કૃષ્ણલાલ ઝવેરી

ભારતીય લેખક, વિદ્વાન, સાહિત્યકાર, ઇતિહાસકાર, અનુવાદક અને ન્યાયાધીશ

દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (૩૦ ડિસેમ્બર ૧૮૬૮ ― ૧૫ જૂન ૧૯૫૭) એક ભારતીય લેખક, વિદ્વાન, સાહિત્યકાર, ઇતિહાસકાર, અનુવાદક અને ગુજરાત, ભારતના ન્યાયાધીશ હતા. તેમની કૃતિઓ ગુજરાતી, અંગ્રેજી અને પર્શિયનમાં પ્રકાશિત થઈ છે. ઝવેરીએ ૧૯૩૧ થી ૧૯૩૩ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

દિવાન બહાદુર

કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
જન્મ(1868-12-30)30 December 1868
બ્રોચ, વર્તમાન ભરૂચ, બ્રિટીશ ભારત
મૃત્યુ15 June 1957(1957-06-15) (ઉંમર 88)
મુંબઈ, ભારત
ઉપનામરફીક, હકીર
વ્યવસાયલેખક, વિદ્વાન, સાહિત્યકાર, ઇતિહાસકાર, અનુવાદક
ભાષાગુજરાતી, અંગ્રેજી, પર્શિયન
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., એલએલ.બી.
માતૃ શિક્ષણ સંસ્થાએલ્ફિન્સ્ટન કૉલેજ
નોંધપાત્ર સર્જનો
  • માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લીટરેચર (૧૯૧૪)
  • ફર્ધર માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લીટરેચર (૧૯૨૧)

જીવન ફેરફાર કરો

કૃષ્ણલાલ ઝવેરીનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૬૮ના રોજ ભરૂચ ખાતે શિક્ષણકારોના પરિવારમાં થયો હતો. તેમના દાદા રણછોડદાસ ગિરધરદાસ ઝવેરી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હતા અને તેમણે ગુજરાતમાં શૈક્ષણિક સેવાઓનો પાયો નાખ્યો હતો. ઝવેરીના પિતા મોહનલાલ રણછોડલાલ સુરત જિલ્લાની સંખ્યાબંધ પ્રાથમિક શાળાઓના સ્થાપકોમાંના એક હતા.[૧]

ભરૂચ, સુરત અને ભાવનગરમાં શાળા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, ઝવેરીએ ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજમાં દાખલ થયા, જ્યાં તેમણે ૧૮૮૮માં અંગ્રેજી અને પર્શિયનમાં કલા સ્નાતકની પદવી મેળવી. ૧૮૯૦માં, તેમણે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી અને પર્શિયનમાં અનુસ્નાતકની પદવી મેળવી, અને પર્શિયન ભાષાના લેક્ચરર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ૧૮૯૨માં કાયદાના સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે ૧૮૯૩માં વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ઝવેરીએ ૧૯૦૩ થી ૧૯૦૫ દરમિયાન બોમ્બે હાઈકોર્ટમાં અપીલ પક્ષ તરફથી પ્રેક્ટિસ કરી. પ્રેસિડેન્સી કોર્ટમાં તેમણે ૧૯૦૫ થી ૧૯૧૭ સુધી ન્યાયાધીશ તરીકે અને ૧૯૧૮ થી ૧૯૨૮ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. ઝવેરીએ પાલનપુર રાજ્યની હાઇકોર્ટમાં પણ મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી.[૨]

 
જયભિખ્ખુને સુવર્ણચંદ્રક આપતા ઝવેરી

૧૯૩૧ થી ૧૯૩૩ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે નિમાયા હતા. તેઓ ત્રણ દાયકાઓથી ફોર્બ્સ ગુજરાતી સભાના અધ્યક્ષ, ભારતીય વિદ્યા ભવનના સ્થાપક સભ્યોમાંના એક, બોમ્બે યુનિવર્સિટીના સિન્ડિકેટના સભ્ય અને શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા યુનિવર્સિટીના કુલપતિ હતા.[૩] [૧] તેઓ સરકારી પુસ્તક સમિતિ અને બોમ્બે પ્રેસિડેન્સી સોશિયલ રિફોર્મ એસોસિએશનના સભ્ય હતા અને પ્લીડર એસોસિએશનના સંયુક્ત સચિવ તરીકે સેવા આપી હતી.[૪]

૧૫ જૂન ૧૯૫૭ ના રોજ ભારતના મુંબઇમાં ૮૮ વર્ષની વયે તેમનું અવસાન થયું. [૫]

સર્જન ફેરફાર કરો

 
ફર્ધર માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લીટરેચર, દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ, ૧૯૫૬

ઝવેરીએ રફીક અને હકીર ઉપનામથી લખ્યું હતું. તેઓ પર્શિયન ભાષાના ગહન વિદ્વાન હતા[૩] અને સાહિત્યિક ઇતિહાસના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપતા હતા.[૬]

તેમણે માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લીટરેચર (૧૯૧૪) અને ફર્ધર માઇલસ્ટોન્સ ઇન ગુજરાતી લીટરેચર (૧૯૨૧) નામના પુસ્તકો લખ્યા હતા જે પ્રારંભિક તબક્કેથી આધુનિક સમય સુધીના ગુજરાતી સાહિત્યનો વિગતવાર ઇતિહાસ આપે છે. બંને પુસ્તકોનો અનુવાદ રામલાલ મોદી, મોતીલાલ મોદી અને હિરાલાલ પારેખ દ્વારા ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો (૧૯૩૦) અને ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૩૦) તરીકે કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્યિક ઇતિહાસ પર કોઈ પુસ્તક પ્રકાશિત કરનાર તેઓ પ્રથમ હતા. ઇતિહાસમાં તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં હૈદરઅલી ને ટીપુ સુલતાન (૧૮૯૪), દયારામ અને હાફેજ (૧૮૯૫), બાદશાહી ફરમાનો અને ગુજરાતી લખેલા પારસી ગ્રંથ (૧૯૪૫)નો સમાવેશ થાય છે. તેમણે પર્શિયન, મરાઠી, ઉર્દૂ, બંગાળી અને અંગ્રેજીમાંથી અનેક કૃતિઓનો અનુવાદ કર્યો હતો. ઝવેરીએ અલી મુહમ્મદ ખાનની મીરાત-એ-અહેમદીનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક ગુજરાતી કૃતિઓની સમીક્ષા કરી અને રામાનંદ ચેટર્જી દ્વારા સંપાદિત સાહિત્યિક જર્નલ, મોડર્ન રિવ્યૂમાં પ્રકાશિત કરી હતી.[૧][૬]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Dave, Jyotindra H. (October 1957). "K.M. Jhaveri". Indian Literature (journal). New Delhi: Sahitya Akademi. 1 (1): 62–64. JSTOR 23328612.  
  2. C. Roberts, સંપાદક (1939). What India Thinks: Being a Symposium of Thought Contributed by 50 Eminent Men and Women Having India's Interest at Heart. New Delhi: Asian Educational Services. પૃષ્ઠ 511. ISBN 978-81-206-1880-0. મેળવેલ 7 March 2018.
  3. ૩.૦ ૩.૧ Amaresh Datta (1988). Encyclopedia of Indian Literature: Devraj to Jyoti. Sahitya Akademi. પૃષ્ઠ 1836–. ISBN 978-81-260-1194-0.
  4. Rao, C. Hayavadana, સંપાદક (1915). The Indian Biographical Dictionary. Madras: Pillar & Co. પૃષ્ઠ 210.
  5. Ramananda Chatterjee, સંપાદક (1957). The Modern Review. Prabasi Press Private Limited. પૃષ્ઠ 227.
  6. ૬.૦ ૬.૧ Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-century Literatures of India. Westport, CT: Greenwood Press. પૃષ્ઠ 106–107. ISBN 978-0-313-28778-7.[હંમેશ માટે મૃત કડી] – via Questia (લવાજમ જરૂરી)

બાહ્ય કડીઓ ફેરફાર કરો