સિલ્વર જ્યુબિલી રેલ્વે બ્રીજ, ભરુચ

સિલ્વર જ્યુબિલી રેલ્વે બ્રીજ ભારત દેશમાં આવેલ એક રેલ માર્ગ પરનો પુલ છે, જેનું  બી. બી. એન્ડ સી. આઈ. આર રેલવે દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું અને સામાન્ય રીતે સિલ્વર જ્યુબિલી રેલ્વે બ્રીજ તરીકે ઓળખાય છે. તે નર્મદા નદી પર અંકલેશ્વર જં. અને ભરુચ જં. રેલવે સ્ટેશનો વચ્ચે આવેલ છે. આ રેલ્વે પુલનો નંબર ૫૦૨ છે. આ પુલ બનાવવાની કામગીરી મેસર્સ બ્રેઇથવેઇટ એન્ડ કંપની (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (જેણે પિયર્સ બાંધ્યા હતા)ના સહયોગ સાથે કરવામાં આવી હતી. આ પુલનું નામ યુનાઇટેડ કિંગડમના શાસક સમ્રાટ જ્યોર્જ પાંચમાની સિલ્વર જ્યુબિલીના સન્માનમાં આપવામાં આવ્યું હતું.

બાંધકામ ૧૯૩૩ના વર્ષમાં શરૂ કર્યું હતું અને ૧૯૩૫ના વર્ષમાં પૂર્ણ થયું હતું. તેનું ઉદ્ઘાટન છે ૨૦મી ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ મુંબઈના ગવર્નર લોર્ડ બ્રાબોર્ન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ ૧.૪૦૬ કિમી લાંબો છે. આ પુલના ૧૭ સ્પાન છે, જે પૈકી એક સ્પાન ૧૮.૨૮ મીટર, એક સ્પાન ૭૬.૨૦ મીટર અને બાકીના દરેક સ્પાન ૮૭.૪૮ મીટર લંબાઈ ધરાવે છે. આ પુલના ગર્ડર હળવા સ્ટીલમાંથી બનાવવામાં આવ્યા હતા. આ પુલને જુલાઈ, ૧૯૭૦માં ધરતીકંપ કારણે નુકસાન થયું હતું. આ પુલ પરથી ડબલ ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ રેલવે લાઇન કાર્યરત છે. તે ૭૮ વર્ષ જૂનો રેલ્વે પુલ છે. નજીકમાં જ સડક માર્ગનો પુલ પણ ઉપલબ્ધ છે જે ગોલ્ડન બ્રિજ અથવા નર્મદા બ્રિજ તરીકે ઓળખાય છે. ગોલ્ડન બ્રીજનું બાંધકામ ડિસેમ્બર ૧૮૭૭માં શરૂ કરી અને ૧૮૮૧માં પૂર્ણ થયું હતું. તેની કુલ લંબાઈ ૪૬૭૫ ફૂટ છે.

ચિત્ર-દર્શન ફેરફાર કરો