રબારી

ભારતીય પ્રાચિન યોદ્ધા જ્ઞાતી.

રબારી એક નૃવંશ સમુદાય છે જે આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે. રબારી મૂળભુત રીતે એક હિન્દુ (ગોપાલક) જાતી છે અને પશુપાલન, ખેેેેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. પારંપરિક રીતે રબારીઓ પશુના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતા હતા જે હવે સમગ્ર ભારતમાં સ્થાયી થયા છે તેમજ અન્ય વ્યવસાયો પણ અપનાવ્યા છે. રબારી ઉપરાંત તેઓ મોટે ભાગે રાયકા, દેસાઈ, દેવાસી, હિરાવંશી, વગેરે નામથી કે અટકથી પણ ઓળખાય છે.

રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલા છે, વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં. રબારી જાતિ ભારતની એક પ્રાચીન જાતિ છે પણ શરુઆતથી જ પશુપાલનનો મુખ્ય વ્યવસાય અને પશુઓના ઘાસચારા માટે ભટકતુ જીવન જીવતા હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે. મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી સતત સ્થળાંતરના કારણે આ સમાજ શિક્ષણથી વંચિત રહ્યો છતાં આ સમાજના રિતરીવાજ, પોશાક, ખોરાક અન્ય સમાજને આકર્ષિત કરનારા રહ્યા છે.

ઉત્પત્તિ - દંતકથા

દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદાજુદા મત હોઈ શકે છે. પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે પાર્વતી મન બહેલાવવા માટે માટીમાથી ઊંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ મા પાર્વતીના કહેવાથી ઊંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદીજુદી જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.[સંદર્ભ આપો]

એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય.[સંદર્ભ આપો]

એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઈ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી.[સંદર્ભ આપો]

ઐતિહાસીક ઉલ્લેખો

રબારી જાતિનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોવા છતાં છેક મહાભારત યુગથી મધ્ય યુગ સુધી રાજામહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ તેમજ બહેન-દીકરી અને પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો જ ઉપયોગ કરવામાં આવતો તેવા અનેક પ્રસંગો ઇતિહાસના પાને નોંધાયા છે. પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુધ્ધ ના સમયે વિરાટનગરીથી હસ્તિનાપુર રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી ઉત્તરાને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો. ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડનાર સાંઢણી સવાર રબારી જ હતો. જૂનાગઢના ઇતિહાસકાર ડો.શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યુ છે કે,.[૧]. બરડાની રાજગાદી ગુમાવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા.[સંદર્ભ આપો]

વિદ્વાનોનો મત

  • જામનગર ગેઝેટીયરના પ્રમાણે રબારીઓ મૂળ માલધારી હતા. પણ એમાંનો એક પુરૂષ સમાજની કન્યા સાથે ન પરણતાં બીજી જ્ઞાતિની કન્યા સાથે પરણ્યો તેથી તેના વંશજો હવે સમાજની કન્યાને પરણી શકતા નથી. એટલે તેઓ રાહબારી (રૂઢિ રિવાજ અનુસાર ન ચાલનાર/રસ્તો ચાતરનાર) કહેવાયા.
  • 'ધી હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ' માં કેપ્ટન વીલબેર ફોર્સ નોંધે છે કે, રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડાનુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે.
  • ઇતિહાસવિદ પુષ્કર ચંદરવાકરની નોંધ પ્રમાણે 'આ જાતિઓ એ ગોકુળ મથુરા માંથી હીરાવાડ , મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા.'
  • રત્ન મણિરામ જોટે તેમના 'ખંભાતનો ઇતિહાસ' માં લખે છે કે કાઠિયાવાડમાં વસતા રબારી નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે.
  • સને ૧૯૦૧માં લખાયેલા 'બોમ્બે ગેઝેટિયર' માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ "પર્શિયન" વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક 'આગ' નામની શાખ છે. ને પર્શિયનો 'આગ-અગ્નિ' ના પૂજકો છે. આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાઈ હશે. રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ.
  • દુલેરાય માટલીયા પોતાના પુસ્તક 'ગોપાલ દર્શન' મા જણાવે છે કે,"રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક મુંગી માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ગૌ પાલન, ભેંસ પાલન સાથે સાથે ખેતી સાથે જોડાયેલ છે, જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, જેવો મુખ્યત્વે ગાયો નું પાલન કરનાર છે. બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ 'હૂણ' પ્રકારના વંશના હોવાની શક્યતા છે. જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય."

જો કે ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી હોવાનું પણ કહેવાય છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે.

સંદર્ભો

  1. શંભુપ્રસાદ હ. દેસાઈ. કાઠિયાવાડનો ઇતિહાસ.