યુરિયા એક કાર્બનિક સંયોજન છે જેનું રાસાયણિક સૂત્ર (NH2)2CO છે. કાર્બનિક સંયોજનના ક્ષેત્રમાં એને કાર્બામાઇડ પણ કહેવામાં આવે છે. આ એક રંગહીન, ગંધહીન, સફેદ, રવાદાર તેમજ ઝેરી ઘન પદાર્થ છે. તે પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે. તે સસ્તન અને સરીસૃપ વર્ગના પ્રાણીઓના મૂત્રમાં જોવા મળે છે. ખેતીમાં નાઇટ્રોજનયુક્ત ખાતરના સ્વરૂપે યુરિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. યુરિયા સર્વપ્રથમ ૧૭૭૩ના વર્ષમાં મૂત્રમાંથી ફ્રેંચ વૈજ્ઞાનિક હિલેરી રાઉલેએ શોધ્યું હતું, પરંતુ કૃત્રિમ રીતે સૌથી પહેલાંં યુરિયા બનાવવાનો શ્રેય જર્મન વૈજ્ઞાનિક વોહલરને ફાળે જાય છે.[૧] એમણે સિલ્વર આઇસોસાઇનેટમાંથી યુરિયાનું નિર્માણ કર્યું તથા સ્વીડનના વૈજ્ઞાનિક બર્જેલિયસને એક પત્ર લખ્યો કે મેં કિડનીની મદદ લીધા વગર કૃત્રિમ વિધિ દ્વારા યુરિયા બનાવ્યું છે. આ સમયકાળમાં આખા જગતમાં બર્જેલિયસના સિદ્ધાંત મુજબ યુરિયા જેવા કાર્બનિક સંયોજન સજીવોના શરીરની બહાર બનાવી શકાય નહીં તેમજ એને બનાવવા માટે પ્રાણશક્તિની જરૂર પડે છે, એવું માનવામાં આવતું હતું.

યુરિયાના અણુનું ચિત્રાંકન
યુરિયાનું રાસાયણિક સૂત્ર


જર્મન વૈજ્ઞાનિક વોહલરની રીત મુજબનું સમીકરણ : AgNCO (સિલ્વર આઇસોસાઇનેટ) + NH4Cl → (NH2)2CO (યુરિયા) + AgCl મોટા પાયા પર યુરિયાનું ઉત્પાદન દ્રવ એમોનિયા તેમ જ દ્રવ કાર્બન ડાઇ-ઓક્સાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા વડે કરવામાં આવે છે.

ઉપયોગ ફેરફાર કરો

યુરિયાનો ઉપયોગ મુખ્યત્વે ખેતી માટેની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી, જમીનની ઉર્વરક(ફળદ્રુપતા) શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત યુરિયાનો ઉપયોગ વાહનોના પ્રદુષણ નિયંત્રકના રૂપે પણ કરવામાં આવે છે. રસાયણ ઉદ્યોગોમાં યુરિયા ફોર્માલ્ડીહાઇડ, રેઝીન, પ્લાસ્ટિક તેમ જ હાઇડ્રેજિન બનાવવામાં યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધનિર્માણ એટલે કે ફાર્મસી ક્ષેત્રે યુરિયામાંથી યુરિયા-સ્ટેબામિન નામની કાળો તાવ નામના રોગની દવા બનાવવામાં આવે છે, જેનું સંશોધન પણ ભારત દેશમાં કોલકાતા ખાતે ડો. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી (ડિસેમ્બર ૧૯, ૧૮૭૩ - ફેબ્રુઆરી ૬ ૧૯૪૬)એ કર્યું હતું અને વેરોનલ નામની ઉંઘ માટેની દવા બનાવવા માટે પણ યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દશામક તરીકે ઉપયોગમાં લેવાતી દવાઓ બનાવવામાં પણ યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં ઢોરોનો ખોરાક બનાવવા માટે પણ યુરિયા ઉપયોગમાં લેવામાં આવે છે.

ભારત દેશમાં યુરિયાનું ઉત્પાદન ફેરફાર કરો

વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ દરમિયાન ભારત દેશમાં યુરિયાનું ઉત્પાદન લગભગ બે કરોડ ટન રહ્યું હતું, જ્યારે વાસ્તવિક આંકડાઓ પ્રમાણે યુરીયાનો ઉપયોગ ૨.૪ કરોડ ટન જેટલો થયો હતો. ૪૦ હજાર ટનની વધારાની જરુરીયાતને યુરિયાની આયાત દ્વારા પૂરી કરવામાં આવી હતી. પરંતુ ઘરેલુ ખાતર કંપનીઓ આગામી ચાર વર્ષમાં પોતાની યુરિયા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે પાંચથી છ અબજ ડોલરનું રોકાણ કરી શકે તેમ છે, જેને કારણે દેશની યુરિયા ઉત્પાદન ક્ષમતામાં ૬૦ લાખ ટનનો વધારો થવાનો અંદાજ છે. યુરિયા ઉત્પાદન ક્ષમતામાં વૃધ્ધિ થયા પછીના સમયમાં ભારત યુરિયાની આયાત કરવાને બદલે નિકાસ કરનારો દેશમાં બદલાઇ જશે.[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "यूरिया". विज्ञानवार्ता. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)
  2. "उर्वरक फर्म बढ़ाएंगी अपनी यूरिया उत्पादन क्षमता". મૂળ માંથી 2009-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-15. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)