શશિન્ નટવરલાલ ઓઝા (૩-૧૨-૧૯૨૪) કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮ થી પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક.

‘અભ્યર્થના’ (૧૯૫૯)ની ગંભીર કાવ્યરચનાઓ કરતાં હળવી વિનોદ અને કટાક્ષપ્રધાન કાવ્યરચનાઓ વિશેષ નોંધપાત્ર છે. ‘મધ્યકાલીન ગુજરાતી આખ્યાન’ (૧૯૬૯) એમનો આખ્યાનના સ્વરૂપ અને મધ્યકાલીન ગુજરાતી કવિતામાં થયેલા તેના વિકાસની ચર્ચા કરતો વિવેચનગ્રંથ છે. એ સિવાય ‘માનવતાનાં લીલામ’ (૧૯૫૧) અને ’૮૦ દિવસમાં દુનિયાની પ્રદક્ષિણા’ (૧૯૬૧) એ વિદેશી નવલકથાઓના અનુવાદો ચે. ‘સુખી જીવનની પગદંડી’ (૧૯૫૪) એ ‘કણ આણિ ક્ષણ’ મરાઠી નિબંધપુસ્તકોનો, ‘સદાચારને પગલે’ (૧૯૫૯) એ મરાઠી નિબંધકાસંગ્રહ ‘પુઢે પાઉલ’નો, ‘યુગાંત’ (૧૯૮૦) એ ઈરાવતી કર્વેના ગ્રંથોનો તથા ‘પુરાતત્વને ચરણે’ (૧૯૮૪) એ ડૉ. હસમુખ સાંકળિયાની અંગ્રેજી આત્મકથાનો અનુવાદ છે.

સ્ત્રોત ફેરફાર કરો

ગુજરાતી સાહિત્ય પરિષદ