હિંમતલાલ દવે

ભારતીય સાધુ, ગાંધીવાદી કાર્યકર્તા અને ગુજરાતી લેખક
(સ્વામી આનંદ થી અહીં વાળેલું)

હિંમતલાલ દવે (૮ સપ્ટેમ્બર ૧૮૮૭ - ૨૫ જાન્યુઆરી ૧૯૭૬) નિબંધકાર, કોશકાર અને સાધુ હતા. જેઓ મુખ્યત્વે સ્વામી આનંદ વડે વધુ જાણીતા હતા. સંસ્કારશીલ અને લોકોનું ઘડતર કરે તેવા ગુજરાતી સાહિત્યના સર્જન માટે તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે.

સ્વામી આનંદ
જન્મની વિગત
હિંમતલાલ દવે

(1887-09-08)September 8, 1887
મૃત્યુ25 January 1976(1976-01-25) (ઉંમર 88)
મુંબઈ, ભારત
વ્યવસાય
  • લેખક
  • સાધુ
  • કાર્યકર્તા

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી તરીકે શીયાણી (વઢવાણ)માં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં પૂર્ણ કર્યું. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ કર્યો. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં તેમનો વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર થયું.

૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક ‘રાષ્ટ્રમત’ ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ) માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ ના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઈન્ડિયા’માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તેમ પછી થાણા (મુંબઈ), બોરડી (દ. ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અપાયેલો પુરસ્કાર (૧૯૬૯) સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન.

સર્જન ફેરફાર કરો

ગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડાઉતાર, તત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.

સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂરઆતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન અને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા લેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા સ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.

આ ઉપરાંત વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦) પણ એમણે આપ્યો છે; તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ (૧૯૭૭) લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે.

કુળકથાઓ (૧૯૬૬) ૧૯૬૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવનાર, સ્વામી આનંદનું પુસ્તક. એમાં મુંબઈનાં કેટલાંક જૂનાં ઘરાણાંની સાંભળેલી અને સાંભરેલી કથાઓનો સંચય છે. જૂની મુંબઈના વિકાસમાં ફાળો આપનાર. ભાટિયા, વાણિયા, લુહાણા કચ્છી કોમોમાં અસંખ્ય પુરુષાર્થી પાક્યા એને અંગે વાંચેલી કે સંઘરેલી નાનીમોટી ઇતિહાસકથા અથવા દંતકથા પરથી આ લેખોનો ઘાટ તૈયાર થયો છે. કોઈને રીઝવવા કે મિત્રોના મિથ્યાભિમાનને પોષવા નહિ પરંતુ લેખકના વ્યક્તિત્વઘડતરમાં ઓછોવત્તો ફાળો આપનાર પરિબળ તરીકેના આદરભાવને લીધે આ લખાયું છે. આ કુળકથાઓ મુંબઈ પૂરતી મર્યાદિત છે અને એમાં મુખ્યત્વે પહેલા પાયોનિયરો અંગેનું-મોરારજી ઘરાણું, ખટાઉ ઘરાણું, ઠાકરશી ઘરાણું, વસનજી ઘરાણું, એમ સર્વ ઘરાણાં અંગેનું-નિરૂપણ છે.

ધરતીનું લૂણ (૧૯૬૯) સ્વામી આનંદનો, મહાદેવથી મોટેરો અને બીજી અંજલિઓને સમાવતો ગ્રંથ. અહીં મુખ્યત્વે સ્મૃતિચિત્રો અને ચરિત્રોને ઉપસાવતાં લખાણો છે. વાચકોના રંજન કે સ્વાદ અર્થે નહિ પણ અહીં સદી સુધીના કે વધુ કાળના જાત-અનુભવ પછી થયેલાં દર્શન કે અવલોકનને વ્યક્ત કરવાની લેખકની નેમ છે. એમાં પોતાના નૈતિક કે આધ્યાત્મિક વિકાસનું પણ પ્રતિબિંબ છે. જાત-અનુભવાેમાંથી રજૂ થયેલાં આ પાત્રોમાં જીવનનું શહૂર એ મહત્તવનો ગુણ છે. અહીં સર્વત્ર માનવીનાં ઊંચાણોનું નિરૂપણ છે. બાળવિધવા દીકરીનું પુનર્લગ્ન કરતાં જ્ઞાતિએ કરેલા બહિષ્કારની ઢીંક ઝીલતાં અણનમ અનાવિલ મોનજી રૂદર અને ભીખીબાઈનાં ચરિત્ર ઉઠાવદાર છે. લેખકની ટૂંકા, સીધાં, તળપદાં વાક્યોથી તૈયાર થયેલી શૈલી મર્મગામી છે.

નઘરોળ (૧૯૭૫) સ્વામી આનંદનું પુસ્તક. આમાં પ્રકરણ ૧ થી ૫ અંગ્રેજીમાં જુદા જુદા સમયે વાંચેલાં લખાણોને આધારે કરેલી રજૂઆતનાં છે. હીરોશીમાનો હત્યારો ઈથરલી અસલમાં માનવસંહારની અસરથી કોરોધાકોર હોવા છતાં અખબારો, લેખકો, મનોવિજ્ઞાનીઓએ શા માટે એને રાતોરાત હીરોશીમાના પરાક્રમનો મહાન વીર આગેવાન બનાવી દીધો એની રસપ્રદ બીનાનાં બે પ્રકરણો નોંધપાત્ર છે. ‘અમેરિકન ધોબણ’ ની જેલવીતી પણ દ્રાવક છે. આ લેખકનાં અન્યત્ર કલ્પનાનો આધાર લઈને તૈયાર થયેલાં ગુણદર્શી ચરિત્રોની પડછે અહીં માનવચરિત્રમાંના હીણા અંશોનું અનાયાસ ચિત્રણ થયું છે. જાત-અનુભવમાંથી હડફેટે ચઢેલાં એવાં રીઢાં, અઘોરી, નઠોર ચરિત્રોને લેખકે આ પુસ્તકમાં સંઘર્યાં છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડી ફેરફાર કરો