આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ

આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ એ યુનેસ્કો દ્વારા એટલાન્ટિક પારના ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરી રૂપે દર વર્ષે ૨૩ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે.

હૈતીમાં ગુલામ બળવાનું એક ચિત્ર

આજના દિવસની તારીખ સંસ્થાના સામાન્ય સંમેલન દ્વારા તેના ૨૯મા અધિવેશનમાં ઠરાવ ૨૯ સી/૪૦ ના સ્વીકાર દ્વારા પસંદ કરવામાં આવી હતી. સંસ્થાના મહાનિદેશક તરફથી ૨૯ જુલાઈ, ૧૯૯૮ના પરિપત્ર સીએલ/૩૪૯૪ દ્વારા સંસ્કૃતિ મંત્રીઓને આ દિવસને પ્રોત્સાહન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.[૧] આ તારીખ એટલા માટે મહત્વની છે કે, ૨૨ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૧૭૯૧ની રાત્રિ દરમિયાન, સેન્ટ ડોમિન્ગ્યુ (જે હવે હૈતી તરીકે ઓળખાય છે) ટાપુ પર એક બળવો શરૂ થયો હતો જેણે એવી ઘટનાઓને જન્મ આપ્યો હતો જે ટ્રાન્સએટલાન્ટિક ગુલામોના વેપારને નાબૂદ કરવામાં એક મુખ્ય પરિબળ હતું.

યુનેસ્કોના સભ્ય રાષ્ટ્રો દર વર્ષે આ તારીખે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં યુવાનો, શિક્ષકો, કલાકારો અને બૌદ્ધિકોની ભાગીદારીને આમંત્રણ આપવામાં આવે છે. આંતરસાંસ્કૃતિક યુનેસ્કો પ્રોજેક્ટ, "ધ સ્લેવ રૂટ"ના લક્ષ્યોના ભાગરૂપે, આ ઉજવણી સામૂહિક માન્યતા માટે અને ગુલામીના "ઐતિહાસિક કારણો, પદ્ધતિઓ અને પરિણામો" પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે. ઉપરાંત તે આફ્રિકા, યુરોપ, અમેરિકા અને કેરેબિયન વચ્ચે માનવીઓમાં ટ્રાન્સએટલાન્ટિક વેપારને જન્મ આપનારી ક્રિયાપ્રતિક્રિયાઓના વિશ્લેષણ અને સંવાદ માટેનું મંચ તૈયાર કરે છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો