ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, કેશોદ, પોરબંદર, ભુજ અને કંડલા શહેર ખાતે વિમાનમથક આવેલાં છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અમરેલી, ધ્રાંગધ્રા, ડુમસ, ખાવડા, લીંબડી, મહેસાણા, મોરબી, પરસોલી, રાધનપુર, રાજપીપલા, વઢવાણ અને વાંકાનેરમાં હેલિકોપ્ટર અને નાનાં વિમાન ઊતરી શકે તેવી ઉતરાણ પટ્ટી આવેલી છે. મીઠાપુર ખાતે તાતા કેમિકલ્સ કંપનીનું પોતાનું ખાનગી વિમાનમથક આવેલું છે.જામનગર ખાતે આવેલું હવાઇમથક ભારત દેશના સંરક્ષણ ખાતા તરફથી હવાઇદળ સંભાળે છે.

અમદાવાદ હવાઇમથકને ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૧ના દિવસથી આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો દરજ્જો મળ્યો છે. અમદાવાદ હવાઇમથકને એર ઇન્ડિયા દ્વારા લંડન, ન્યુયોર્ક, ન્યુ જર્સી તેમ જ શિકાગો સાથે તથા ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા મસ્કત, કુવૈત અને શારજાહ સાથે સીધું જોડવામાં આવ્યું છે. દેશનાં મોટાં ભાગનાં મુખ્ય શહેરો અમદાવાદ હવાઇમથક સાથે હવાઇસેવા દ્વારા સંકળાયેલાં છે.