જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિને ગાધિ રાજાની કન્યા સત્યવતીને અવતર્યા હતા. તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. વિશ્વામિત્રની સાથે તે પણ વસિષ્ઠના વિપક્ષી હતા.

જન્મ ફેરફાર કરો

હરિશ્ચંદ્રના નરમેધ યજ્ઞમાં તે અધ્વર્યુ હતો. જમદગ્નિ ઉત્પત્તિ સંબંધી લખેલું છે કે ઋચિક ઋષિએ પોતાની સ્ત્રી સત્યવતી, જે ગાધિ રાજાની પુત્રી હતી, તેને તથા તેની માને માટે બે ભિન્નગુણવાળા ચરુ તૈયાર કર્યા હતા. બંને ચરુ પોતાની સ્ત્રી સત્યવર્તીને આપીને તેને બતાવી આપ્યું હતું કે ઋતુસ્નાન પછી આ ચરુ તમારે ખાવો અને બીજો ચરુ તમારી માતાને ખવરાવવો. સત્યવતીએ બંને ચરુ પોતાની માતાને આપી તે સંબંધી બધી હકીકત તેને કહી. તેની માતાએ જાણ્યું કે ઋચિકે પોતાની સ્ત્રી માટે અધિક ઉત્તમ ગુણવાળો પુત્ર ઉત્પન્ન થાય એવો ચરુ બનાવ્યો હશે. તેથી તેનો ચરુ પોતે ખાઈ ગઈ અને પોતાનો ચરુ તેને ખવરાવી દીધો. જ્યારે બંને ગર્ભવતી થઈ ત્યારે ઋચિક પોતાની સ્ત્રીનાં લક્ષણ દેખી સમજી ગયા કે ચરુ બદલાઇ ગયો છે. ઋચિકે પોતાની સ્ત્રીને કહ્યું કે મેં તમારા ગર્ભમાં નિષ્ઠ પુત્ર અને તમારી માતાના ગર્ભમાં મહાબલી અને ક્ષાત્ર ગુણવાળો પુત્ર ઉત્પન્ન કરવા માટે ચરુ તૈયાર કર્યા હતા, પણ તમે ચરુ બદલી નાખ્યા. આ ઉપરથી સત્યવતી દુ:ખી થઇ અને પોતાના પતિને એવો કોઈ પ્રયત્ન કરવા પ્રાર્થના કરી કે જેથી પોતાના ગર્ભમાં ઉગ્ર ક્ષત્રિય ઉત્પન્ન ન થાય અને જો તે અનિવાર્ય હોય તો તે પોતાની પુત્રવધૂના ગર્ભમાં ઉત્પન્ન થાય. આ પ્રમાણે સત્યવતીના ગર્ભથી જમદગ્નિ અને તેની માતાના ગર્ભથી વિશ્વામિત્રનો જન્મ થયો. આને લીધે જમદગ્નિમાં પણ ઘણે અંશે ક્ષત્રિયોચિત ગુણો હતા. નામ પ્રમાણે તે બહુ જલદ સ્વભાવના ઋષિ હતા.

લગ્ન અને સંતાન ફેરફાર કરો

તે રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા સાથે પરણ્યા હતા. તેને પાંચ પુત્ર થયા હતા, તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા. એક વાર રેણુકા સ્નાન કરવા નદીએ ગયા ત્યારે ચિત્રરથ ગાંધર્વ અને તેની રાણી જળક્રીડા કરતાં હતાં. તેમની ક્રીડા જોઈ રેણુકાને કામની અસર થઈ. સ્નાન કર્યા વગર તેને આવેલાં જોઈ ઋષિ ગુસ્સે થયા. એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતાનો શિરચ્છેદ કરવા કહ્યું. કોઈએ આજ્ઞા પાળી નહિ. તેને તેણે પાષાણતુલ્ય જડ કરી દીધા. છેવટ પરશુરામે પિતાની આજ્ઞા પાળી રેણુકાનું માથું પોતાના કુહાડાથી ઉડાડી મૂક્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વર માગવાનું કહેતાં તેણે પોતાની માતાને સજીવન કરવાનો અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરવાનો વર માગ્યો. જમદગ્નિએ રેણુકાને સજીવન કરી. તે પછી તેણે ક્રોધનો તદ્દન ત્યાગ કર્યો.

ક્રોધની પરીક્ષા ફેરફાર કરો

એક સમયે ક્રોધદેવે ધાર્યું કે આણે તો મને નિશ્ચયાત્મક છોડ્યો કે કેમ તે જોઉં. પછી જમદગ્નિના આશ્રમમાં પિતૃતિથિ હતી ત્યારે એક સર્પરૂપ ધારણ કરીને પિતૃને માટે કરેલા દૂધપાકમાં પોતાનું ઝેર નાખી તેને બોટ્યો. પણ ઋષિને ક્રોધ ન આવતાં તેણે દૂધપાકને નિર્વિષ કર્યો. એક સમયે કાર્તવીર્યાર્જુન પોતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં આવ્યો. પોતાની પાસે કામધેનુ હોવાથી ઋષિએ સઘળાનું ઊંચા પ્રકારે આતિથ્ય કર્યું. આ જોઇને એણે બળાત્કારે કામધેનુ લઈ લીધી, તોપણ એને ક્રોધ આવ્યો નહિ. કાર્તવીર્યની પાસેથી પરશુરામે પોતે કામધેનુને છોડાવી આણી પાછો આશ્રમધર્મ ચાલુ કર્યો. પરશુરામે કાર્તવીર્યને માર્યો હતો. તેનું વેર રાખીને તેના પુત્રોએ પરશુરામ આશ્રમમાં ન હોય એવો લાગ સાધીને જમદગ્નિને કાપી નાખ્યા. પરશુરામે એમને પુન: સજીવન કર્યા અને પૃથ્વી નિ:ક્ષત્રીય કરવાની પ્રતિજ્ઞા લીધી. વિષ્ણુનું ધનુષ્ય ઋચિકે જમદગ્નિને આપેલ હતું.

સ્ત્રોત ફેરફાર કરો