રફાયેલ

ઈટાલીયન ચિત્રકાર અને સ્થપતિ

રફાયેલ સાંઝિયો (અંગ્રેજી: Raffaello Sanzio da Urbino; ૨૮ માર્ચ અથવા ૬ અપ્રિલ, ૧૪૮૩ - ૬ અપ્રિલ ૧૫૨૦), કે જેઓ રફાયેલ નામથી વધુ જાણીતા છે, રેનેસાં કાળના ઈટાલીયન ચિત્રકાર અને સ્થપતિ હતા. રેનેસાં કાળના ઈટાલીના ત્રણ મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે એમની ગણના થાય છે. [૧]

રફાયેલ
રફાયેલનું અનુમાનિત ચિત્ર
જન્મની વિગત
રફાયેલ સાંઝિયો

(1483-03-28)28 March 1483 અથવા (1483-04-06)6 April 1483
ઉર્બિનો, ઈટાલી
મૃત્યુ6 April 1520(1520-04-06) (ઉંમર 37)
રોમ
વ્યવસાય
  • ચિત્રકાર
  • સ્થપતિ
ચળવળરેનેસાં

જીવન ફેરફાર કરો

રફાયેલ સાંઝિયોનો જન્મ ૨૮ માર્ચ અથવા ૬ અપ્રિલ, ૧૪૮૩ના રોજ ઈટાલીના ઉર્બિનોમાં થયો હતો. એમની માતાનું નામ મેજિયા દિ બાતિસ્તા અને પિતાનું નામ જિયોવાની સાન્તીના હતું. રેનેસાં કાળના પ્રસિદ્ધ જીવનકથાકાર વસારીના મતાનુસાર રફાયેલના પિતા જિયોવાની એક સામાન્ય ચિત્રકાર હતા. એમના હાથ નીચે રફાયેલે કલાશિક્ષણ મેળવેલું. ૧૪૯૧માં રફાયેલનાં માતાનું અવસાન થતાં જિયોવાનીએ બીજાં લગ્ન કર્યા. પરંતુ ત્યારબાદ ૧૪૯૪માં જિયોવાનીનું પણ અવસાન થયું.[૨] આમ અગિયાર વર્ષની ઉંમરે રફાયેલ અનાથ બનેલા. ત્યાર પછી એમને ઉર્બિનોના ફેડેરિકોએ આશ્રય આપેલો અને પોતાની કૉર્ટમાં ચિત્રકાર તરીકે સ્થાન આપેલું. અહીં રફાયેલને પોતાનાથી મુરબ્બી વયના રેનેસાં કાળના ત્રણ મહત્વના કળાકારો; દોનેતો બ્રામાન્તે, લિયોન બાતીસ્તા આલ્બેર્તી અને પિયેરો દેલ્લ ફ્રાન્ચેસ્કા સાથે પરિચય થયેલો, જે ઘણો ફળદાયી બનેલો.[૧]

વસારીના મતાનુસાર પિતા જિયોવાની રફાયેલને પેરુજિયા નગરમાં લઈ ગયા હતા. ત્યાં એ ઉમ્બ્રિયન ચિત્રકાર પિયેત્રો પેરુજિનોના શિષ્ય બન્યા હતા. પેરુજિનોની શાંત વાતાવરણ અને મોહક રંગોની અસર રફાયેલના જીવનમાં આજીવન રહી. વસારીના મતાનુસાર આ પછી થોડા સમય માટે રફાયેલ ચિત્રકાર બર્નાર્ડિનો પિન્ટુરિકિયોના શિષ્ય બન્યા. આ પછી તેઓ ફ્લૉરેન્સ ગયા અને ત્યાં લિયોનાર્દો, માઇકલૅન્જેલો, ફ્રા બાર્તોલોમિયો, મસાચિયો, દોનતેલ્લો, વેરોકિયો અને ઍન્તોનિયો પાલાઇઓલોની કલાકૃતિઓનો અભ્યાસ કર્યો. લિયોનાર્દો અને માઇકલૅન્જેલો પાસેથી રફાયેલે ઘણું જ્ઞાન મેળવ્યું, જેમાં સંરચના, ધૂંધળા પ્રકાશ અને તીવ્ર પ્રકાશનો સમાવેશ થાય છે. બ્રામાન્તેની સુચનાથી અને પોપ જુલીયસ બીજાના આદેશથી રફાયેલે જીવનના અંતિમ બાર વર્ષો રોમમાં વિતાવ્યાં હતાં. ૬ અપ્રિલ ૧૫૨૦ના રોજ રોમ ખાતે ૩૭ વર્ષની યુવાન વયે એમનું મૃત્યુ થયું હતું.[૧]

કાર્ય ફેરફાર કરો

 
રફાયેલ દ્વારા દોરાયેલ ચિત્ર લા ડિસ્પુટા

વૅટિકન પૅલેસમા રફાયેલે દોરેલા ભીંતચિત્રોની ગણના એમની સૌથી ઉત્તમ કલાકૃતિઓમાં થાય છે. આ ભીંતચિત્રોમાં ડિસ્પુટા અને સ્કૂલ ઑફ એથેન્સ એમની સૌથી વધુ મહત્વની કલાકૃતિઓ ગણાય છે. ડીસ્પુટામાં રોમન ચર્ચના સંતો અને પાદરીઓના જૂથની ઉપર ઈશ્વર અને પયંગબરોનું ચિત્રાલેખન થયું છે. જ્યારે સ્કૂલ ઑફ એથેન્સમાં તત્કાલીન અને પ્રાચીન ગ્રીક તત્વચિંતકોને સ્થાપત્યની વચ્ચે આલેખ્યા છે. આ ચિત્રમાં પ્લેટો અને એરિસ્ટોટલનો પણ સમાવેશ થાય છે.[૧]

મધુર રંગો, લાવણ્યસભર માનવ આકૃતિઓ અને સૌષ્ઠવયુક્ત સંરચના રફાયેલના ચિત્રોની વિશેષતાઓ છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ મડિયા, અમિતાભ (અપ્રિલ ૨૦૦૩). ગુજરાતી વિશ્વકોષ (ય - રાં). ખંડ ૧૭. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૯૭. Check date values in: |date= (મદદ)
  2. Giorgio Vasari, Life of Raphael from the Lives of the Artists, edition used: Artists of the Renaissance selected & ed Malcolm Bull, Penguin 1965