મંદાક્રાન્તા

એક સંસ્કૃત છંદ

મંદાક્રાન્તા અથવા મન્દાક્રાન્તા એ એક સંસ્કૃત છંદ છે. આ છંદનો લય-ઢાળ ધીમે ધીમે આક્રંદ થતું હોય તેવો હોવાથી એનું નામ મંદાક્રાન્તા રાખવામાં આવેલ છે. કવિ કાલિદાસનું જાણીતું ખંડકાવ્ય 'મેઘદૂત' આખું આ છંદમાં રચાયું છે.[૧]

બંધારણ ફેરફાર કરો

મંદાક્રાન્તા છંદના દરેક ચરણમાં ૧૭ અક્ષરો હોય છે. તેમાં ૪ અને ૧૦ અક્ષરે યતિ આવે છે. તેનું બંધારણ મ, ભ, ન, ત, ત ગણ અને બે ગુરુ (ગાગા) છે.[૧]

ખંડ મંદાક્રાન્તા ફેરફાર કરો

મંદાક્રાન્તા છંદના ૪, ૬ અને ૭ અક્ષરના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડને બે કે ત્રણવાર પ્રયોજીને પછી છંદનું પૂરું ચરણ યોજ્યું હોય તો ખંડ મંદાક્રાન્તા છંદ બને છે.[૧]

ઉદાહરણ તરીકે:

અર્ધા સૂકાં
ખાવા ધાયે
ક્ષેત્રો લૂખાં
    વિણકણસલાં ગાવડી શાં વસૂક્યાં — ઉમાશંકર જોશી

અનુમંદા છંદ ફેરફાર કરો

મંદાક્રાન્તા છંદના ૧૭ અક્ષરના ચરણને અંતે આવતા બે ગુરુ અક્ષરોની વચ્ચે એક લઘુ ઉમેરીએ તો અનુમંદા છંદ બને છે. આમ આ છંદ મ, ભ, ન, ત, ત, ર બંધારણવાળો ૧૮ અક્ષરનો છંદ છે, જેમાં યતિ યથાવત રહે છે.[૧]

ઉદાહરણ તરીકે:

અજ્ઞાનોનાં તિમિર ટળતાં
           દિવ્ય દ્રષ્ટિ પ્રફુલ્લતી
પાપો કેરો પ્રસાર સરતાં
           પુણ્ય યાત્રા પ્રવર્તતી

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ મારુ, રમણીકલાલ (૨૦૧૫). ગુજરાતી ભાષાનું પિંગળ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૧૪૫–૧૫૦. ISBN 978-93-83317-46-2.