ચુનીલાલ મડિયા

ગુજરાતી લેખક

ચુનીલાલ કાળિદાસ મડિયા (૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ - ૨૯ ડિસેમ્બર, ૧૯૬૮) (ઉપનામો: અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચિ) ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા.

ચુનીલાલ મડિયા
ચુનીલાલ મડિયા મુંબઈ ખાતે, ૧૯૫૮
ચુનીલાલ મડિયા મુંબઈ ખાતે, ૧૯૫૮
જન્મચુનીલાલ કાળિદાસ મડિયા
(1922-08-12)12 August 1922
ધોરાજી, ગુજરાત
મૃત્યુ29 December 1968(1968-12-29) (ઉંમર 46)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયનવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, કવિ, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.કોમ.
માતૃ શિક્ષણ સંસ્થા
  • એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ
  • સિડેનહામ કોલેજ, મુંબઈ
લેખન પ્રકારોનવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, સોનેટ
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૪૫ - ૧૯૬૮
જીવનસાથીદક્ષા (૧૯૫૬ - ૧૯૬૮), મૃત્યુ સુધી
સંતાનોઅપૂર્વ, અમિતાભ (પુત્ર)
પૂર્વી (પુત્રી)
સહી

જીવન ફેરફાર કરો

 
ધોરાજીમાં આવેલ ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ

તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ ના રોજ ધોરાજી, રાજકોટમાં થયો હતો.

અભ્યાસ ફેરફાર કરો

૧૯૩૯ માં તેમણે મૅટ્રિક પાસ કર્યું અને ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ની પદવી મેળવી.

વ્યવસાય ફેરફાર કરો

૧૯૪૬માં 'જન્મભૂમિ', મુંબઈમાં ૧૯૫૦માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં 'યુસીસ' થી નિવૃત્ત. ૧૯૬૬ થી 'રુચિ' સાહિત્યિક સામયિકનું પ્રકાશન.

૨૯ ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.

સર્જન ફેરફાર કરો

'પાવકજવાળા' (૧૯૪૫), 'વ્યાજનો વારસ' (૧૯૪૬), 'ઈંધણ ઓછાં પડ્યાં' (૧૯૫૧), 'વેળા વેળાની છાંયડી' (૧૯૫૬), 'લીલુડી ધરતી'- ભા. ૧-૨ (૧૯૫૭), 'પ્રીતવછોયાં' (૧૯૬૦) 'શેવાળનાં શતદલ' (૧૯૬૦), 'કુમકુમ અને આશકા' (૧૯૬૨), 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨ (૧૯૬૨), 'ગ્રહાષ્ટક વત્તા એક' (૧૯૬૫), 'ઇન્દ્રધનુનો આઠમો રંગ' (૧૯૬૭), 'ધધરાના સાળાનો સાળો' (૧૯૬૮), 'આલા ધાધલનું ઝીંઝાવદર' (૧૯૬૮) વગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.

નવલિકા ફેરફાર કરો

'ઘૂઘવતાં પૂર' (૧૯૪૫), 'શરણાઈના સૂર' (૧૯૪૫), 'ગામડું બોલે છે' (૧૯૪૫) 'પદ્મજા' (૧૯૪૭), 'ચંપો અને કેળ' (૧૯૫૦), 'તેજ અને તિમિર' (૧૯૫૨), 'રૂપ-અરૂપ' (૧૯૫૩), 'અંતઃસ્ત્રોતા' (૧૯૫૬), 'જેકબ સર્કલ સાત રસ્તા' (૧૯૫૯), 'ક્ષણાર્ધ' (૧૯૬૨), 'ક્ષત-વિક્ષત' (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.

નાટક ફેરફાર કરો

'હું અને મારી વહુ' (૧૯૪૯), 'રંગદા' (૧૯૫૧), 'વિષયવિમોચન' (૧૯૫૫), 'રક્તતિલક' (૧૯૫૬), 'શૂન્યશેષ' (૧૯૫૭), 'રામલો રોબિહનહૂડ' (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.

કાવ્ય સંગ્રહો ફેરફાર કરો

'સૉનેટ' (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.

સંપાદન ફેરફાર કરો

એમનાં સંપાદનોમાં 'મડિયાની હાસ્યકથાઓ', 'મડિયાની ગ્રામકથાઓ', 'મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ', 'શ્રેષ્ઠ એકાંકીઓ', 'નટીશૂન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને 'ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં' એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો 'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ' અને 'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.

નવલકથાઓ ફેરફાર કરો

વ્યાજનો વારસ (૧૯૪૬) ફેરફાર કરો

નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધોરણોથી જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિષ્ણ છે. ઉમાશંકર જણાવે છે તેમ, 'કથાની ખરી નાયિકા તો છે લક્ષ્મી, વ્યાજનો પૈસો. એનો નાયક છે ગામડાનો ગરીબ સમાજ.' આભાશાની મિલકતના એકમાત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉઘામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીનો સાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એક માત્ર સમાજ કરી શકે એમ છે-એવા મુખ્ય વિચારનો છેવટે કલાત્મક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસનો પુટ વર્તાય છે; તેમ છતાં સૌરાષ્ટ્રના સમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યક્તિ મળી છે તે અત્યંત નોખી છે.

લીલુડી ધરતી (૧૯૫૭) ફેરફાર કરો

લીલુડી ધરતી – ભા. ૧-૨ (૧૯૫૭) ચુનીલાલ મડિયાની પ્રયોગધર્મી અરૂઢ નવલકથા. આલેખન કરતાં કથાવસ્તુનો વિશેષ અને એની રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે નાટ્યાત્મક રજૂઆત એ અહીં લેખકનું મુખ્ય ધ્યેય છે. એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આવનાર આળના કથાબીજમાંથી અહીં સંતુ-ગોબર-માંડણની મુખ્ય કથા જન્મી છે; પરંતુ ગુંદાસર ગામના પરિવેશ ફરતે અનેક ગૌણકથાઓને તેમ મોટા પાત્રસમુદાયને વ્યાપમાં લેતી આ કથા કાલપરાયણ નવલકથા બનવાની નેમ ધરાવે છે. અલબત્ત, વ્યંજનાની અને સંકુલતાની માત્રા વધુ હોત તો સૌરાષ્ટ્રના તળપદા ગ્રામજીવનના સમગ્ર અસબાબ સાથે ધબકતો એનો તત્કાલીન કાલખંડ મર્યાદિત રીતે સામાજિક ન રહેતાં વૈશ્વિક બની શક્યો હોત. તેમ છતાં આ લેખનપ્રયોગે નવલકથાકારને નવલકથામાં રહેલી અપરંપાર શક્યતાઓનો ખ્યાલ આપ્યો છે.

સધરા જેસંગનો સાળો - ભા. ૧-૨ (૧૯૬૨) ફેરફાર કરો

ચીલેચાલુ નવલકથાથી ઊંફરાટે જવાના પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં 'ભદ્રંભદ્ર' અને 'અમે બધાં' જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ સળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરો પોતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ સુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણો, અતિશયોક્તિઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓનો આશ્રય લીધો છે. મતલબીપણાથી અને ડરપોકપણાથી હીનસત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોથી ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ લોકક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં ભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટનો, નવી સાદ્દશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષો નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રાહોથી મુક્ત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે.

રંગદા (૧૯૫૧) ચુનીલાલ મડિયાનો એકાંકીનાટકોનો સંગ્રહ. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધીમાં લખાયેલાં એકાંકીઓ પૈકી તેર આ સંગ્રહમાં સંગૃહીત છે. આ નાટકો તખ્તાને નજર સામે રાખીને લખાયેલાં છે. એમાંનાં આઠેક નાટકો ગ્રામજીવનને લગતાં છે, તો બાકીનાં પાંચમાંથી ચાર નગરજીવનને લગતાં છે. 'સમ્રાટ શ્રેણિક' તદ્દન જુદું તરી આવતું એકાંકી પુરાકથાને લગતું છે. લેખકનો ગ્રામજીવનનો ઊંડો પરિચય પાત્રોની તળપદી બોલીની સિદ્ધહસ્તતામાંથી પ્રગટ થાય છે. પરંતુ નગરજીવનનાં નિરૂપણો પૂરતું ઊંડાણ સાધી શક્યાં નથી. એકંદરે, આ સંગ્રહ એકાંકી જેવા અઘરા સ્વરૂપને સફળતાથી પ્રયોજી શક્યો છે. લોકસ્તરને સ્વાભાવિક પરિવેશમાં અને સાહજિક બોલીછટામાં રજૂ કરવાના પ્રયોગો અહીં કલાત્મક રીતે પાર પડયા છે. 'શેર માટી' અને 'વાની મારી કોયલ' નોંધપાત્ર રચનાઓ છે.

અન્ય ફેરફાર કરો

'ગાંધીજીના ગુરુઓ' (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. 'વિદ્યાપ્રેમી ફાર્બસ' પણ એમની ચરિત્રપુસ્તિકા છે. 'ચોપાટીના બાંકડેથી' (૧૯૫૯) એ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો 'જયગિરનારી' (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે. 'વાર્તાવિમર્શ' (૧૯૬૧), 'ગ્રંથગરિમા' (૧૯૬૧), 'શાહમૃગ અને સુવર્ણમૃગ' (૧૯૬૬) અને 'કથાલોક' (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. 'નાટક ભજવતાં પહેલાં' (૧૯૫૭), 'ગુજરાતી સાહિત્યમાં ડોકિયું' (૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.

પુરસ્કાર ફેરફાર કરો

૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. જાની, બળવંત (૧૯૯૦). ટોપીવાલા, ચંદ્રકાંત (સંપાદક). ગુજરાતી સાહિત્યકોશ. . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૪૩૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો