એસ્ટેટ્સ જનરલની સભા (૧૭૮૯)

ફ્રાન્સમાં ૧૭૮૯માં સમાજના ત્રણ વર્ગોના પ્રતિનિધિઓની મળેલી સામાન્ય સભા

એસ્ટેટ્સ જનરલની સભા (અથવા એસ્ટેટ્સ જનરલની અધિવેશન) ફ્રાન્સના રાજા લૂઈ ૧૬મા દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ સભાએ ફ્રેન્ચ ક્રાંતિ શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.[૧]

પાર્શ્વભૂમિ ફેરફાર કરો

પેરિસ અને ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં એપ્રિલ ૧૭૮૯માં આમ જનતા માટે અન્નપ્રાપ્તિની સમસ્યા ઘણી જ વિકટ બની હતી.ભૂખમરો સર્જાતાં બળવાની સ્થિતિ ઊભી થઈ. લૂઈ ૧૬માને આ પરિસ્થિતિનું નિવારણ કરવા ફ્રાન્સના ત્રણે વર્ગોના પ્રતિનિધિઓની બનેલી એસ્ટેટ્સ જનરલ (સામાન્ય સભા) બોલાવવાની ફરજ પડી. આ સભા ૫ મે ૧૭૮૯ના રોજ ૧૭૫ વર્ષ બાદ બોલાવવામાં આવી હતી.[૨]

પ્રથમ અધિવેશન ફેરફાર કરો

૫ મે ૧૭૮૯ના રોજ વર્સેલ્સમાં એટેટ્સ જનરલની પ્રથમ સભા મળી હતી. આ સભામાં કુલ ૧૨૦૦ જેટલા સભ્યો હતા. આ સભ્યોમાં રાજનીતિ અંગેનો ખાસ કશો અનુભવ ન હતો. આ સભામાં બંધારણીય સુધારાઓ સૂચવવાને બદલે, તત્કાલીન નાણાપ્રધાન નેકરે નાણાકીય સ્થિતિ સુધારવાની યોજના મૂકી હતી. નાણાપ્રધાન નેકર અને રાજા લૂઈ ૧૬માની નીતિ પ્રણાલિકાગત પુરાણી વ્યવસ્થા ચાલુ રાખવાની હતી.[૧]

ત્રણે વર્ગોના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાતાં રાજાએ એસ્ટેટ્સ જનરલ બરખાસ્ત કરી. આથી ત્રીજા વર્ગના પ્રતિનિધિઓએ મિરાબોના નેતૃત્વ હેઠળ ટેનિસ કૉર્ટ નામની ખુલ્લી જગ્યામાં પોતાની સભા યોજી. દરમ્યાનમાં ભૂખ્યા લોકોનાં ટોળાં પેરિસ તેમજ ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં 'અન્ન, અન્ન'ની બૂમો પાડતાં ઘૂમવા લાગ્યાં. આથી રાજાએ તેમને દાબી દેવા માટે જર્મન સૈનિકોને બોલાવ્યા. તેથી પરિસ્થિતિ વધારે વણસી અને લોકોનાં ટોળાંઓએ ૧૪ જુલાઈ ૧૭૮૯ના રોજ બેસ્ટાઇલ કિલ્લા (કેદખાના) પર હલ્લો કરીને તેનું પતન કર્યું. આ બનાવથી ક્રાંતિની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે.[૨]

સંયુક્ત બેઠક ફેરફાર કરો

૨૩ જૂન ૧૭૮૯ના રોજ ત્રણે એસ્ટેટ્સની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં રાજાએ નિરંકુશ સત્તાને બદલે બંધારણીય એકતંત્રી સરકારની સ્થાપના કરવાનો ઠરાવ મુક્યો હતો.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ શેઠ, સુરેશ ચી. (૨૦૧૪) [૧૯૮૮]. વિશ્વની ક્રાંતિઓ (ઐતિહાસિક દ્રષ્ટિએ) (પાંચમી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૪૨–૪૩. ISBN 978-93-82165-87-1 Check |isbn= value: checksum (મદદ). Unknown parameter |ignore-isbn-error= ignored (|isbn= suggested) (મદદ)
  2. ૨.૦ ૨.૧ ધારૈયા, ર. ક. (૧૯૯૯). "ફ્રાંસની ક્રાન્તિ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા – ફ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૧૮–૮૧૯. OCLC 248968663.