મૃદુલા સારાભાઈ

ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી

મૃદુલા સારાભાઈ (૬ મે ૧૯૧૧ – ૨૬ ઓક્ટોબર ૧૯૭૪) એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને રાજકારણી હતા. તેઓ અમદાવાદના સારાભાઈ કુટુંબના સભ્ય હતા.

મૃદુલા સારાભાઈ
જન્મ૧૯૧૧ Edit this on Wikidata
મૃત્યુ૨૬ ઓક્ટોબર ૧૯૭૪ Edit this on Wikidata

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદ, ભારતમાં એક સમૃદ્ધ વ્યાપારી પરિવારમાં થયો હતો. તેઓ અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીના આઠ બાળકોમાંના એક અને વિક્રમ સારાભાઈના બહેન હતા.[૧] તેમનું શિક્ષણ ઘરમાં જ બ્રિટિશ અને ભારતીય શિક્ષકો દ્વારા તેમના માતા-પિતાની દેખરેખ હેઠળ થયું હતું. ૧૯૨૮માં તેમણે કોલેજના શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું પરંતુ પછીના વર્ષે ગાંધીજીની હાકલથી દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા માટે તેમણે શિક્ષણ છોડી દીધું. ગાંધીજીના વિદેશી વસ્તુ અને સંસ્થાનોનો બહિષ્કાર કરવા માટે તેમણે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ના પાડી દીધી હતી.

કોંગ્રેસ સાથે જોડાણ અને સ્વતંત્રતાસેનાની ફેરફાર કરો

નાની વયે મૃદુલા મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ આવ્યા હતા. તેઓ કોંગ્રેસની વાનર સેના (ઇન્દિરા ગાંધી દ્વારા આયોજીત બાળ કાર્યકરોનું એક જૂથ) માં જોડાયા અને સત્યાગ્રહીઓનો સંદેશા મોકલવાનું અને પાણી આપવાનું કાર્ય કર્યું હતું. ૧૯૨૭માં તેમણે રાજકોટમાં યુથ કોન્ફરન્સના આયોજનમાં મદદ કરી હતી. તેઓ જવાહરલાલ નેહરુથી પ્રભાવિત હતા, જેઓ તેમના મિત્ર અને માર્ગદર્શક બન્યા. દાંડી સત્યાગ્રહ દરમિયાન તેઓ કોંગ્રેસ સેવા દળમાં જોડાયા અને વિદેશી કાપડ અને બ્રિટિશ માલનો બહિષ્કાર કર્યો. દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બ્રિટિશરોએ તેમની ધરપકડ કરી કેદ આપી હતી.[૨]

૧૯૩૪માં, તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. જોકે, ત્યાર પછીના વર્ષોમાં તેમના સ્વતંત્ર વલણના કારણે અન્ય નેતાઓ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. જ્યારે પક્ષે તેમના નામાંકનની ના પાડી ત્યારે તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા અને સૌથી વધુ મતોના ભેદથી ચૂંટાયા હતા.

૧૯૪૬માં જવાહરલાલ નેહરુએ તેમની નિમણૂક કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય તરીકે કરી. નોઆખલીમાં હુલ્લડો ફાટી નીકળ્યા પછી તેમણે રાજીનામું આપી અને ગાંધીજીની જોડે ત્યાં ગયા. જ્યારે તેમણે પંજાબમાં હુલ્લડો ફાટી નીકળવાનું સાંભળ્યું ત્યારે તેમણે તરત જ જવાહરલાલ નહેરુનો સંપર્ક કર્યો અને તેઓ પંજાબ જવા રવાના થયા અને ત્યાં તેમણે શાંતિ સ્થાપવમાં અગત્યનો ભાગ ભજવ્યો.[૧] ભારતના ભાગલા વખતે તેમણે શાંતિ સ્થાપવામાં ભજવેલી ભૂમિકા ભારત અને પાકિસ્તાનના નેતાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

જોકે, ભારતની સ્વતંત્રતાના કેટલાંક વર્ષો પછી કોંગ્રેસ સાથે તેમના મતભેદો સપાટી પર આવ્યા. પછીના વર્ષોમાં તેમણે કાશ્મીરની બહાર તેમના જૂનાં મિત્ર શેખ અબદુલ્લાને ટેકો પૂરો પાડ્યો.[૧] તેમણે કાશ્મીર ષડયંત્ર ઘટનાના મુકદમા માટે નાણાંકીય સહાય પણ પૂરી પાડી હતી.[૩] કાશ્મીરમાં તેણીને મુકદમા વગર કેટલાંય મહિનાઓ માટે જેલવાસ થયો હતો.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Rebel With A Cause
  2. Mahatma Gandhi: Salt satyagraha: the watershed by Navjivan Publications , 1995:pp 263-On 9 April in Ahmedabad Khurshedbehn Naoroji and Mridula Sarabhai were arrested for selling contraband salt.
  3. "he Sheikh's expenses were met by his woman friend, Mridulla Sarabai, who was the daughter of the owner of the Bombay-based famous industry "Sarabai Chemicals"". મૂળ માંથી 2011-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-09.
  4. [૧] India, Pakistan and the secret jihad: the covert war in Kashmir, 1947-2004 By Praveen Swami

વધુ વાંચન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો