યોસેફ મેકવાન (જન્મ: ૨૦ ડિસેમ્બર ૧૯૪૦ – ૨૫ ડિસેમ્બર ૨૦૨૨) એ ગુજરાતી કવિ અને વિવેચક હતા. તેઓ ગુજરાતી બાળસાહિત્યમાં તેમના યોગદાન માટે પણ જાણીતા છે.

યોસેફ મેકવાન
યોસેફ મેકવાન, ૨૦૧૦
યોસેફ મેકવાન, ૨૦૧૦
જન્મયોસેફ ફિલિપ મેકવાન
(1940-12-20)20 December 1940
અમદાવાદ, ગુજરાત
મૃત્યુ25 December 2022(2022-12-25) (ઉંમર 82)
અમદાવાદ
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનોસૂરજનો હાથ (૧૯૮૩)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
સબિના (લ. 1973)
સહી

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૪૦ના રોજ અમદાવાદમાં ફિલિપ અને મરિયમને ત્યાં થયો હતો. તેમનું કુટુંબ નડીઆદ નજીક આવેલા માલાવાડા ગામનું હતું. કૌટુંબિક સમસ્યાઓને કારણે તેમણે એસ.એસ.સી. પછી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મદદગાર તરીકે નોકરી કરી હતી, પરંતુ તેમને ઓછું વેતન મળતું હતું, તેથી તેમણે અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ૧૯૬૮માં તેમણે ગુજરાતીમાં બી.એ., ૧૯૭૦માં એમ.એ. અને ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ. કર્યું. તેઓ બુધ સભામાં નિયમિત હાજરી આપતા રહેતા. ૧૯૬૩માં તેઓ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને નિવૃત્તિ સુધી ત્યાં સેવા આપી હતી. તે ત્રણ વર્ષ સુધી વૈશાખી દ્વિમાસિક ચલાવ્યું હતું.[૧][૨]

૨૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.[૩]

સર્જન ફેરફાર કરો

તેમની પ્રથમ કૃતિ અરાવત સંસ્કૃતિ સામયિકમાં પ્રકાશિત થઈ હતી. સ્વાગત (૧૯૬૯) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો, જેમાં સોનેટ, છાંદસ કવિતા અને ગીતનો સમાવેશ થયો હતો. તેમના અન્ય કાવ્ય સંગ્રહો સૂરજનો હાથ (૧૯૮૩), અલખના અવસર (૧૯૯૪) અને અવાજના એક્સ-રે (૨૦૦૦) છે.[૧][૨]

તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે. તેમના બાળકાવ્ય સંગ્રહો તોફાન (૧૯૯૯), ડીંગ ડોંગ-ડિંગ ડોંગ (૧૯૯૮) છે, જ્યારે તેમની બાળવાર્તાઓમાં વાહ રે વાર્તા વાહ! ‍‍(૧૯૯૪)નો સમાવેશ થાય છે. તેમના પક્ષીઓ વિશેના કાવ્યો પ્રાણીબાગની સેર અને કલરવ (૧૯૯૦) છે.[૧][૨][૪]

કાન હોય તે સાંભળે (૨૦૦૧) અને સંવેદના સળ ને વળ (૨૦૦૪) એ તેમના નિબંધ સંગ્રહો છે. હળવા હાથે (૧૯૯૭) તેમના રમૂજી નિબંધો છે. તેમણે વિવેચન પણ કર્યું છે જે, ક્રોસ અને કવિ (૧૯૮૭), શબ્દગોષ્ટિ, શબ્દની આરપાર (૨૦૦૮), શબ્દને અજવાળે (૨૦૦૭) અને શબ્દસહવાસ (૨૦૦૮)માં પ્રકાશિત થયું છે. સ્ત્રોતસંહિતા (૧૯૮૦) તેમનો બાઇબલનો પદ્યાત્મક અનુવાદ છે, જે ગુજરાતના ચર્ચોમાં ગવાય છે.[૧][૨]

પુરસ્કારો ફેરફાર કરો

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ સ્વાગતને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી વડે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ વડે પુરસ્કૃત કરાઇ હતી. ૧૯૮૩માં તેમને સૂરજનો હાથ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો.[૧] ૨૦૧૩માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

અંગત જીવન ફેરફાર કરો

તેણે બે વાર લગ્ન કર્યા છે; ૧૯૬૦-૬૭ માં અને ૧૯૭૩માં સબિના ઉર્ફે સુરભી સાથે. તેમને બે સંતાનો હતા.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ [History of Modern Gujarati Literature – Modern and Postmodern Era]. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 116–118. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "યોસેફ મેકવાન, Yosef Macwan". ગુજરાતી પ્રતિભા પરિચય. 2008-08-22. મેળવેલ 2017-05-26.
  3. "ગુજરાતી સાહિત્યકાર યોસેફ મૅક્વાનનું નિધન". Gujarati Mid-day. 26 December 2022. મેળવેલ 2 January 2023.
  4. Cū Innāci (1994). Christian Contribution to Indian Languages and Literatures. Mariyakam. પૃષ્ઠ 49.