રાષ્ટ્રીય મતદાતા દિવસ

ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. તેની ઉજવણી પાછળ ચૂંટણી પંચનો હેતુ એ હતો કે દર વર્ષે દેશભરના તમામ મતદાન મથક વિસ્તારોમાં, તે તમામ પાત્ર મતદારોની ઓળખ કરવામાં આવશે, જેમની ઉંમર 1 જાન્યુઆરીએ 18 વર્ષની થઈ ગઈ હશે. આ સંબંધમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે અને તેમને ચૂંટણી કાર્ડ નું ઓળખ પત્ર આપવામાં આવશે. ઓળખ કાર્ડ વિતરણની કામગીરી સામાજિક, શૈક્ષણિક અને બિનરાજકીય વ્યક્તિઓ કરશે. આ પ્રસંગે મતદારોને બેજ પણ આપવામાં આવશે, જેમાં લોગો સાથે 'મતદાર હોવાનો ગર્વ, મતદાન કરવા માટે તૈયાર' સૂત્ર અંકિત કરવામાં આવશે. મતદાન દિવસ બનાવવાનું મુખ્ય કારણ લોકોને મતદાનનું મહત્વ જણાવવાનું છે જેથી કરીને લોકો તેનાથી જાગૃત બને અને યોગ્ય ઉમેદવારને પસંદ કરે જેથી કરીને આપણા દેશનો વિકાસ કોઈ પણ અવરોધ વગર થઈ શકે. આ દિવસ ભારતના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે ભારતના દરેક નાગરિકે પોતાના રાષ્ટ્રની દરેક ચૂંટણીમાં ભાગ લેવાની શપથ લેવી જોઈએ, કારણ કે ભારતના દરેક વ્યક્તિનો મત દેશના ભવિષ્યનો પાયો નાખે છે. તેથી જ દરેક વ્યક્તિનો મત રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બને છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો