મેજર સૈતાન સિંઘ ભાટી ભારતીય ભૂમિસેનામાં અફસર હતા અને તેમને ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ દરમિયાન બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરવા માટે ભારતનો યુદ્ધકાળનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયો હતો.

મેજર
સૈતાન સિંઘ ભાટી
પરમવીર ચક્ર
જન્મ(1924-12-01)December 1, 1924
જોધપુર, રાજસ્થાન
મૃત્યુNovember 18, 1962(1962-11-18) (ઉંમર 37)
રેઝાંગ લા, જમ્મુ અને કાશ્મીર, ભારત
દેશ/જોડાણભારત ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૪૮–૧૯૬૨
હોદ્દો મેજર
દળ૧૩ કુમાઉં
યુદ્ધોભારત-ચીન યુદ્ધ
પુરસ્કારો પરમવીર ચક્ર

શરૂઆતનું જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ડિસેમ્બર ૧, ૧૯૨૪ના રોજ રાજસ્થાનના જોધપુર ખાતે એક રજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા લેફ્ટનન્ટ કર્નલ હેમ સિંઘ ભાટી હતા.[૧]

યુદ્ધ ફેરફાર કરો

 
જોધપુર, રાજસ્થાન ખાતે મુખ્ય ચોકમાં સૈતાન સિંઘની મૂર્તિ

૧૯૬૨ના ભારત ચીન યુદ્ધમાં તેઓ ૧૩મી બટાલિઅન, કુમાઉં રેજિમેન્ટમાં 'સી' કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની ટુકડીમાં મોટાભાગના સૈનિકો રેવારી જિલ્લો, હરિયાણાના યાદવો હતા. તેઓ જમ્મુ અને કાશ્મીરના લડાખના દક્ષિણ પૂર્વમાં ચુસુલ ખીણ પાસે રેઝાંગ લાના ઘાટ પર વ્યૂહાત્મક જગ્યાનું રક્ષણ કરી રહ્યા હતા. તેમની ચોકી ૫,૦૦૦ મિટરની ઉંચાઈ પર હતી. તેમની કંપનીનો વિસ્તાર ત્રણ પ્લાટુન સંભાળી રહી હતી અને આજુબાજુનો વિસ્તાર અને ભુપૃષ્ઠ તેમને મુખ્ય બટાલિઅનથી અલગ પાડતું હતું. રેઝાંગ લા પરનો અપેક્ષિત ચીની હુમલો ૧૮ નવેમ્બરની સવારમાં આવ્યો. તે સમયે ખૂબ જ ઠંડી હતી અને હિમવર્ષા થઈ રહી હતી. ઘાટમાંથી ફૂંકાઈ રહેલી હવા બર્ફીલી તેમ જ અતિ ઠંડી હતી. રેઝાંગ લા પર કુદરતી કારણોને અવગણતાં સૌથી મોટી નબળાઈ એ હતી કે અડચણરૂપ પહાડને કારણે ભારતીય તોપખાનાના કાર્યક્ષેત્રની બહાર તે રહેતી હતી. તેને કારણે તેઓએ મોટી તોપોની મદદ વગર જગ્યાનું રક્ષણ કરવાનું હતું. સવારે મોસુઝણા વખતે ચીની સૈનિકો પ્લાટુન ૭ અને ૮ પર હુમલો કરવા માટે આગળ વધતા દેખાયા.[૨]

ભારતીય સૈનિકોએ ચીની હુમલા સામે રક્ષણ માટે તૈયાર કરેલી જગ્યાઓ સંભાળી લીધી. સવારે ૫ વાગ્યે થોડો ઉજાસ થતાં બંને પ્લાટુને ચીની સૈનિકો પર રાઈફલ, હળવી મશીનગન, હાથગોળા અને મોર્ટાર વડે ગોળીબાર શરૂ કર્યો. જો કે ભારત તરફથી ભારે તોપોનો ઉપયોગ ન કરી શકાયો. પ્લાટુન આગળનું નાળું મૃત શરીરોથી ભરાઈ ગયું અને બચી ગયેલા સૈનિકોએ ખડકો પાછળ આડ લીધી. ચીની સૈનિકોનો પ્રથમ સીધો હુમલો નિષ્ફળ જવા છતાં તેઓ નિરાશ ન થયા. આશરે ૫.૪૦એ તેમણે ભારતીય ચોકીઓ પર ભારે તોપો અને મોર્ટાર વડે હુમલો કર્યો. ત્યારબાદ તુરંત જ આશરે ૩૫૦ ચીની સૈનિકોએ નાલા વાટે આગળ વધવાનું શરૂ કર્યું. આ વખતે ૯ નંબર પ્લાટુને જેવા ચીની સૈનિકો ૯૦ મિટર દૂર રહ્યા ત્યારે હતા એટલા હથિયારો વડે હુમલો કર્યો અને ફરીથી નાલામાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો જે મુખ્યત્વે ચીની સૈનિકોના હતા.

સીધા હુમલામાં નિષ્ફળ જતાં આશરે ૪૦૦ દુશ્મન સૈનિકોએ કંપની પર પાછળથી હુમલો કર્યો અને તે જ સમયે મધ્યમ મશીનગનથી ૮ નંબર પ્લાટુન પર હુમલો કર્યો. આ હુમલામાં સૈનિકો કાંટાળી વાડ સુધી આવી ગયા પણ આગળ ન વધી શક્યા. ચીની સૈનિકોએ ભારે તોપ અને મોર્ટાર વડે હુમલો ચાલુ રાખ્યો. ૧૨૦ ચીની સૈનિકો નંબર ૭ પ્લાટુન તરફ ધસી ગયા. જો કે ભારતીય સેનાની ૩ ઇંચ મોર્ટારે તેમાંથી ઘણાખરાને મારી નાખ્યા. જ્યારે ૨૦ બચેલા સૈનિકોએ હુમલો કર્યો ત્યારે લગભગ ડઝન કુમાઉં સૈનિકો છાવણીમાંથી બહાર ધસી ગયા અને હાથોહાથની લડાઈ શરૂ થઈ ગઈ. ૭ નંબર પ્લાટુન સંપૂર્ણ રીતે ઘેરાઈ ગઈ જોકે તેઓ છેલ્લા સૈનિક સુધી બહાદુરીથી લડ્યા અને તમામ શહીદ થયા. નંબર ૮ પ્લાટુન પણ છેલ્લી ગોળી સુધી બહાદુરી પૂર્વક લડી.

સિંઘે રેઝાંગ લાની લડાઈમાં અદ્ભુત નેતૃત્વ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું. તમામ દૃષ્ટિએ તેમણે પોતાના સૈનિકોનું ઉત્કૃષ્ટ રીતે નેતૃત્વ કર્યું. તેઓએ પોતાની સલામતીનું ધ્યાન રાખ્યા વિના એક પ્લાટુનથી બીજી પ્લાટુન જવાનું ચાલુ રાખ્યું અને લડવા માટે સૌને પ્રેરિત કર્યા. આ કાર્યવાહીમાં તેમને ચીની મશીનગને ગંભીર રીતે જખ્મી કર્યા પરંતુ તેઓએ તેમના સૈનિકો સાથે રહીને લડવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેમને બે સૈનિકો યુદ્ધ ક્ષેત્રની બહાર લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ચીનીઓએ મશીનગનથી ભારે ગોળીબાર કર્યો. ખતરો પારખી અને તેમણે બંને સૈનિકોને પોતાને છોડી જવા કહ્યું અને તેઓએ સિંઘને પહાડના ઢાળ પર એક ખડક પાછળ રાખી દીધા. તે જ જગ્યાએ તેમણે પોતાનું હથિયાર હાથમાં રાખી પોતાના પ્રાણ છોડ્યા.

ચીનીઓએ નવેમ્બર ૨૧, ૧૯૬૨ના રોજ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી.

આ લડાઈમાં કુલ ૧૨૩ કુમાઉં સૈનિકોમાંથી ૧૦૯ શહીદ થયા. જીવિત બચેલા ૧૪માંથી ૯ ગંભીર રીતે ઘાયલ હતા. ૧,૦૦૦ ચીની સૈનિકો મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થયા.[૩] યુદ્ધ બાદમાં સિંઘનું મૃત શરીર તે જ જગ્યાએથી મળી આવ્યું અને તેમનુ મૃત્યુ ગોળી વાગવાથી અને અતિશય ઠંડીને કારણે થયું હોવાનું સાબિત થયું. તેને જોધપુર લઈ જવાયા અને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અગ્નિસંસ્કાર અપાયા. સિંઘને ફરજ પ્રત્યે નિષ્ઠા અને બહાદુરી માટે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Sun City remembers son of soil Major Shaitan Singh".
  2. http://www.indianarmy.gov.in/Site/FormTemplete/frmPhotoGalleryWithMenuWithTitle.aspx?
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2001-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-30.

બાહ્ય કડીઓ ફેરફાર કરો