ઇસ્કોન મંદિર, અમદાવાદ, કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક સેટેલાઇટ-બોપલ વિસ્તારમાં આવેલું છે.

તેની પ્રાણ પ્રતિષ્ઠા ૧૭મી એપ્રિલ ૧૯૯૭ ના રોજ રામ નવમીના દિવસે કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરનુ ખરૂં નામ શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ છે. મંદિરનું ગર્ભગૃહ ૩ ખંડોમાં વહેચાયેલું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાઇ (શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ), શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરૂ મહારાજ ભક્તિસિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે, બીજુ અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહ્લાદ-નરસિંહ થી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાન બીરાજે છે. મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાનાં નમુના રૂપ છે, જેમાં મુખ્ય મંડપનાં ગુંબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે.

હાલમાં જે મંદિર છે તે પહેલાં ઇસ્કોનનાં કેન્દ્રો દરિયાપૂર, ઓઢવ, આશ્રમ રોડ અને હાલના મંદિરની પાછળના ભાગે આવેલા સાદા મકાનમાં ચાલતા હતા.