કૃતવર્મા (સંસ્કૃત:कृतवर्म) યાદવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા અને કૃષ્ણના સમકાલીન હતા. મહાભારત સહિત કેટલાંક અન્ય પૌરાણીક ગ્રંથો જેમકે વિષ્ણુ પુરાણ, ભાગવત અને હરીવંશ વિગેરેમાં તેમનો ઉલ્લેખ છે.

યાદવોનાં અંધક કુળમાં તેમનો જન્મ થયો હતો. અમુક જગ્યાએ એવો ઉલ્લેખ જોવા મળે છે કે તેઓ હૃતિકના ભાઈ હતાં જેઓ કૃષ્ણાના પરદાદા હતાં. પણ એ વાત શક્ય લાગતી નથી. ભલે વિષ્ણુ પુરાણમાં તેનો ઉલ્લેખ શ્રીકૃષ્ણના ભક્ત તરીકે કરાયો હોય પણ તેમનો સંબંધ શ્રીકૃષ્ણ સાથે બહુ મીઠો રહ્યો ન હતો. સ્યામંતક મણીના પ્રકરણમાં શ્રી કૃષ્ણના સસરા સત્યજીતની હત્યાના ષડયંત્રમાં તે શામિલ હતાં. કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં કૃતવર્મા પાંડવો વિરુદ્ધ કૌરવો સાથે જોડાયા હતાં અને યદુ સેના (નારાયણી સેના)નું નેતૃત્વ કર્યું હતું. સમગ્ર કૌરવ સેનાના બચેલા ત્રણ વ્યક્તિ પૈકી તે એક હતાં. તેમણે અશ્વત્થામાને પાંચાલ રાજાઓના રાત્રિસંહારની યોજનામાં સાથ આપ્યો હતો જેમાં અશ્વત્થામાએ અન્યો સહિત ધૃષ્ટદ્યુમ્ન (પાંડવ સેનાપતિ), શિખંડી અને દ્રૌપદીના પાંચ પુત્રોની હત્યા કરી હતી. મહભારતના સૌપ્તિક પર્વના પ્રકરણમાં આનું વર્ણન આવે છે. યુદ્ધ પછી તે પોતાના રાજ્યમાં પાછા આવ્યાં જ્યાં સાત્યકી દ્વારા યાદવોના વિનાશ દરમ્યાન તેની હત્યા કરવામાં આવી, જેનું વર્ણન મહાભારતના મૌશલ પર્વ નામના પ્રકરણમાં કરવામાં આવ્યું છે.

આ પણ જુઓ ફેરફાર કરો

બાહરી કડીઓ ફેરફાર કરો