ગોપીનાથ મંદિર, ઉત્તરાખંડ

ગોપીનાથ મંદિર એક હિન્દુ મંદિર છે જે ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર ખાતે આવેલ છે. ગોપીનાથ મંદિર ગોપેશ્વર ગામમાં છે, જે હવે ગોપેશ્વર નગરનો એક ભાગ છે.

ગોપીનાથ મંદિર એક પ્રાચીન મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર તેના વાસ્તુ-સ્થાપત્યને કારણે અલગથી ઓળખાય છે; તેમાં એક શિખર તરીકે ગુંબજ તેમ જ ૩૦ ચોરસ ફુટનું ગર્ભગૃહ છે, જેમાં ૨૪ દ્વારો પરથી દાખલ થઈ શકાય છે.

મંદિરની આસપાસ તૂટેલી મૂર્તિઓના અવશેષ એ બાબત સૂચવે છે કે પ્રાચીન સમયમાં અહીં અન્ય પણ ઘણાં મંદિરો હતાં. આ મંદિર આંગણાંમાં એક ૫ મીટર ઊંચું ત્રિશુળ છે, જે ૧૨મી સદીનું છે અને અષ્ટધાતુમાંથી બનેલ છે. તેના પર નેપાળના રાજા અનેકમલ્લ, જેનું ૧૩ સદીમાં અહીં શાસન હતું, તેના ગુણગાનનો અભિલેખ છે. ઉત્તરકાળમાં દેવનાગરીમાં લખાયેલ ચાર અભિલેખોમાંથી ત્રણની ગૂઢલિપિ વાંચવા/સમજવાની હજી બાકી રહેલ છે.

એવી દંતકથા છે કે જ્યારે ભગવાન શિવે કામદેવતાને મારવા માટે પોતાનું ત્રિશૂળ ફેંક્યું તે અહિંયાં જમીનમાં ખૂંપી ગયું. ત્રિશુળની ધાતુ હજુ પણ સારી સ્થિતિમાં છે, જેના પર હવામાનનો પ્રભાવ પડ્યો નથી અને આ એક આશ્ચર્ય છે. એવું માનવામાં આવે છે કે શારીરિક બળથી આ ત્રિશુળને હલાવી પણ શકાતું નથી, પણ જ્યારે જો કોઈ સાચા ભક્ત તેનો સ્પર્શ પણ કરે તો તેમાં કંપન થવા લાગે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો