દાસ પીઠો કે પીઠા ભગત (ઇ.સ.૧૮૪૦-૧૮૮૯‌‌‌) તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે(જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા, જેમાંથી ચારની વંશ પરંપરા હાલ ચાલુ છે. પૂર્વજીવનમાં તેઓ (જમિયતશાની ટોળીના) બહારવટિયા હતા. બાર વર્ષ સુધી બહારવટું ખેડ્યા પછી બાલકસાહેબ સાથે મેળાપ થતાં તેમની પાસેથી દીક્ષા લઇને તેઓ ભક્તિમાર્ગમાં ભળી ગયા. તેમણે ગુરુ મહિમા‚ યોગસાધના, બોધ-ઉપદેશ અને ભક્તિનું આલેખન કરતી અનેક ભજનવાણીઓની રચના કરેલી છે. તેમાંથી "ત્રિકમ સાહેબે કિયા રે બંગલા ...(બંગલો)" નામની રૂપકાત્મક વાણી ઘણી પ્રસિદ્ધ થઇ છે.