બાલાસરસ્વતી

ભારતીય નૃત્યકાર

બાલાસરસ્વતી અથવા તંજાવૂર બાલાસરસ્વતી (૧૩ મે ૧૯૧૮ – ૯ ફેબ્રુઆરી ૧૯૮૪) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના હતા. દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં ઉદ્ભવેલી શાસ્ત્રીય નૃત્યશૈલી ભરતનાટ્યમના તેમના પ્રસ્તુતિકરણે ભારતના વિવિધ ભાગોમાં અને વિશ્વના ઘણા ભાગોમાં નૃત્યની આ શૈલીને ખૂબ જ જાણીતી બનાવી હતી.

તંજાવૂર બાલાસરસ્વતી
૨૦૧૦ની ભારતીય ટપાલ ટિકિટ પર બાલાસરસ્વતી
પાર્શ્વ માહિતી
જન્મ(1918-05-13)13 May 1918
મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૂળતંજાવુર
મૃત્યુ9 February 1984(1984-02-09) (ઉંમર 65)
મદ્રાસ, ભારત
શૈલીકર્ણાટક સંગીત
વ્યવસાયોભરતનાટ્યમ

તેમને ૧૯૫૭માં પદ્મભૂષણ[૧] અને ૧૯૭૭માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ત્રીજા અને બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન હતા.[૨] ૧૯૮૧માં તેમને ઇન્ડિયન ફાઇન આર્ટસ સોસાયટી, ચેન્નાઇના સંગીત કલાશિખમણી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

બાલાસરસ્વતી મંદિર સંગીતકારો અને નર્તકો (દેવદાસીઓ,[૩] કે જેઓ પરંપરાગત રીતે ઉચ્ચ સામાજિક દરજ્જો ભોગવતા હતા)ના પરંપરાગત માતૃવંશીય પરિવારની સાતમી પેઢીના પ્રતિનિધિ હતા, જેમને ભારતના દક્ષિણ પ્રદેશની સંગીત અને નૃત્યની પરંપરાગત પ્રદર્શન કલાના સૌથી મહાન ભંડાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમના પૂર્વજ, પાપમ્મલ એક સંગીતકાર અને નૃત્યાંગના હતા જેમને અઢારમી સદીના મધ્યમાં તંજાવુરના દરબાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. તેમના દાદી, વીણાઈ ધનમ્મલ (૧૮૬૭-૧૯૩૮)ને ઘણા લોકો વીસમી સદીની શરૂઆતમાં સૌથી પ્રભાવશાળી સંગીતકાર માને છે. તેમની માતા, જયમ્મલ (૧૮૯૦-૧૯૬૭) એક ગાયિકા હતા જેમણે બાલાસારસ્વતીની તાલીમને પ્રોત્સાહન આપ્યું હતું.

બાલાસરસ્વતીએ સંગીત અને નૃત્યની અભિનય કળાઓના સમન્વય સમા ભરતનાટ્યમ માટે પરંપરાગત સંગીત અને નૃત્યમાં ક્રાંતિ સર્જી હતી. તેઓ બાળપણથી જ કુટુંબમાં જ સંગીત શીખ્યા હતા, અને જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમની નૃત્યની આકરી તાલીમ પ્રખ્યાત તંજાવુર નટ્ટુવાનાર પરિવારના સભ્ય, પ્રતિષ્ઠિત નૃત્ય શિક્ષક કે. કંડપ્પન પિલ્લાઈના હાથ નીચે શરૂ થઈ હતી. તેમના નાના ભાઈઓ ટી. રંગનાથન અને ટી. વિશ્વનાથન સંગીતકાર હતા, જેઓ આગળ જતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આગળ પડતા કલાકારો અને શિક્ષકો બન્યા હતા. તેમની પુત્રી, લક્ષ્મી નાઈટ (૧૯૪૩-૨૦૦૧) તેમની માતાની શૈલીની એક વિશિષ્ટ કલાકાર બની હતી. તેમના પૌત્ર અનિરુદ્ધ નાઈટ આજે પણ પારિવારિક શૈલી રજૂ કરી રહ્યા છે, અને તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં બાલા મ્યુઝિક એન્ડ ડાન્સ એસોસિયેશન અને ભારતમાં બાલાસારસ્વતી સ્કૂલ ઓફ ડાન્સના કલાત્મક દિગ્દર્શક છે. તેમના જમાઈ ડગ્લાસ એમ નાઈટ જુનિયરે ગુગેનહેમ ફેલોશિપ (૨૦૦૩)ના સહયોગથી તેમનું જીવનચરિત્ર લખ્યું છે. પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા સત્યજિત રેએ તેની કૃતિઓ પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.

કારકિર્દી ફેરફાર કરો

બાલાસરસ્વતીની કારકિર્દીની શરૂઆત ૧૯૨૫માં થઈ હતી. તેઓ દક્ષિણ ભારતની બહાર તેમની પરંપરાગત શૈલીના પ્રથમ કલાકાર હતા, જેમણે ૧૯૩૪માં કલકત્તામાં પ્રથમ પ્રદર્શન કર્યું હતું. તેઓ નૃત્ય નિર્દેશક ઉદય શંકર દ્વારા તેમની નૃત્ય શૈલીની પ્રશંસા પામ્યા હતા. ૧૯૩૦ના દાયકા દરમિયાન તેમણે ભારતભરના પ્રેક્ષકોની કલ્પનાને આકર્ષિત કરી હતી. તેમણે એક વૈશ્વિક કારકિર્દી તરફ પ્રયાણ કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવેચકોનું ધ્યાન ખેંચ્યું અને શંભુ મહારાજ, ડેમ માર્ગોટ ફોન્ટેઇન, માર્થા ગ્રેહામ અને મર્સ કનિંગહામ જેવા નૃત્યના મહાન કલાકારો દ્વારા તેમની નૃત્યશૈલી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ૧૯૫૦ના દાયકામાં ભરતનાટ્યમમાં રુચિ વધી કારણ કે લોકોને એક અનન્ય ભારતીય કલા સ્વરૂપને પ્રોત્સાહન આપવામાં રસ પડ્યો હતો. મદ્રાસની મ્યુઝિક એકેડેમીના વહીવટકર્તા દ્વારા પ્રોત્સાહિત બાલાસરસ્વતીએ આ સંસ્થાના સહયોગથી એક નૃત્ય શાળાની સ્થાપના કરી. ત્યાં તેણે પોતાની દૃષ્ટિ મુજબ ભરતનાટ્યમમાં નવા નર્તકોને તાલીમ આપી. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેમણે પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં પર્ફોમન્સ સાથે વૈશ્વિક સ્તરે વધુને વધુ પ્રવાસ ખેડ્યો હતો. તે દાયકા બાદ, ૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સની વારંવાર મુલાકાત લીધી હતી અને વેસ્લેયન યુનિવર્સિટી (મિડલટાઉન, કનેક્ટિકટ), કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ આર્ટ્સ (વેલેન્સિયા), મિલ્સ કોલેજ (ઓકલેન્ડ, કેલિફોર્નિયા), યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન (સિએટલ) અને જેકબના ઓશિકા ડાન્સ ફેસ્ટિવલ (બેકેટ, મેસેચ્યુસેટ્સ) ખાતે અન્ય સંસ્થાઓમાં એક શિક્ષક અને કલાકાર તરીકે પ્રવાસનું આયોજન કર્યું હતું. તેમની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ તેમજ ભારતમાં તેમની પ્રવૃત્તિઓ દ્વારા, ખાસ કરીને મદ્રાસમાં, બાલાસરસ્વતીએ અસંખ્ય શ્રોતાઓને ભારત નાટ્યમની પરંપરાગત શૈલીથી પરિચિત કર્યા એટલું જ નહીં, પરંતુ કલા સ્વરૂપના ઘણા નવા વ્યવસાયિકોને તાલીમ પણ આપી.

પુરસ્કાર ફેરફાર કરો

તેમને ભારતમાં અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા, જેમાં સંગીત નાટક અકાદમી (૧૯૫૫) તરફથી રાષ્ટ્રપતિ પુરસ્કાર, વિશિષ્ટ રાષ્ટ્રીય સેવા (૧૯૭૭) માટે ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ પુરસ્કાર અને મદ્રાસ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીતકારો માટેનો દક્ષિણ ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર સંગીત કલાનિધિ (૧૯૭૩) પુરસ્કારનો સમાવેશ થાય છે. ૧૯૭૭માં એક સમીક્ષામાં, ન્યૂ યોર્ક ટાઇમ્સની નૃત્ય વિવેચક એન્ના કિસલગોફે તેમને "વિશ્વના સર્વોચ્ચ કલાકારોમાંના એક" તરીકે વર્ણવ્યા હતા. ઇન્ડિયા ટુડેએ એક સર્વેક્ષણના આધારે તેમને ૧૦૦ અગ્રણી ભારતીયોમાંના એક તરીકે વર્ગીકૃત કર્યા છે, જેમણે ભારતની નિયતિને આકાર આપ્યો છે. ડાન્સ હેરિટેજ કોએલિશન, "અમેરિકાઝ ઇરિપ્લેસેબલ ડાન્સ ટ્રેઝરઃ ધ ફર્સ્ટ હન્ડ્રેડ" (૨૦૦૦)ના સંકલનમાં સમાવિષ્ટ તેઓ એકમાત્ર બિન-પશ્ચિમી નૃત્યાંગના હતા.[૪]

બંગાળી ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રે એ બાલાસારસ્વતી પર બાલા (૧૯૭૬) નામથી એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.[૫]

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  • "1918-1984". Balasaraswati.com. મૂળ માંથી 4 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-22.
  • "The Inspiration". Kpoursine.com. મેળવેલ 2016-11-22.
  • "World Music In the Schools". Center for World Music. મેળવેલ 2016-11-22.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
  2. "Padma Awards Directory (1954-2007)" (PDF). Ministry of Home Affairs (India). 2007-05-30. મૂળ (PDF) માંથી 2009-04-10 પર સંગ્રહિત.
  3. "Temple Dancer". Indian Express. 2012-03-05. મેળવેલ 2016-11-22.
  4. "Library of Congress Joins Other Institutions and The Dance Heritage Coalition in Announcing the Identification of "America's Irreplaceable Dance Treasures: The First 100"". 2000-07-28. મેળવેલ 2021-10-10.
  5. S. K. Singh. "Bala: A film by Satyajit Ray". SatyajitRay.org. મૂળ માંથી 11 September 2012 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-22.