નિર્મલા દેશપાંડે

ભારતીય રાજનેતા

નિર્મલા દેશપાંડે (૧૯ ઓક્ટોબર ૧૯૨૯ – ૧ મે ૨૦૦૮) ગાંધીવાદી વિચારસરણી ધરાવતા પ્રખ્યાત સામાજીક કાર્યકર હતા. તેમને પોતાનું સમગ્ર જીવન સાંપ્રદાયિક સ‌દ્‌ભાવ, તેમજ મહિલાઓ અને અનુચૂચિત જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધુ હતું.[૧][૨] ૨૦૦૬માં તેમને ભારતના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા[૩] તથા ૨૦૧૦માં પાકિસ્તાન દ્વારા મરણોપરાંત સિતારા–એ–ઇમ્તીયાઝ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪]

નિર્મલા દેશપાંડે
નિર્મલા દેશપાંડે
જન્મની વિગત(1929-10-19)19 October 1929
મૃત્યુ1 May 2008(2008-05-01) (ઉંમર 78)
પ્રખ્યાત કાર્યસામાજીક કાર્યકર્તા

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૧૯ ઓક્ટોબર ૧૯૨૯ના રોજ નાગપુર ખાતે વિમળા દેશપાંડે તથા પુરુષોત્તમ યશવંત દેશપાંડેને ત્યાં થયો હતો. તેમના પિતાને મરાઠી ભાષામાં તેમની કૃતિ અનામિકાચી ચિંતનિકા બદલ ૧૯૬૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે રાજનીતિ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી તથા પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ તેઓ નાગપુર ખાતે મોરીસ કોલેજમાં રાજનીતિ વિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા.[૫]

સામાજીક પ્રવૃત્તિઓ ફેરફાર કરો

 
નિર્મલા દેશપાંડે (૨૦૦૭)

૧૯૫૨માં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં જોડાયાં. તેમણે ગાંધીજીના ગ્રામ સ્વરાજના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર ભારતની ૪૦,૦૦૦ કિમીની પદયાત્રા કરી. પંજાબ અને કાશ્મીર રાજ્યમાં હિંસા તેના ચરમબિંદુએ હતી ત્યારે તેમણે શાંતિની અપીલ માટે શાંતિકૂચના આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૯૪માં કાશ્મીર માટેનું તેમનું શાંતિ મિશન અને ૧૯૯૬માં ભારત પાકિસ્તાનની દ્વિપક્ષીય બેઠકના આયોજનમાં તેમની ભૂમિકા તેમના જાહેર જીવનની મહત્ત્વની ઉપલબ્ધિઓ છે.[૬]ચીન દ્વારા તિબેટવાસીઓ પરની દમનનીતિ બાબતે પણ તેઓ ચિંતિત હતા.

જૂન ૧૯૮૩ થી તેમના અવસાન સુધી તેઓ હરિજન સેવક સંઘના અધ્યક્ષપદે રહ્યા. સામાજીક કાર્યો સાથે સંકળાયેલ ઘણી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલાં હતા. તેમણે સ્થાપેલ અખિલ ભારત રચનાત્મક સમાજ નામની સંસ્થાને ૨૦૦૪માં સાંપ્રદાયિક સદ્‌ભાવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૭]

લેખન ફેરફાર કરો

દેશપાંડેએ હિન્દીમાં કેટલીક નવલકથાઓ લખી છે. જે પૈકી સીમાંત સ્ત્રી સ્વાતંત્ર્ય પર આધારિત છે. ચિમલિંગ એ ચીની સંસ્કૃતિ પર આધારિત નવલકથા છે. ઉપરાંત તેમણે કેટલાક નાટકો, પ્રવાસવર્ણનો, ઇશાવાસ્યમની ટીકા તથા વિનોબા ભાવેનું જીવનચરિત્ર પણ લખ્યું છે. ૧૯૮૫માં તેમણે વિશ્વશાંતિ અને અહિંસાના સિદ્ધાંતોને સમર્પિત નિત્યનૂતન નામના સામયિકનું પ્રકાશન શરૂ કર્યું હતું.

સન્માન ફેરફાર કરો

તેઓ ૧૯૯૭ અને ૨૦૦૪માં રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.[૮] ઉપરાંત ૨૦૦૭માં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પણ તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ૨૦૦૫માં તેમને રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્‌ભાવના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૯] ૨૦૦૫માં તેઓ નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ૧૩ ઓગસ્ટ ૨૦૦૯ના રોજ પાકિસ્તાનના સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ તેમને પાકિસ્તાનના તૃતીય સર્વોચ્ચ નાગરિક સન્માન સિતારા–એ–ઇમ્તીયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૦]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Veteran Gandhian Nirmala Deshpande is no more". Indian Express. 1 May 2008. મૂળ માંથી 11 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 2 ફેબ્રુઆરી 2020. Check date values in: |archive-date= (મદદ)
  2. "Nirmala Deshpande - a gutsy Gandhian". DNA (newspaper). 1 May 2008.
  3. "Padma Awards". Ministry of Communications and Information Technology (India).
  4. "Next Nirmala Deshpande award ceremony to be held in Pakistan - Times of India".
  5. "Veteran Gandhian Nirmala Deshpande dead". CNN-IBN. 1 May 2008. મૂળ માંથી 20 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 3 ફેબ્રુઆરી 2020.
  6. "DAWN - Opinion; May 03, 2008". 3 May 2008.
  7. "Awards - NFCH". nfch.nic.in.
  8. "Rajya Sabha members". Rajya Sabha secretariat, New delhi. મૂળ માંથી 2019-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-30.
  9. "A votary of peace and harmony". The Hindu. 2 May 2008. મૂળ માંથી 5 મે 2008 પર સંગ્રહિત. મેળવેલ 3 ફેબ્રુઆરી 2020.
  10. "- News - Samay Live". www.samaylive.com.

બાહ્ય કડીઓ ફેરફાર કરો