મહાભારતમાં પાંચાલ નરેશ દ્રુપદ (સંસ્કૃત: द्रुपद), દ્રૌપદીના પિતા હતા. તેમને યજ્ઞસેન તરીકે પણ ઓળખવામા આવતા.

બાળપણમા તેઓ દ્રોણના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતા દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધુ રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમે દ્રુપદ રાજા બન્યા અને દ્રોણની દરિદ્રતા વધવા પામી. એક વાર દ્રોણના પુત્ર અશ્વત્થામાએ દૂધ પીવા માટે જીદ કરી. અત્યંત દરિદ્રતાને લીધે ઘરમાં દૂધ નહોતું. આથી દ્રોણના પત્ની કૃપિએ પૌઆમાં પાણી નાખી અશ્વત્થામાને મનાવ્યા. આ જોઇ તેઓ વ્યથિત થયા અને કૃપિએ તેમને મિત્ર દ્રુપદ પાસેથી એક ગાય માંગવા વિનવ્યા. પરંતુ દ્રોણ જ્યારે દ્રુપદ પાસે ગયા ત્યારે દ્રુપદે પોતાનુ વચન પાળ્યુ નહીં અને તેમનું અપમાન કર્યું. આમ દ્રોણ તેમના શત્રુ બન્યા.

દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપી અને ગુરુદક્ષિણામાં દ્રુપદને બંદી બનાવવાની આજ્ઞા આપી. આથી પાંડવો દ્રુપદને બંદી બનાવી લાવ્યા અને દ્રોણે તેને જીવન દાન આપી તેની ગૌશાળામાં રહેલી અડધી ગાયો ઉપરાંત એક વધારાની ગાય લીધી.

દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞમાંથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ ધૃષ્ટદ્યુમ્ન રાખવામાં આવ્યું અને જે પુત્રી પ્રાપ્ત થઇ તેનુ નામ દ્રૌપદી પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છળથી વધ કર્યો હતો.

દ્રુપદ શિખંડીના પણ પિતા હતા કે જે પૂર્વજન્મમા અંબા હતી.