લોકરીતિઓ (અંગ્રેજી: folkways) એ એવા સામાજિક ધોરણો છે કે જેનું અનુસરણ સમાજજીવનમાં પ્રણાલિકાગત અનૌપચારિક રીતે થતું આવે છે. લોકરીતિને અનુરૂપ વર્તન કરવા માટે કોઈ કાયદો કે અન્ય કોઈ સામાજિક સાધન (agency) જરૂરી હોતાં નથી.[૧]

જેની સાથે સંબંધિત લાગણીઓની તીવ્રતા ઓછી હોય, જેના અમલ માટેનાં આકર્ષણો કે સજાઓ બહુ સ્પષ્ટ કે ચુસ્ત હોતાં નથી, જેના પાલન માટે કદર કે સજાઓની ખાસ જરૂર રહેતી નથી તથા સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ જેનો અમલ કે ભંગ બહુ મહત્ત્વનો કે ગંભીર લેખાતો નથી તેવાં અનૌપચારિક અલિખિત સ્વરૂપનાં સામાજિક ધોરણોને લોકરીતિઓ કહેવામાં આવે છે.[૨]

જેમ કે, બહાર જતી વખતે જોડા કે ચંપલ પહેરવા અને ધર્મસ્થાનમાં જતી વખતે તે બહાર કાઢવા, સવારમાં ઊઠીને દાતણ કરવું, વડીલ હોય તેમને પત્રમાં માનાર્થે સંબોધન કરવું, પ્રશંસા દર્શાવવા તાળી પાડવી, કોઈ વાતચીત કરતું હોય ત્યારે વચ્ચે ન બોલવું વગેરે રોજિંદા વર્તન અંગેના ધોરણોના પાલન માટે કોઈ કાયદો ન હોવા છતાં સ્વાભાવિક રીતે જ સમાજના સભ્યો તે મુજબનું વર્તન કરતાં હોય છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ શાહ, વિપીનભાઈ (૧૯૭૫). સમાજશાસ્ત્ર પ્રવેશ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: રચના પ્રકાશન. પૃષ્ઠ ૧૨૫.
  2. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૨૭. ISBN 978-93-85344-46-6.