ચંદુલાલ પટેલ

ગુજરાતી ભાષા વિશેષજ્ઞ

ચંદુલાલ બહેચરલાલ પટેલ ગુજરાતી ભાષા વિશેષજ્ઞ હતા. તેઓ ગુજરાતી શબ્દકોષ ભાગવદ્ગોમંડલના સંપાદક છે.[૧] [૨]

જીવન ફેરફાર કરો

તેમના પિતા બહેચરલાલ પટેલ કવિ ‘વિહારી’ તરીકે સાહિત્ય રચના કરતા હતા જેમણે ‘વંદે માતરમ્’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો : ‘નમું સુફળ વિમળ જળવાળી- મા વંદે માતરમ્/ ધાન્યે લીલીછમ હરિયાળી- મા વંદે માતરમ્’. આ ગીત ગોંડલ રાજ્યની નિશાળોમાં ગવાતો હતો. ચંદુલાલે ગણિત વિષાયમાં બી.એ.ની પદવી મેળવી. તેઓ નર્મદ દ્વારા પ્રભાવિત હતા. તેમણે પ્રેમશૌર્ય સોસાયટી નામે સંસ્થા સ્થાપી જેમાં વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંઘુ’ માસિક, પાટીદાર યુવક મંડળ,સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમ (સ્વરાજ આશ્રમ) જેવી ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. [૧]

૧૯૧૫માં સુરત સાહિત્ય પરિષદના અધિવેશનમાં રણજિતરામ મહેતાએ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામ્રપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની વ્યવસ્થાનું જવાબદારીભર્યું કામ સોંપ્યું હતું.[૧]

ચંદુલાલ ગોંડલ રજવાડાંના વિદ્યા અધિકારી હતા. તેમણે ૧૯૧૬ થી ૧૯૫૨ આ હોદ્દા પર કાર્ય કર્યું. ત્યાર પછી પણ કોશનું કામ પૂરૂં કરવા ૧૯૫૫ સુધી કોશ કાર્યાલય સાથે સંકળાયેલા રહ્યા. તેઓ તેઓ ગુજરાતી શબ્દકોષ ભાગવદ્ગોમંડલના સંપાદક હતા. ૧૯૨૮થી શરૂ કરી ૨૬ વર્ષની સતત મહેનતને અંતે ૧૯૫૫માં આ કોષ રચવાનું મહાકાર્ય પૂરૂં થયું હતું. આ કોષની પૂર્ણાહૂતિ વખતે ગોંડલનરેશ વિક્રમસિંહે તેમને પોશાકના રૂ.૧,૫૦૦ ઈનામ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘શબ્દકોશ સદ્‌ગત મહારાજા ભગવતસિંહજી બાપુની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરૂં કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યા અધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફાળે જાય છે.’ [૧]

તેમણે ‘ગાંધીજ્ઞાનકોષ’ (ગાંધીજીના વિચારોનું સંપાદન)નું પણ સંપાદન કર્યું. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ શીર્ષક હેઠળ ચંદુલાલે ગાંધીજીના વિચારોનું સંપાદન કર્યું અને ૧૯૩૨માં (ગાંધીજીની હયાતીમાં જ) ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમની આગેવાનીમાં તૈયાર થયેલી ગોંડલ રાજ્યની વાચનમાળાઓ બીજાં રજવાડાંની શાળામાં પણ ચાલતી હતી. આ વાચનમાળા ભારત ઉપરાંત રંગૂન, આફ્રિકા અને એડનમાં ચાલતી ગુજરાતી નિશાળોમાં પણ વપરાતી હતી. ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત કરવાના હુકમનો અમલ પણ તેમણે અસરકારક રીતે કરાવ્યો.[૧]

તેમને પાછલી ઉંમરે લકવા થયો અને ૧૯૬૪માં તેઓ અવસાન પામ્યા. [૧]

તેમનું જીવનચરિત્ર ‘જીવનપંથ’ નામે તેમના પુત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.[૧]

સંપાદન ફેરફાર કરો

સન્માન ફેરફાર કરો

ભગવદ્ગોમંડળના સંપાદનકાર્ય બદ્દલ સાહિત્યકાર ન હોવા છતાં પણ તેમને ૧૯૫૪નો ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે ભાગવદ્ગોમંડલના બે ભાગ પ્રકાશીત થયા હતા ત્યારે દ્વારકા પીઠના શંકરાચાર્ય અભિનવતીર્થજીએ ચંદુલાલ પટેલને ‘વિદ્યાવારિધિ’ (જ્ઞાનસાગર)ની પદવી આપી હતી. [૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા 'ભગવદ્ગોમંડળ'ના સંપાદકઃ ચંદુલાલ પટેલ". opinionmagazine.co.uk. મૂળ માંથી 2021-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-16.
  2. "BhagavadGoMandal Online :: What is Bhagavadgomanal? :: ભગવદ્રોમંડલ, ભગવદ્ગોમંદલ". www.bhagavadgomandalonline.com. મૂળ માંથી 2020-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-16.