જ આ રોગીઓ આપણા સમાજનું અંગ છે. પણ બને છે એવું કે ટોચે બેઠેલા લોકોને સૌથી ઓછી જરુર હોવા છતાં તેમના તરફ આપણા સૌનું ધ્યાન રોકાયેલું છે. અને આ રક્તપિત્તના રોગીઓ જેમની સંભાળ લેવાની સૌથી વધારે જરુર છે તેમને જાણી જોઈને તરછોડવામાં આવે છે. આ બેદરકારીને હૈયાસૂની કહેવાનું મને મન થાય છે અને અહિંસાની દ્રષ્ટિથી તો સાચે જ એને માટે બીજું વિશેષણ નથી. હિંદુસ્તાનમાં કાર્ય કરતા ખ્રિસ્તી મિશનરીઓ એકલા પતિયાંની દરકાર રાખે છે ને તેટલા ખાતર તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. રક્તપિત્તના રોગીઓની સંભાળ માટેની હિંદીઓ તરફથી ચાલતી એકમાત્ર સંસ્થા વર્ધાની પાસે શ્રી મનોહર દીવાન કેવળ પ્રેમભરી સેવા કરવાના આશયથી ચલાવે છે. એ સંસ્થાને શ્રી વિનોબા ભાવેની પ્રેરણા તેમ જ દોરવણી છે. હિંન્દુસ્તનમાં જો સાચે જ નવજીવનનો સંચાર થયો હોય, અને આપણે સૌ જો સત્ય ને અહિંસાને માર્ગે ટૂંકામાં ટૂંકા વખતમાં પૂર્ણ સ્વરાજ મેળવવાને અંતરથી ઝંખતા હોઈએ તો હિંદમાં એક પણ રક્તપિત્તનો રોગી કે એક પણ ભિખરી વણનોંધાયેલો કે સંભાળ વગરનો રહે નહીં. રચનાત્મક કાર્યક્રમની આ સુધારેલી આવૃત્તિમાં આપણા રચનાકાર્યની સાંકળના એક અંકોડા તરીકે રક્તપિત્તના રોગીને અને તેની સેવાને હું મુદ્દામ ઉમેરું છું કેમ કે આજે આપણે ત્યાં પતિયાંની જે દશા છે તે જ, આપણે જો આપણી આજુબાજુ બરાબર ધ્યાનથી નિહાળીએ તો, સુધરેલી આધુનિક દુનિયામાં આપણી છે. દરિયા પારના દેશોમાં આપણા ભાંડુઓની દશાનો ખ્યાલ કરવાની મેં જે વાત કહી છે તે સાચી છે એમ સૌની ખાતરી થશે.