પ્રભુદાસ ગાંધી

ગુજરાતી લેખક અને અનુવાદક

પ્રભુદાસ છગનલાલ ગાંધી (જ. ૧૯૦૧, પોરબંદર, સૌરાષ્ટ્ર; અ. ૬ મે ૧૯૯૫) એ એક ગુજરાતી આત્મકથાકાર, જીવનકથાકાર હતા.

પ્રભુદાસ ગાંધી
જન્મપ્રભુદાસ છગનલાલ ગાંધી
૧૯૦૧
પોરબંદર, ગુજરાત
મૃત્યુ૬ મે ૧૯૯૫
રાજકોટ, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૧૯૦૧માં પોરબંદરમાં છગનલાલ અને કાશી બહેન ગાંધીને ઘેર થયો હતો.[૧] [૨] તેઓ ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર હતા. તેમનું બાળપણ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં વીત્યું. તેમના માતા-પિતા સત્યાગ્રહીઓના પ્રથમ જૂથના સભ્યો હતા.[૧] ઈ.સ. ૧૯૧૫માં તેઓ ગાંધીજી સાથે ભારત આવ્યા અને અમદાવાદના કોચરબ આશ્રમમાં રહેવા લાગ્યા. વધુ અભ્યાસ માટે તેઓ કાંગડી ગુરુકુળ તથા શાંતિનિકેતનમાં ગયા. ભારતીય સ્વતંત્રતા ચળવળના ૧૯૧૭ના ચંપારણ સત્યાગ્રહ અને ૧૯૨૧ના અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો.[૩]

આગળ જતા તેઓ વિનોબા ભાવે અને કાકાસાહેબ કાલેલકરના સાન્નિધ્યમાં આવ્યા. ૧૯૨૨ની મજૂર હડતાળમાં પણે ભાગ લીધો. ત્યાર બાદ તેમણે બારડોલી સ્વરાજ આશ્રમમાં થોડો સમય સેવા આપી. તેઓ સાબરમતી આશ્રમના ખાદીકાર્યમાં જોડાયા. ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો અને ૬ માસનો કારાવાસ ભોગવ્યો. તેમણે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ખાદી, રેંટિયાનું સંશોધન તથા ગ્રામનિર્માણ સંબંધીત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ઉત્તરપ્રદેશમાં તેમણે એક આશ્રમ સ્થાપ્યો અને બદાયૂં જિલ્લામાં ખાદી પ્રવૃત્તિ આરંભી.[૩] ૧૯૩૩માં તેમને મહાત્મા ગાંધીની હાજરીમાં અંબાદેવી સાથે મહારાષ્ટ્રના વર્ધામાં તેમના લગ્ન થયા.[૧]

૧૯૪૦માં તેઓ વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયા અને જેલમાં ગયા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીધો અને ફરી જેલમાં ગયા. ફરી બદાયૂંમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૪૬માં તેમણે વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞમાં ભાગ લીધો હતો.[૧] ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ઉત્તરપ્રદેશના ખાદીબૉર્ડમાં તેમણે સેવા આપી હતી . દિલ્હીના કસ્તૂરબા ટ્રસ્ટમાં અને હરિજનસેવાનું કાર્ય પણ તેમણે કર્યું હતું . ગઢડા ગ્રામોદ્યોગ મંદિર તથા પોરબંદર ખાતે કીર્તિમંદિરમાં રહીને પણ સેવા આપી હતી.[૩]

૧૯૭૩માં સક્રીય જીવનમાંથી નિવૃત્તિ લઈ તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજકોટ ગયા. ૬ મે ૧૯૯૫ના દિવસે રાજકોટ જિલ્લાના પારડી ખાતે તેમની પુત્રી ઈંદિરાબેન ગોડાને ઘેર તેઓ અવસાન પામ્યા.[૧]

સાહિત્ય સેવા ફેરફાર કરો

સ્વતંત્રતા ચળવળના વર્ષો દરમિયાન તેઓનું લેખનકાર્ય ચાલુ જ હતું. તેમની આત્મકથાના એક ભાગ રૂપે તેમણે ગાંધીજીના મોહનદાસમાંથી ‘મહાત્મા’ કેમ બન્યા તેનો ચિતાર તેમણે તેમના દળદાર પુસ્તક ‘જીવનનું પરોઢ’ (૧૯૪૮)માં આપ્યો છે.[૩][૪]

રાજેન્દ્ર પ્રસાદની આત્મકથાનો તેમને ‘મારી જીવનકથા’ (૧૯૫૦) નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ‘માય ચાઇલ્ડહુડ વિથ ગાંધીજી’ (૧૯૫૭) (અંગ્રેજી); ‘ગીતા કા સમાજધર્મ’ (હિંદી); ‘ઓતાબાપાનો વડલો’ (૧૯૭૨) અને ‘આશ્રમ ભજનોનો સ્વાધ્યાય’(૧૯૭૮) તેમના અન્ય પુસ્તકો છે. ‘બાપુના જુગતરામભાઈ’ (૧૯૮૪) તેમનું અન્ય નોંધપાત્ર પુસ્તક છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Prabhudas Gandhi". gandhiserve.org. મૂળ માંથી 2022-08-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-29.
  2. Posted by Prof. Dr. Yogendra Yadav on May 4, 2013 at 6:46pm; Blog, View. "Prabhudas Gandhi and Mahatma Gandhi-I". gandhiking.ning.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-29.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "ગાંધી, પ્રભુદાસ છગનલાલ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-28.
  4. "Prabhudas Gandhi". www.navajivantrust.org. મૂળ માંથી 2021-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-29.

બાહ્ય કડી ફેરફાર કરો