Vyom25
Joined ૨૬ ઓક્ટોબર ૨૦૧૧
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧૪:
શરમાળપણું-મારી ઢાલ
અન્નહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચૂંટાયો તો ખરો, અને ત્યાં દરેખ વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઊપડે. મને દા. ઓલ્ડફિલ્ડ કહે, 'તું મારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.' હું આ વિનોદ સમજ્યો. માખીઓ નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતો પીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા સૌ પોતપોતાના અભિપ્રાય દર્શાવે ત્યારે હું મૂંગો જ બેસી રહું એ કેવું? મને બોલવાનું મન ન હતું એમ નહીં, પણ શું બોલવું? બધા
સભ્યો મારા કરતાં વધારે જાણનારા લાગે. વળી કોઇ બાબતમાં બોલવા જેવું લાગે અને હું બોલવાની હિંમત કરવા જતો હોઉં તેવામાં તો બીજો વિષય ઊપડે.
આમ બહુ વખત ચાલ્યું. તેવામાં સમિતિમાં એક ગંભીર વિષય નીકળ્યો. તેમાં ભાગ ન લેવો એ મને અન્યાય થવા દીધા બરોબર લાગ્યું. મૂંગે મોઢે મત આપી ને શાંત રહેવું એ નામર્દાઈ લાગી. મંડળના પ્રમુખ 'ટેમ્સ આયર્ન વકર્સ'ના માલિક મિ. હિલ્સ હતા. તેઓ નીતિચુસ્ત હતા. તેમના પૈસા ઉપર મંડળ નભતું હતું એમ કહી શકાય. સમિતિમાંના ઘણા તો તેમની છાયા નીચે નભતા હતા. આ સમિતિમાં દા. ઍલિન્સન પણ હતા. આ વખતે પ્રજોત્પત્તિ ઉપર કૃત્રિમ ઉપાયોથી અંકુશ મૂકવાની હિલચાલ ચાલતી હતી. દા. ઍલિન્સન તે ઉપાયોના હિમાયતી હતા ને મજૂરોમાં તેનો પ્રચાર કરતા. મિ. હિલ્સને આ ઉપાયો નીતિનાશ કરનારા લાગ્યા. તેમને મન અન્નાહારી મંડળ કેવળ ખોરાકના જ સુધારાને સારુ નહોતું, પણ તે એક નીતિવર્ધક મંડળ પણ હતું. અને તેથી દા. ઍલિન્સનના જેવા સમાજઘાતક વિચારો ધરાવનારા તે મંડળમાં ન હોવા જોઇએ એવો તેમનો અભિપ્રાય હતો. તેથી દા. ઍલિન્સનને સમિતિમાંથી બાતલ કરવાની દરખાસ્ત આવી. આ ચર્ચામાં હું રસ લેતો હતો. દા. ઍલિન્સનના કૃત્રિમ ઉપાયોવાળા વિચારો મને ભયંકર લાગેલા. તે સામે મિ. હિલ્સના વિરોધને હું શુદ્ધ નીતિ માનતો હતો. તેમના પ્રત્યે મને ખૂબ માન હતું. તેમની ઉદારતાને વિષે આદર હતો. પણ એક અન્નાહારસંવર્ધક મંડળમાંથી શુદ્ધ નીતિના નિયમોને ન માનનારનો, તેની અશ્રદ્ધાને કારણે, બહિષ્કાર થાય એમાં મને ચોખ્ખો અન્યાય જણાયો. મને લાગ્યું કે અન્નાહારી મંડળના સ્ત્રીપુરુષસંબધ વિષેના મિ. હિલ્સના વિચાર તેમના અંગત હતા. તેને મંડળના સિદ્ધાંત સાથે કશો સંબંધ નહોતો. મંડળનો હેતુ કેવળ અન્નાહારનો પ્રચાર કરવાનો હતો, અન્ય નીતિનો નહીં. તેથી બીજી અનેક નીતિનો અનાદર કરનારાને પણ મંડળમાં સ્થાને હોઇ શકે એવો મારો અભિપ્રાય હતો.
સમિતિમાં બીજા પણ મારા વિચારના હતા. પણ મને મારા વિચારો પ્રગટ કરવાનું શૂર ચડ્યું હતું. તે કેમ જણાવાય તે પ્રશ્ન થઈ પડ્યો. બોલવની મારી હિંમત નહોતી. તેથી મેં મારા વિચાર લખીને પ્રમુખની પાસે મૂકવાનો નિશ્ચય કર્યો. હું મારું લખાણ લઈ ગયો. મને યાદ છે તે પ્રમાણે એ લખાણ વાંચી જવાની મારી હિંમત ન ચાલી. પ્રમુખે તે બીજા સભ્યની પાસે વંચાવેલું. દા. ઍલિન્સનનો પક્ષ હારી ગયો. એટલે આવા પ્રકારના મારે સારુ આ પહેલા યુદ્ધમાં હું હરનાર પક્ષમાં રહ્યો. પણ તે પક્ષ સાચો હતો એવી મને ખાતરી હતી, તેથી મને સંપૂર્ણ સંતોષ હતો. મારો કઈંક ખ્યાલ એવો છે કે મેં ત્યાર પછી સમિતિમાંથી રાજીનામું આપેલું.
મારું શરમાળપણું વિલાયતમાં છેવટ સુધી રહ્યું. કોઇને મળવા જતાંયે જ્યાં પાંચ સાત માણસનું મંડળ એકઠું થાય ત્યાં હું મૂંગો બની જાઉં.
એક વખત હું વેંટનર ગયેલો. ત્યાં મજમુદાર પણ હતા. અહીં એક અન્નાહારી ઘર હતું ત્યાં અમે બન્ને રહેતા. 'એથિક્સ ઑફ ડાયટ'ના કર્તા આ જ બંદરમાં રહેતા હતા. અમે તેમને મળ્યા. અહીં અન્નાહારને ઉત્તેજન આપવાની એક સભા મળી. તેમાં અમને બંન્નેને બોલવાનું આમંત્રણ મળ્યું. બંનેએ કબૂલ રાખ્યું. લખેલું ભાષણ વાંચવામાં કંઇ બાધ ન ગણાતો એમ મેં જાણી લીધું હતું. પોતાના વિચારો કડીબદ્ધ ને ટૂંકામાં મૂકવાને સારુ ઘણા લખેલું વાંચતા એમ હું જોતો. મેં મારું ભાષણ લખ્યું. બોલવાની હિંમત નહોતી. હું વાચવા ઊભો થયો ત્યારે વાંચી પણ ન શક્યો. આંખે સૂઝે નહીં ને હાથપગ ધ્રૂજે. મારું ભાષણ ભાગ્યે ફૂલ્સકૅપનું એક પાનું હશે. તે મજમુદારે વાંચી સંભળાવ્યું. મજમુદારનું ભાષણ તો સરસ થયું. સાંભળનારા તેમનાં વચનોને તાળીઓના અવાજથી વધાવી લેતા હતા. હું શરમાયો ને મારી બોલવાની અશક્તિને લીધે દુ:ખ પામ્યો.
સાંઇ નેહડી
|