સામાજિક આંતરક્રિયા એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે કોઈ માધ્યમ દ્વારા થતી ક્રિયા-પ્રતિક્રિયા. માધ્યમ તરીકે શબ્દ, આવેગ, શારીરિક સંપર્ક, સામાજિક પ્રતિકો વગેરે હોઈ શકે છે. સામાજિક આંતરક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક કેન્દ્ર સ્થાન ધરાવે છે. આંતરક્રિયામાં બે પક્ષ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા એકબીજાની આંતરિક કે બાહ્ય વર્તણૂકને પ્રભાવિત કરે છે.[૧]

માનવસમાજમાં એકમાર્ગી અને દ્વિમાર્ગી બે પ્રકારની આંતરક્રિયાઓ જોવા મળે છે. સૂચન, અનુકરણ, સહાનુભૂતિ વગેરે એકમાર્ગી આંતરક્રિયાઓ છે. દ્વિમાર્ગી આંતરક્રિયાઓના વિવિધ સ્વરૂપોમાં સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ વગેરેનો સમાવેશ થાય છે.[૧]

લક્ષણો ફેરફાર કરો

સામાજિક આંતરક્રિયામાં મુખ્ય ત્રણ બાબતો રહેલી છે, જે તેની શરતો છે. આ શરતો પળાય ત્યારે જ સામાજિક આંતરક્રિયા થઈ એમ કહેવાય છે. આ ત્રણ શરતો નીચે મુજબ છે:[૨]

  • બે કે તેથી વધુ પક્ષો: સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા બે પક્ષો હોવા જોઈએ. આ બે પક્ષોમાં વ્યક્તિ-વ્યક્તિ, વ્યક્તિ-જૂથ અને જૂથ-જૂથ વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા થતી રહે છે.
  • સંપર્ક: સામાજિક આંતરક્રિયામાં બંને પક્ષો વચ્ચે સંપર્ક હોવો જરૂરી છે, એટલે કે વ્યક્તિઓ કે જૂથો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે ત્યારે જ તેમની વચ્ચે આંતરક્રિયા શક્ય બને છે.
  • માધ્યમ: બંને પક્ષ સંપર્કમાં આવે ત્યારે એકબીજા ઉપર અસરકર્તા બનવા માટે કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ કરે છે. આ માધ્યમોમાં ભાષા, વાણી, અંગચેષ્ટાઓ, સામાજિક પ્રતિકો વગેરેનો સમાવેશ થાય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૭૮–૧૭૯. ISBN 978-93-85344-46-6.
  2. વાઘેલા, અનિલ એસ. (૨૦૧૫). સમાજશાસ્ત્રનો પરિચય (તૃતિય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૨–૪૧. ISBN 978-93-81265-50-5.