જગદીશ જોષી

ગુજરાતી કવિ અને અનુવાદક

જગદીશ રામકૃષ્ણ જોશી, ઉપનામ ‘સંજય ઠક્કર’, ગુજરાતી કવિ અને અનુવાદક હતા.

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૯-૧૦-૧૯૩૨ના રોજ મુંબઈમાં થયો હતો. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. ૧૯૫૭ થી ૧૯૭૮ સુધી બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૭૯ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું મરણોત્તર પારિતોષિક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. મુંબઈમાં ૨૧-૯-૧૯૭૮ના રોજ તેમનું અવસાન થયું હતું.

સર્જન ફેરફાર કરો

‘આકાશ’ (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પરંપરામાં રહીને અદ્યતન બનવાનો કવિનો પુરુષાર્થ મુખ્યત્વે લયપૂર્ણ ગીતોની હથોટીમાં દેખાય છે. છાંદસ અને અછાંદસ રચનાઓ ઊંચા સત્ત્વવાળી નથી. ‘વમળનાં વન’ (૧૯૭૬) કાવ્યસંગ્રહની કુલ ૧૧૪ રચનાઓમાં વધુ સંખ્યા ગીતોની છે. અહીં અછાંદસ, છાંદસ કે ગઝલ રચનાઓ વધુ નોંધપાત્ર નથી, પરંતુ ગીતોમાં રહેલો પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ કેટલીક રચનાઓને સફળ પુરવાર કરે છે. ‘મોન્ટાકૉલાજ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૯) ચૌદ દીર્ઘકૃતિઓનો સંગ્રહ છે. મોન્ટાજ અને કૉલાજના સંકરમાંથી સિદ્ધ કરેલું શીર્ષક કાવ્યોનાં અસંગત દ્રશ્યસંયોજનો અને એની વિચ્છિન્નતાને સૂચવે છે. દ્રશ્યોની પ્રતીકાત્મકતા અને આંતરિક ભાવછબી ક્યારેક રોચક હોવા છતાં ભાષાનું સ્તર એકંદરે વિષમ રહ્યું છે. અન્ય :- ધારોકે એક સાંજે આપણે મળ્યા

‘વાર્તાની પાંખે’ (૧૯૭૨), ‘વાર્તાની મોજ’-ભા.૧-૨-૩ (૧૯૭૨), ‘હું તો નિત્ય પ્રવાસી’ (૧૯૭૩), ‘વાર્તા રે વાર્તા’ –ભા.૧-૨-૩ (૧૯૭૩), ‘સુલભ સમૂહજીવન’- ભા.૧-૨-૩ (૧૯૭૪) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘મરાઠી કવિતા-ગ્રેસ’ (૧૯૭૮) અને ‘સૂર્યઘટિકાયંત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૮૧) એમના અનુવાદો છે.

વમળનાં વન (૧૯૭૬) : જગદીશ જોષીનો, ‘આકાશ’નો અનુગામી કાવ્યસંગ્રહ. અહીં કુલ ૧૧૪ કૃતિઓ છે; એમાં સત્તાવન ગીતો છે અને બાકીનાં અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. આધુનિક અને તળપદા સંવેદનનું જયાં રસાયણ થયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે. ગદ્યકાવ્યોમાં પણ ક્યારેક સારું પરિણામ આવ્યું છે. ‘એક હતી સર્વકાલીન વારતા’ આ સંગ્રહની નીવડેલી ગીતરચના છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો