રમણલાલ દેસાઈ

ભારતના ગુજરાતી લેખક

રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૨ મે ૧૮૯૨ - ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા.

રમણલાલ દેસાઈ
જન્મનું નામ
રમણલાલ વસંતલાલ દેસાઈ
જન્મરમણલાલ વસંતલાલ દેસાઈ
(1892-05-12)12 May 1892
શિનોર, ગુજરાત
મૃત્યુ20 September 1954(1954-09-20) (ઉંમર 62)
વડોદરા
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૨)
જીવનસાથી
કૈલાસવતી
(લ. 1912; her death 1927)
સંતાનોઅક્ષય દેસાઈ (પુત્ર)
સુધા દેસાઈ (પુત્રી)

જીવન ફેરફાર કરો

રમણલાલ દેસાઈનો જન્મ ૧૨ મે ૧૮૯૨ના રોજ વડોદરા રાજ્યના શિનોરમાં વસંતલાલ અને મણિબેનને થયો હતો. તેમનું કુટુંબ કાલોલનું વતની હતું. તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા. વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા.[૧] તેમના પિતાના પ્રકાશન સિવાય, તેમના શાળા જીવનમાં તેમના પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા. તેમણે શિનોરમાં ૬ઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૦૨માં વડોદરા આવ્યા અને શાખા શાળામાં દાખલ થયા. ૧૯૧૨માં તેમની સગાઇ કૈલાસવતી સાથે ૮ વર્ષની ઉંમરે થઇ અને ૧૯૧૨માં લગ્ન થયા.[૨]

૧૯૦૮માં તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતમાં નાપાસ થયા. તેઓ તેમના મિત્રો સાથે સમાજવાદ, લગ્ન જેવા વિષયો પર ચર્ચા કરતા રહેતા અને આ વિષયો પર વ્યાખ્યાન પણ આપતા રહેતા. તેમની કવિતા શું કરું? કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઇ હતી અને પાછળથી તેનો સમાવેશ તેમના કાવ્ય સંગ્રહ નિહારીકામાં થયો હતો. ૧૯૧૪માં પ્રથમ વર્ગ સાથે તેમણે બી.એ.ની પદવી મેળવી. તેમણે સંયુક્તા નાટક લખ્યું જે ૧૯૧૫માં સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું. ૧૯૧૬માં તેમણે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં એમ.એ.ની પદવી મેળવી પણ તેઓ પ્રથમ વર્ગ ન મેળવી શકતા તેમનું પ્રાધ્યાપક બનવાનું સ્વપ્ન પૂરું ન થઇ શક્યું. તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર ૧૯૧૬માં તેઓ બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું અને ૧૯૪૮માં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪માં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું.[૨]

તેમના પુત્ર અક્ષય દેસાઈ જાણીતા સમાજવિદ્ હતા.[૩][૪]

સર્જન ફેરફાર કરો

 
વડોદરા ખાતે રમણલાલ દેસાઈનું બાવલુ

રમણલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકારઓ કનૈયાલાલ મુન્શી અને ધુમકેતૂના સમકાલીન હતા. તેઓ મોટાભાગે તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે જાણીતા છે. તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, કવિતાઓ, રેખાચિત્રો, પ્રવાસવર્ણનો, ઐતહાસિક નિબંધો, વિવેચન તેમજ જીવનવૃત્તાંત પણ લખ્યા છે.

સંયુક્તા નાટક તેમનું સૌપ્રથમ સાહિત્ય સર્જન હતું. તેમની પ્રથમ નવલકથા ઠગ (૧૯૨૪-૨૫) ગુજરાતી સામાયિક નવગુજરાતમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.[૫]

નવલકથાઓ ફેરફાર કરો

તેમણે ૨૭ નવલકથાઓ લખી છે.

દિવ્યચક્ષુ ફેરફાર કરો

૧૯૩૦ ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી, રમણલાલ વ. દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતાનિવારણ, સમાજસેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. સાથોસાથ અરુણ અને રંજનના પરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીના નિષ્ઠા તથા અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે.

ગ્રામલક્ષ્મી ફેરફાર કરો

રમણલાલ વ. દેસાઈની ૧,૨૩૩ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાંની અવદશાને આગળ કરે છે અને ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતાં બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તેની સમક્ષ ગ્રામલક્ષ્મી પ્રગટ થઈને તેને ગામડાંની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાંના ઉદ્ધાર માટે અશ્વિન એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે- એવું કથાનક છે. ગાંધીવિચારને ચરિતાર્થ કરવા તાકતી આ કથામાં કેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ, પાત્રનુરૂપ ભાષાનો અભાવ, બીબાંઢાળ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઊણપો જોઈ છે.

પાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતાં ગુજરાતી નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવનાઓ અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી, તત્કાલીન ગાંધીયુગીન સામાજિક ને રાજ્કીય પ્રશ્નો, શિક્ષિત સુખીમધ્યમાવર્ગીય જીવનમાંથી આવતાં આદર્શપરાયણ અને આદર્શને ખાતર દુન્યવી સુખોનો ત્યાગ કરવાની તમન્નાવાળાં યુવાન-યુવતી પાત્રો, એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણયત્રિકોણો અને તજજન્ય ઘર્ષણો, એકાદ ખલપાત્ર, કાવ્યન્યાય મુજબ આવતો ભાવનાપોષક અંત, કથાનાં એક-બે પાત્રોનો રહસ્યમય ભૂતકાળ, કથાની વચ્ચેવચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતનકણિકાઓ, સરળ લોકભોગ્ય ભાષા ઇત્યાદિ તત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે નિપજાવ્યું કે આ નવલકથાઓએ ૧૯૩૦-૪૦નાં વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચકવર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા. ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા ‘જયંત’ (૧૯૨૫)માં રચનારીતિનો જે ઢાંચો બંધાયો તે જ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે.

પ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધીવિચારો પ્રત્યેનો પક્ષપાત દેખાય છે. ‘શિરીષ’ (૧૯૨૭) અને ‘હૃદયવિભૂતિ’ (૧૯૪૦)માં ગુનેગાર ગણાતી કોમોની સેવાનો પ્રશ્ન કે ‘પૂર્ણિમા’ (૧૯૩૨)માંનો વેશ્યાજીવનનો પ્રશ્ન ગાંધીયુગીન પતિતોદ્ધારની ભાવનામાંથી આવે છે. ‘હૃદયનાથ’ (૧૯૩૨)માં વ્યાયામ અને અખાડાપ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે. પરંતુ ગાંધીયુગીન આદર્શો અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા ‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨) છે. અસ્પૃશ્યતા, સ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો-ભાવનાઓને આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે. એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ‘ગ્રામલક્ષ્મી’- ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં અસ્પૃશ્યતા, વિધવાવિવાહ, ગ્રામસફાઈ, હિંદુમુસ્લીમઐક્ય ઇત્યાદિ ગ્રામોન્નતિના પ્રશ્નોને વણી લીધા છે. ‘કોકિલા’ (૧૯૨૭)માં મજૂરજીવનનો પ્રશ્ન છે ખરો, પણ દાંપત્યપ્રેમનો મહિમા કૃતિના કેન્દ્રમાં છે. ‘સ્નેહયજ્ઞ’ (૧૯૩૧), મરણોત્તર પ્રકાશિત ‘ત્રિશંકુ’ (૧૯૫૫) તથા ‘આંખ અને અંજન’ (૧૯૬૦) એમની અન્ય સામાજિક નવલકથાઓ છે.

ગાંધીવિચાર સાથે સામ્યવાદી વિચાર ધરાવતાં પાત્રોનું આલેખન એમની નવલકથાઓમાં પ્રારંભથી દેખાય છે, પરંતુ ગાંધીયુગીન મૂલ્યો તરફનો એમનો અનુરાગ કૃતિને અંતે વિજયી બને છે. વચ્ચે થોડાંક વર્ષો દરમિયાન એમની દ્રષ્ટિમાં પરિવર્તન અનુભવાય છે. ‘શોભના’ (૧૯૩૯)માં પરાશરના પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેનો તટસ્થ ભાવથી જુએ છે. ‘છાયાનટ’ (૧૯૪૧)માં વાસ્તવવાદી અભિગમ છે. એમની નવલકથાઓના પ્રચલિત ઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શઘેલો ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહા્સવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે. ‘ઝંઝાવાત’- ભા. ૧-૨ (૧૯૪૮, ૧૯૪૯)માં સામ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ પ્રગટ થાય છે. ‘પ્રલય’ (૧૯૫૦)માં ઈ.સ. ૨૦૦૫ ના સમયના વિશ્વની કલ્પના કરી શસ્ત્રદોડ અને યુદ્ધ એ જ માનવજાતની નિયતિ છે એવો નિરાશાવાદી સૂર વ્યક્ત કર્યો છે. પરંતુ આ વાસ્તવવાદી ને નિરાશાવાદી દ્રષ્ટિ ફરી ભાવનાવાદ તરફ વળે છે તે ‘સૌંદર્યજ્યોત’ (૧૯૫૧)માં ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના અને ‘સ્નેહસૃષ્ટિ (૧૯૫૩)માં ગાંધીરંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યક્ત થાય છે. છેલ્લી કૃતિમાં તો ગાંધીવિચાર અને સામ્યવાદી વિચારના સમન્વયનું વલણ રહ્યું છે.

ઐતિહાસિક-પૌરાણિક વસ્તુ લઈ રચાયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગીન ભાવનાઓ ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે, તો ક્યાંક ઇતિહાસ કરતાં અન્ય લોકરંજક તત્વો બળવાન બન્યાં છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી, કળાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં રૂદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીકથિત અહિંસાની ભાવના વણી લીધી છે. ‘ક્ષિતિજ’ ભા. ૧, ૨ (૧૯૩૮, ૧૯૪૧)માં ગુપ્તસામ્રાજ્ય પૂર્વેના અલ્પ-ઐતિહાસિક સામગ્રીવાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે એટલું જ, અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતાને જોખમાવે છે. ‘પહાડનાં પુષ્પો’- ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૯), ‘કાલભોજ’ (૧૯૫૦) તથા ‘શૌર્યતર્પણ’ (૧૯૫૧) એ મધ્યકાલીન રાજપૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશષ જળવાયું છે. ‘બાલાજોગણ’ (૧૯૫૨) મીરાંના જીવન અને વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી ચરિત્રનવલકથા છે. ‘શચી પૌલોમી’ (૧૯૫૪) વીરતા, પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વસ્તુવાળી નવલકથા છે. ‘ઠગ’ (૧૯૩૮) નવલકથા ઐતિહાસિક કરતાં ભેદભરમ અને પ્રણયનાં લોકરંજક તત્વોવાળી વિશેષ છે. ‘બંસરી’ (૧૯૩૩) જાસૂસી નવલકથા છે. ‘ઝાકળ’ (૧૯૩૨), ‘પંકજ’ (૧૯૩૫), ‘રસબિંદુ’ (૧૯૪૨), ‘કાંચન અને ગેરું’ (૧૯૪૯), ‘દીવડી’ (૧૯૫૧), ‘ભાગ્યચક્ર’ (૧૯૫૨), ‘સતી અને સ્વર્ગ’ (૧૯૫૩), ‘ધબકતાં હૈયાં’ (૧૯૫૪) અને ‘હીરાની ચમક’ (૧૯૫૮) એ વાર્તાસંગ્રહોમાંની દોઢસો જેટલી વાર્તાઓમાં દાંપત્યજીવનની પ્રસન્નતા ને વેદના, પ્રેમની ભગ્નતા, કવિ-કલાકારનું માનસ, સામ્યવાદી વિચારોથી રંગાયેલાં પાત્રોની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું નિરૂપણ છે, છતાં પાંખા કળાતત્વને લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે.

અન્ય ફેરફાર કરો

‘સંયુક્તા’, ‘શંકિત હૃદય’ (૧૯૨૫), ‘અંજની’ (૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’ (૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’ (૧૯૩૮), ‘તપ અને રૂપ’ (૧૯૫૦), ‘પુષ્પોની સૃષ્ટિમાં’ (૧૯૫૨), ‘ઉશ્કેરાયેલો આત્મા’ (૧૯૫૪), ‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજુ બાવરા’ (૧૯૫૯) તથા ‘વિદેહી’ (૧૯૬૦)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાટ્યશોખ સૂચવે છે. તત્કાલીન વ્યવસાયી રંગભૂમિમાં નાટકોનો પ્રભાવ દાખવતી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક વસ્તુવાળી આ નાટ્યરચનાઓમાં કળાતત્વ પાખું છે, પણ તખ્તાલાયકી છે.

એમના કાવ્યસંગ્રહો ‘નિહારીકા’ (૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સંસ્કારવાળી છે.

‘ગઈકાલ’ (૧૯૫૦) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (૧૯૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’ (૧૯૫૩) પ્રવાસવર્ણનનો ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ થયા છે. ‘તેજચિત્રો’ (૧૯૪૨), ‘માનવસૌરભ’ (૧૯૬૦) અને ‘સ્વામી વિદ્યાનંદજી’ (૧૯૫૦) એમની ચરિત્રાત્મક કૃતિઓ છે.

‘જીવન અને સાહિત્ય’- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૮), ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨), ‘તાવડિયા ગામનું આર્થિક અવલોકન’ (૧૯૩૩), ‘ગ્રામોન્નતિ’ (૧૯૪૦), ‘રાજબંધારણ’ (૧૯૪૨), ગણિકાઓના જીવનનો સર્વાંગી અભ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ‘ગુજરાતનું ઘડતર’ (૧૯૪૫), ‘ઊર્મિ અને વિચાર’ (૧૯૪૬), ‘ગુલાબ અને કંટક’ (૧૯૪૮), ‘ભારતીય સંસ્કૃતિ’ (૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિંતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથો છે.

રૂપાંતરો ફેરફાર કરો

૧૯૩૭માં સર્વૌત્તમ બદામી દ્વારા તેમની નવલકથા કોકિલા પરથી હિંદી ચલચિત્ર રજૂ કરાયું હતું. તેમની અન્ય નવલકથા પૂર્ણિમા પરથી પણ ચલચિત્ર બન્યું હતું.[૬]

પુરસ્કારો ફેરફાર કરો

૧૯૩૨માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમની નવલકથા દિવ્યચક્ષુ માટે તેમને હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. Dr. Sanjay Kachot (૧૪ મે ૨૦૧૪). 19 Mi Sadinu Gujarati Patrakaratva Pravaho ane Prabhav. RED'SHINE Publication. Inc. પૃષ્ઠ ૩૮. ISBN 978-93-84190-11-8. મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ Mehta, Dipak (૧૯૮૦). Joshi, Ramanlal (સંપાદક). Ramanlal V. Desai. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી [Gujarati Men of Letters Series]. Ahmedabad: Kumkum Publication. પૃષ્ઠ ૧૦-૧૩.
  3. "About Kaumudi Munshi". The Life and Art of Kaumudi Munshi. મૂળ માંથી 2018-01-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭.
  4. "A.R Desai Sociology, Indian Thinkers". Sociologyguide.com. મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭.
  5. Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૯૨૭. ISBN 978-81-260-1803-1. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭.
  6. ૬.૦ ૬.૧ Gujarat (India) (૧૯૭૨). Gujarat State Gazetteers: Panchmahals. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ ૬૮૯.

બાહ્ય કડીઓ ફેરફાર કરો