ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી

ગુજરાતીના કવિ અને પાજોદ રાજ્યના રાજવી
(રૂસવા થી અહીં વાળેલું)

ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી (૧૧ ડિસેમ્બર ૧૯૧૫ – ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૮) એ રુસ્વા મઝલૂમી ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને જુનાગઢ જિલ્લાના પાજોદ રાજ્યના રાજવી હતા.

રુસ્વા મઝલૂમી
જન્મનું નામ
બાબી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન
જન્મઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી
(1915-12-11)11 December 1915[૧]
માંગરોળ, જૂનાગઢ, ગુજરાત[૧]
મૃત્યુ14 February 2008(2008-02-14) (ઉંમર 92)
ઉપનામરુસ્વા મઝલૂમી
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થારાજકુમાર કોલેજ, રાજકોટ
લેખન પ્રકારોગઝલ
નોંધપાત્ર સર્જનો
  • મદિરા (૧૯૭૨)
  • મીના (૧૯૪૮)

જીવન ફેરફાર કરો

ઇમામુદ્દીનનો જન્મ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે થયો હતો. બાળપણમાં જ તેઓનાં માતા-પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા અહમદમિયાંએ કર્યો. તેઓનાં ચરિત્ર ઘડતરમાં મામા અને રાજકુમાર કોલેજના મેજર હાર્વે અને તેમનાં પત્નીનો મોટો ફાળો હતો. યુવાનીમાં પ્રવેશતાં તેઓ આદર્શ જાગીરદાર થવું, ઉત્તમ શાયર થવું, ધર્મ અને અંધશ્રધ્ધાની દિવાલ તોડવી, વિગેરે જેવા આદર્શો કેળવતા થયાં અને ખેલકુદમાં પણ પાછા ન પડતાં તેમણે અભ્યાસકાળ દરમ્યાન રાજકોટમાં ‘પાજોદ પેન્થર્સ’ નામે હોકીની ટીમ બનાવી.

આઝાદી પૂર્વે તેઓ પાજોદ ગામના દરબાર હતા. ગુજરાતી ગઝલકાર અમૃત ઘાયલ ઇ.સ. ૧૯૩૯ થી ઇ.સ. ૧૯૪૯ દરમ્યાન એમના રહસ્યમંત્રી રહી ચૂક્યા હતા. યુવાન થતાં તેઓ પાજોદમાં શાયરી, સંગીત, વોલીબોલ, ઘોડેસવારી અને શિકારમાં ચકચૂર થયાં. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કાઠિયાવાડના નવાબો પાકિસ્તાનમાં જોડાવાના સ્વપ્ના સેવતા હતા ત્યારે ભારત સંઘમાં જોડાવા હસ્તાક્ષર કરી આપનાર તેઓ પહેલા નવાબ હતા. મુસલમાનને ઘેર ન ખાનાર હિંદુને ઘેર જમવા ગયા ત્યારે તેમના એક મંત્રી ન જમ્યા તે માટે તેમને નોકરીમાંથી રૂખસદ આપીને તેમણે ધર્મ નિરપેક્ષતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું, એટલું જ નહી, તે કાળમાં પાજોદમાં વૈષ્ણવ સંપ્રદાયના ઉત્સવોમાં કોઇ છોછ વગર ભાગ લેતા અને યથાશક્તિ મદદ પણ કરતા. પ્રજાસહિષ્ણુ પણ એટલા જ હતાં, જ્યારે દૂર બહારગામ જવાનું થાય ત્યારે કોઇને કોઇ ઘેર જમવા જતા અને તેને બક્ષીસ આપી પાઘડી પહેરાવતા.

યોગદાન ફેરફાર કરો

પાજોદમાં ગુર્જરી ગઝલશાળાની આધારશિલા સ્થાપી એમાંથી પ્રગટેલા બે રત્નો, ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’ આધુનિક સમયનાં ગુજરાતી ગઝલકારો છે. તેઓએ જુનાગઢમાં ‘મિલન’ સાહિત્યની સંસ્થાની પણ સ્થાપના કરી હતી. તેમના પૂજ્ય ધાર્મિક સંત મઝલૂમ શાહની યાદમાં ઉપનામમાં ‘મઝલૂમી’ ઉમેરે છે.

રચનાઓ ફેરફાર કરો

  • ઉર્દૂ ગઝલો - મીના, તિરનગી
  • ગુજરાતી ગઝલો - મદિરા
  • ગદ્ય કાવ્ય - ઢળતા મિનારા
  • અનુભૂતિ આધારિત નવલિકા - સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો
  • ચરિત્ર - આવી પહોંચી ઘાયલની સવારી, સાથે રહ્યાનું સુખ (ઘાયલ વિશે), તમારા પ્રતાપે બધા ઓળખે છે (શૂન્ય વિશે)

પાછલું જીવન ફેરફાર કરો

દરબારપણું ગયા બાદ માંગરોળ, સુરત, મુંબઇ, વિગેરે ઘણી જગ્યાઓએ રહ્યા અને ઘણા સંઘર્ષો વેઠ્યા, ઘણી નોકરીઓ પણ કરી. પણ શાયરી સાથે મુહબ્બત ટકાવી રાખી.

તેમનું અવસાન ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ થયું હતું.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ વ્યાસ, રાજેશ (1990). "બાબી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન". માં ટોપીવાળા, ચન્દ્રકાન્ત (સંપાદક). ગુજરાતી સાહિત્યકોશ. 2. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 390.
  2. શકીલ કાદરી, સંપાદક (2008). "રુસ્વા મઝલૂમી". શહીદ-એ-ગઝલ (March–May).

બાહ્ય કડીઓ ફેરફાર કરો