રતિલાલ ચંદરયા ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા. તેઓ વિશ્વના જુદા-જુદા પ્રદેશોમાં રહ્યા હતા. તેમણે ગુજરાતી ભાષાને આધુનિક બનાવવા પર અગત્યનું કાર્ય હાથ ધર્યું હતું.

રતિલાલ ચંદરયા
જન્મની વિગત૨૪ ઓક્ટોબર, ૧૯૨૨
નૈરોબી, કેન્યા
મૃત્યુ૧૩ ઓક્ટોબર, ૨૦૧૩
મુંબઈ, ભારત
વ્યવસાયઉદ્યોગપતિ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ઓક્ટોબર ૨૪, ૧૯૨૨ના રોજ પ્રેમચંદભાઈ અને પુંજીબાઈને ત્યાં થયો હતો. તેમણે નૈરોબીમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મોમ્બાસા ગયા. બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયા બાદ તેમનાં માતા-પિતા સાથે તેઓ ભારત આવ્યા. ત્યારબાદ તેમણે અભ્યાસ છોડી દીધો અને કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમણે ૧૯૪૩માં વિજ્યાલક્ષ્મી સાથે જામનગરમાં લગ્ન કર્યા. વ્યવસાયનો વિકાસ કરવા માટે તેઓ ૧૯૪૬માં નૈરોબી પાછાં ગયા. તેમણે કૌટુંબિક વ્યવસાયને ઉદ્યોગમાં ફેરવવા માટે આફ્રિકા અને યુરોપમાં ભરપૂર પ્રવાસો કર્યા.૧૯૬૦માં તેઓ દાર-એ-સલામ અને પછીથી ૧૯૬૫માં લંડન ખાતે સ્થાયી થયા. તેઓ થોડો સમય જીનિવા રહ્યા બાદ ૧૯૭૫માં સિંગાપુરમાં સ્થાયી થયા.[૧][૨][૩]

ઓક્ટોબર ૧૩, ૨૦૧૩ ના રોજ તેમને મૃત્યુ મુંબઈ ખાતે થયું. હિંદુ પંચાગ મુજબ એ દિવસ દશેરા હતો, એ જ દિવસ જે દિવસે તેમનો જન્મ થયો હતો.[૧][૨][૩]

દાન અને સામાજીક ફાળો ફેરફાર કરો

તેમની માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે તેમણે ખૂબ જ કામ કર્યું. તેમણે ગુજરાતી ભાષાના કોશ માટે ૧૮ વર્ષો ગુજાર્યા. તેમણે ગુજરાતીલૅક્સિકન.કોમ, ડિજીટલ ભગવદ્ગોમંડલ અને ગુજરાતી ભાષાને ડિજીટલ બંધારણમાં ફેરવવા માટેના બીજાં પ્રકલ્પોની સ્થાપના કરી. ગુજરાતીલેક્સિકન વિશ્વનો સૌથી મોટો ડિજીટલ કોશ, જ્યારે ભગવદ્ગોમંડલ એ વિશ્વકોશ છે, જે ગુજરાતીલેક્સિકન વડે ડિજીટલ બંધારણમાં ફેરવવામાં આવ્યો હતો. આ બંને પ્રકલ્પોને અમેરિકાની લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસ અને બ્રિટિશ લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસની યાદીમાં સમાવવામાં આવ્યા છે.[૧][૨][૩][૪]

આ ઉપરાંત વર્ષ ૨૦૦૯માં તેમણે ગુજરાતી ભાષાના માન્ય શબ્દકોશમાં ન હોય તેવા શબ્દોને સમાવતો અને લોકસહકારે ચાલતા લોકકોશની રજૂઆત કરી.[૫]

સમયાંતરે તેમણે ગ્લોબલ.ગુજરાતીલેક્સિકન.કોમ, સ્વાહિલીલેક્સિકન.કોમ અને લેટસલર્નગુજરાતી જેવી વિવિધ વેબસાઇટની રજૂઆત કરી.

તેમણે ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીની સહ-સ્થાપના ૧૯૮૫માં નિર્મલ સેઠિયા સાથે કરી હતી, જે જૈનત્વનો અભ્યાસ કરવા માટેની સંસ્થા છે. અહીં તેમણે ચેરમેન તરીકે ૨૦૧૨ સુધી સેવા આપી હતી.[૨] તેમણે ઘણી સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ જેવીકે ભારતીય વિદ્યા ભવન, ઇન્ડિયન જીમખાના, અને ઇન્ટરનેશનલ ફોરમ ઓફ ઓવરસીસ ઇન્ડિયનમાં સેવાઓ આપી હતી.[૧][૨][૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Gujarati Lexicon founder Ratilal Chandaria no more". અમદાવાદ: ડી.એન.એ. ૧૫ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Obituary: Shri Ratilal Premchand Chandaria". Institute of Jainology. ૧૬ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "GujaratiLexicon founder Ratilal Chandaria passes away". ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ૨૫ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪.
  4. "Bhagwadgomandal goes online". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૪ એપ્રિલ ૨૦૦૯. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪.
  5. "Gujarati Lexicon: Lok Kosh Launched – Institute of Jainology" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-19.

બાહ્ય કડીઓ ફેરફાર કરો