ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર ?

ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્યા વિના કોઇ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી. વળી ઉત્તમ લોકો જે કરે છે તે જોઇને બીજા એનું અનુસરણ કરે છે. એથી જ અર્જુને પોતાના સ્વધર્મનું આચરણ કરવું જોઇએ અને યુદ્ધ કર્મમાં પ્રવૃત થવું જોઇએ.

અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પાપના કારણોની ચર્ચા કરે છે. ઇચ્છા, તૃષ્ણા અને વાસના - એ ત્રણે માનવને પાપકર્મ કરવા પ્રેરે છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે એમ ભગવાન જણાવે છે.

અનાસક્તયોગ (ગાંધીજી રચિત) ના મત મુજબ ફેરફાર કરો

કર્મયોગને ગાંધીજી ગીતાનું સ્વરુપ જાણવાની ચાવી સિદ્ધ કરે છે. આ અધ્યાયમાં કર્મ કેમ કરવું, તથા કરું કર્મ કોને કહેવું જોઇયે તે સ્પષ્ટ કર્યું છે. અને ખરું જ્ઞાન પારમાર્થિક કર્મોમાં પરિણમવું જ જોઇયે તેવો સ્પષ્ટ મત પ્રગટ કરેલ છે.

કર્મયોગના ૨મા શ્લોકમાં બીજા અધ્યાયના ૪૯-૫૦મા શ્લોકમાં કર્મત્યાગનો આભાસ અર્જુનને આવતો હોવાનું જણાય છે અને વળી ભગવાન તેને શિથિલ થવાને સારું ઠપકો પણ આપે છે પણ આગળના શ્લોક મા તેનો ખુલાસો છે જ તેનું વર્ણન કરે છે. ૬ઠ્ઠા શ્લોકમાં મિથ્યાચારની વ્યાખ્યા કરતા શરીર અને મનના અંકુશની અગત્યતા અને મન દ્વારા વિષયોનું ચિંતન કરતા મનુષ્યોની નિંદા કરવામાં આવી છે. વળી ૭મા શ્લોકમાં બહાર અને અંતરનો મેળ સાધ્યો છે. કર્મો કરવાની પરવશતા હોવા છતા ઇન્દ્રિયો વડે શુધ્ધ વિષયો જ ગ્રહણ કરવાની કળા ઓળખાવી આત્માને શોભે તેવાં જ કર્મો કરવાનો કર્મમાર્ગ બતાવ્યો છે. "જે વડે આત્માનો શરીરના બંધનમાંથી છૂટવાનો યોગ સધાય તે કર્મયોગ". આઠમાં શ્લોકમાં "નિયત" શબ્દનો અર્થ ઇદ્રિયોને નિયમમાં રાખી સંગરહિત થઇ કર્મ કરવાબની સ્તુતિ છે. ૯મા શ્લોકમા યજ્ઞ એટલે પરોપકારાર્થે, લોકકલ્યાણાર્થે, ઇશ્વરાર્થે કરેલાં કર્મે. તથા ૧૦મા શ્લોકમાં દેવની વ્યાખ્યા આપેલ છે.

૨૦મા શ્લોકમાં લોકસંગ્રહનો કાકા સાહેબ કાલેલકર દ્વારા કરેલો અર્થ ટાંકવામા આવ્યો છે અને ૨૨મા શ્લોકમાં મનુષ્યે બુદ્ધિપૂર્વક છતાં યંત્રની જેમ જ નિયમિત રીતે અલિપ્ત રહી કામ કરવાં ઘટે. ત્યાર બાદ ૨૭-૨૭મા શ્લોકમાં 'ગુણો ગુણોને વિશે વર્તે છે' તે સમજાવવા શ્વાસોસ્છવાસ આદિ ક્રિયા પોતાની મેળે અને કર્તાની આસક્તિ વિના થાય છે તેમ સમજાવ્યું છે. અને ૩૦મા શ્લોકમાં પરમાત્માને કર્મો અર્પણ કરવાનું સરળ ઉદાહરણ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

૩૩મા શ્લોકનો અર્થ બીજા અધ્યાયના ૬૧ કે ૬૮મા શ્લોકનો વિરોધી નથી પરંતુ ટેવમાત્ર સ્વભાવ નથી. અને આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન છે. આમ, આત્મા જ્યારે નીચે ઊતરે ત્યારે તેની સામે થવું કર્તવ્ય છે એવો સુંદર અર્થ ગાંધીજી કરે છે. વળી ૩૪મા શ્લોકમાં રાગદ્વેષની વ્યાખ્યા અને ૩૫ મા શ્લોકમા ઇશ્વરના દરબારમાં દરેકના સ્વધર્મની(વર્ણાશ્રમના ભેદભાવ વગર) સરખી કિંમત હોવાથી ઇશ્વરપરાયણબુદ્ધિથી પોતાનું કર્તવ્ય કરવાવાળા મોક્ષને અધિકારી બને છે તેમ બતાવવામાં આવ્યું છે.

અને છેલ્લે, ૪૦મા શ્લોકમા કામને લીધે જ્ઞાન નાશ પામે છે અને ઇન્દ્રિયો વશમાં રહે તો સૂક્ષ્મ કામ જીતવો સહેલો છે તેવું ૪૨મા શ્લોકમા દર્શાવવામાં આવ્યું છે. અને મનુષ્ય જો દેહમાં રહેલા આત્માને જાણે તો મન તેને વશ રહે, અને મન જિતાય તો કામ શું કરી શકે? તેવી ૪૩મા શ્લોકની વ્યાખ્યા કરી અધ્યાય પૂરો કરવામાં આવેલ છે.

આ પણ જુઓ ફેરફાર કરો