ડાકોર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ડાકોર ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે અને રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.

ડાકોર
—  નગર  —
રણછોડરાયજી મંદિર, ડાકોર
રણછોડરાયજી મંદિર, ડાકોર
ડાકોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°47′50″N 73°12′37″E / 22.797118°N 73.210184°E / 22.797118; 73.210184
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો ઠાસરા
વસ્તી ૨૫,૬૫૮[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં

ઇતિહાસ ફેરફાર કરો

દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.

એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાં માં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાત મા ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા, સવાર મા બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યુ. ભગવાન ના સ્પર્શથી લીમડા ની એક ડાળ મીઠી થઇ ગઇ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતી મા પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામા આવી બોડાણા પર ભાલા થી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મ્રુત્યુ થયુ ને ગોમતી મા મુર્તિ હતી ત્યાં પાણી લોહી થી લાલ થયુ. દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.

બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.

અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી/ઠાકોર[૨]નાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.

મંદિર ફેરફાર કરો

 
રણછોડરાયજી મંદિર, ડાકોર
 
રણછોડરાયજી મંદિર, ડાકોર, ઇ. સ. ૧૯૫૭

આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.

અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના-મોટા મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. ગુજરાતમાં દ્રારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચિન કૃષ્ણ મંદિરો ખૂબ પ્રસિધ્ધ છે. કહેવાય છે કે કંસનાં સસરા જરાસંઘના મથુરા નગરી પર થતાં આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને સૌ નગરજનો સાથે કુશસ્થળી સ્થળાંતર કર્યુ હતું.

દ્રારકામાં આવેલું ભગવાન સુદર્શન ધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. વર્ષ દરમ્યાન ઘણી વખત યાત્રા સંઘો અને ભકતગણો બાવન ગજ ની ધજાઓ સાથે ડાકોર અને દ્રારકા દર્શન માટે આવે છે.

ડાકોર અને દ્રારકાના મંદિરો સાથે પ્રાચિનકાળનાં કૃષ્ણભક્ત બોડાણાની કથા પણ જોડાયેલી છે. બોડાણાની અવિચલ ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્રારકાથી ડાકોર આવ્યા હોવાની દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ મૂળ દ્રારકામંદિરની છે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. આ બન્ને મંદિરોમાં સવારે મંગળાદર્શન થી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.

દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" અને "મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે!" જેવા ગગન ભેદી નારાઓથી મંદિર ગૂંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુન:પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે.

ડાકોરના અન્ય જોવાલાયક સ્થળ ફેરફાર કરો

 
ગોમતી ઘાટ, ડાકોર

ચિત્રકૂટ પ્રાચીન રામ મંદિર, માખણિયો આરો

  • ભગવાન ત્રિકમરાઈજી મંદિર-ગૌમતી ઘાટ
  • ડંકનાથ મહાદેવ મંદિર
  • લક્ષ્મીજી મંદિર
  • બોડાણા-ગંગાબાઇ મંદિર
  • શ્રીજી બેઠક
  • શ્રીજી ચરણ
  • શંકરાચાર્ય મઠ
  • શ્રી મંગલસેવા ધામ
  • સત્યનારાયણ મંદિર
  • બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ભગવાને પકડેલ લીમડો
  • બિલેશ્વર જૈન મંદિર
  • દત્તાત્રેય મંદિર
  • મોટા હનુમાન
  • નરસિંહ મંદિર

પરિવહન ફેરફાર કરો

 
ડાકોર બસ સ્ટેશન

ડાકોર વડોદરાથી 65 કિલોમીટર દૂર આવેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dakor City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૭.
  2. "કોરોના વાયરસની અસર ડાકોરમાં, ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો". sandesh.com. મેળવેલ 2020-03-06.

બાહ્ય કડીઓ ફેરફાર કરો