(૨) કલ્પ:

·        ક્લ્પ શબ્દનો અર્થ:- કલ્પ એટલે કર્મકાંડનું વિજ્ઞાન. અર્થાત્ વેદમાં બતાવેલ કર્મકાંડનું શાસ્ત્રીય વર્ણન, સમજ અને નિર્દેશન રજૂ કરનાર શાસ્ત્ર. કલ્પગ્રંથો સૂત્ર, એટલેકે સંક્ષિપ્ત કાવ્યમય રચનાના રૂપમાં હોવાથી ‘કલ્પસૂત્રો’ તરીકે ઓળખાય છે. કલ્પસૂત્રો વેદમાં બતાવેલ ક્રિયાકાંડ, કર્તવ્ય અને ધાર્મિક વિધિઓને વેદઆધારિત પદ્ધતિઓ દ્વારા વિગતવાર છતાં સરળ રીતે સમજાવે છે. એટલે ક્રિયા કરનાર હાથના સ્વરૂપસમા કલ્પને ‘વેદના હાથ’ કહેવામાં આવે છે (हस्तौ कल्पोSथ पठ्यते I)

      કલ્પસૂત્રો ચાર પ્રકારનાં છે:

૧) શ્રોતસૂત્ર: વેદમાં બતાવેલ દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, સોમયાગ, વાજપેય, અશ્વમેઘ જેવા અનેક યજ્ઞોના પ્રકાર, પધ્ધતિ અને તેની વિધિને લગતાં કર્મકાંડનું વર્ણન અને તેના વિષે સમજ આપનાર સૂત્રોને શ્રોતસૂત્ર કહેવામાં આવે છે.

૨) ગૃહ્યસૂત્ર: ગૃહસ્થના જન્મથી મૃત્યુ સુધીનાં સોળ સંસ્કાર જેવાં કર્તવ્યો અને અનુષ્ઠાનોનું વર્ણન કરનાર સૂત્રોને ગૃહ્યસૂત્ર કહેવામાં આવે છે.

૩) ધર્મસૂત્ર: ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક કર્તવ્યોનું વર્ણન કરનાર સૂત્રોને ધર્મસૂત્ર કહેવામાં આવે છે. અહીં વર્ણવ્યવસ્થા, રાજાની ફરજો જેવા અનેક વિષયોનું વિવરણ છે.

૪) શુલ્બસૂત્રો: યજ્ઞકુંડના માપ અને ભૂમિતિની વિગતો, યજ્ઞની સામગ્રીની વિગતો  તથા તેની રચનાની પધ્ધતિઓનું વર્ણન જે ગ્રંથોમાં થયેલું છે, તે શુલ્બસૂત્રો છે. શુલ્બ એટલે માપવાની દોરી અને શુલ્બસૂત્ર એટલે માપનું વિજ્ઞાન. આ ગ્રંથોને રેખાગણિત (Geometry)નાં મૂળ સ્ત્રોત કહી શકાય. વળી નિર્માણશાસ્ત્ર (બાંધકામ વિજ્ઞાન)નાં બીજ પણ આ ગ્રંથોમાં છે.     

વેદની દરેક શાખાનું એક કલ્પસૂત્ર હોવું જોઈએ. તે પ્રમાણે કુલ ૧૧૩૦ કલ્પસૂત્રો હોવાં જોઈએ. પરંતુ આમાંથી હાલ ફક્ત ૪૦ કલ્પસૂત્રો ઉપલબ્ધ છે. આમાંથી મહત્વનાં કલ્પસૂત્રો આ મુજબ છે: