નાયોબિયમ

રાસાયણિક તત્વ, ચિહ્ન Nb અને આણ્વિય ક્રમાંક 41

નાયોબિયમ અથવા કોલમ્બિયમ, એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Nb અને અણુ ક્રમાંક ૪૧ છે. આ એક હળવી, રાખોડી, તંતુભવનક્ષમ સંક્રાતિ ધાતુ તત્વ છે. આ ધાતુ પ્રાયઃ પાયરોક્લોર નામના ખનિજમાં મળી આવે છે કે નાયોબિયમનું અને કોલ્બાઈટનું પ્રમુખ વાણિજ્યિક સ્ત્રોત છે. આનું નામ ગ્રીક પુરાણ કથાના પાત્ર ટેન્ટેલસની પુત્રી નાયોબ પરથી રાખવામાં આવ્યું છે.

નાયોબિયમ અને ટેન્ટેલમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખાં હોવાથી તેમની વચ્ચે ફરક કરવો ખૂબ અઘરો છે. ૧૮૦૧માં બ્રિટિશ રસાયણ શાસ્ત્રી ચાર્લ્સ હેચેટએ ટેન્ટલમ સમાન એક તત્વ હોવાની જાણકારે આપી હતી અને તેનું નામ કોલ્મ્બિયમ આપ્યું હતું. ૧૮૦૯માં અંગ્રેજ રસાયણ શાસ્ત્રી વિલિયમ હાઈડ વોલસ્ટોન એ નિષ્કર્ષ કાઢ્યું કે ટેન્ટેલમ અને કોલમ્બિયમ એકજ ધાતુ છે જો કે તે ભૂલ ભરેલું હતું. ૧૮૪૬માં જર્મન રસાયણ શાસ્ત્રી હેનરીચ રોસ એ શોધ્યું કે ટેન્ટલમનું ખનિજ એક અન્ય તત્વ ધરાવે છે જેને તેણે નાયોબિયમ નામ આપ્યું. ૧૮૫૪ અને ૧૮૬૫ના થયેલા ઘણાં પ્રયોગોએ સિદ્ધ કર્યું કે નાયોબિયમ અને કોલ્મ્બિયમ એકજ તત્વ હતા પણ તે ટેન્ટેલમથી ભિન્ન હતાં. એક સદી સુધી આ બંને નામો વપરાતાં રહ્યાં. ૧૯૪૯માં આ તત્વનું નામ નાયોબિયમ તરીકે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યુ.

૨૦મી સદી સુધી નાયોઇયમનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ શોધાયો ન હતો. બ્રાઝિલ એ વિશ્વમાં નાયોબિયમ અને ફેરોનાયોબિયમ (લોખંડ અને નાયોબિયમની મિશ્ર ધાતુ)નો પ્રમુખ ઉત્પાદક દેશ છે. નાઓબિયમનો પ્રમુખ ઉપયોગ મિશ્ર ધાતુની બનાવટમાં જ થાય છે, ખાસ કરીને ગેસનું વહન કરનારી પાઈપલાઈન ના પાઈપોની બનાવટમાં. મિશ્રધાતુમાં નાયોબિયમનું પ્રમાણ માત્ર ૦.૧% જેટલું જ હોય છે પણ તે પોલાદની શક્તિ અનેક ગણી વધારી દે છે. નાયોબિયમ મિશ્રિત મિશ્રધાતુઓ ઊંચા તાપમાને સ્થિર રહે છે તેના આ ગુણને કારણે તેનો ઉપયોગ જેટ એંજીન અને રોકેટ એંજીનોમાં થાય છે. નાયોબિયમનો ઉપયોગ ઘણા સુપર કંડ્ક્ટીવીટી ધરાવતા પદાર્થોની બનાવટમાં કરવા માં આવે છે. નાયોબિયા સાથે ટાઈટેનોઇયમ અને ટીન ધરાવતી મિશ્રધાતુઓનો ઉપયોગ એમ આર આઈ (મેગ્નેટીક રેસોનાન્સ ઈમેજીંગ - ચુંબકીય કંપન છબી રચના) સ્કેનરના સુપર કંડક્ટીંગ લોહચુંબકો બનાવવા માટે થાય છે. આ સિવાય નાયોબિયમ ધાતુ જોડાણ (વેલ્ડીંગ), કિરણોત્સારી ઉદ્યોગો, ઈલેક્ટ્રોનિક્સ, ઓપ્ટીક્સ (પ્રકાશશાસ્ત્ર), સિક્કાઓના ઉદ્યોગમાં અને આભૂષણો બનાવવા માટે થાય છે. નાયોબિયમ્ની અલ્પ વિષતા અને એનોડાયઝેશનનેએ પ્રક્રિયા દ્વારા સરળતાથે રંગ કે ઢોળ ચડાવી શકવાની લાયકાને કારણે સિક્કાઓના ઉદ્યોગમાં અને આભૂષણો ઉદ્યોગમાં ઉપયોગી છે.