વસ્તુપાળ

૧૩મી સદીમાં વાઘેલા વંશના રાજાઓના મહાઅમાત્ય (મંત્રી) અને દંડનાયક

વસ્તુપાળ એ ૧૩મી સદીની શરૂઆતમાં વર્તમાન ગુજરાત ક્ષેત્રમાં શાસન કરનારા વાઘેલા વંશના રાજા વીરધવલ અને તેમના અનુગામી વિશળદેવના મહાઅમાત્ય (મંત્રી) અને દંડનાયક હતા. તેમણે વહીવટી અને લશ્કરી વિભાગમાં સેવા આપી હોવા છતાં તેઓ કલા, સાહિત્ય અને લોકનિર્માણના આશ્રયદાતા પણ હતા. તેઓ તેમના ભાઈ તેજપાળ સાથે કરેલ રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે પ્રસિદ્ધ છે.[૧] તેમણે પોતાના ભાઈ તેજપાળ સાથે મળીને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી હતી અને લાટ, ગોધરા, કચ્છ અને દિલ્હી સલ્તનત વિરુદ્ધ અનેક અભિયાનોમાં સેવા આપી હતી. બંને ભાઈઓએ દેલવાડા મંદિરો અને ગિરનાર જૈન મંદિરો (ગિરનાર પર વસ્તુપાળ-વિહાર)ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વસ્તુપાળ
મૃત્યુઈ.સ. ૧૨૪૦
અંકેવાલિયા (હવે ગુજરાત, ભારતમાં)
વ્યવસાયવાઘેલા વંશના દરબારમાં મંત્રી
જીવનસાથીલલિતાદેવી, સોખુકાદેવી
સંતાનોજયંતસિંહ
માતા-પિતા
  • અશ્વરાજા (પિતા)
  • કુમારદેવી (માતા)
સંબંધીઓતેજપાળ (ભાઈ) અને અન્ય નવ ભાઇ-બહેનો
ગિરનાર પર વસ્તુપાળે બંધાવેલું જૈનમંદિર

પૂર્વજો અને પરિવાર ફેરફાર કરો

વસ્તુપાળ અને તેમના ભાઈ તેજપાળનો જન્મ અણહિલવાડ પાટણમાં (વર્તમાન પાટણ) પ્રાગવટ અથવા પોરવાડ જૈન પરિવારમાં થયો હતો.[૨][૩][૧] નગેન્દ્ર ગચ્છ (એક યતિ સમુદાય)ના જૈન સાધુ વિજયસેનસુરી તેમના કુળગુરુ હતા.[૪] તેમના પૂર્વજો વિશેની વિસ્તૃત માહિતી સાહિત્યિક કૃતિઓ અને શિલાલેખોમાંથી મળી આવી છે[૨] : 'નરનારાયણ-આનંદ'માં વસ્તુપાળે ચંડપનો પોતાના પૂર્વજ તરીકે ઉલ્લેખ કર્યો છે અને આ વંશનો વિસ્તાર 'પ્રબંધ-કોશ' અને 'પુરાણ-પ્રબંધ-સંગ્રહ'માં કરવામાં આવ્યો છે.

ચંડપ સંભવતઃ ચાલુક્ય દરબારમાં મંત્રી હતા, જ્યાં તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. ચંડપ્રસાદની પત્ની જયશ્રીએ બે પુત્રો સુર અને સોમને જન્મ આપ્યો હતો. જેઓ ચાલુક્ય શાસક સિદ્ધરાજ જયસિંહના દરબારી રત્ન હતા. સોમની પત્ની સીતાને એક પુત્ર અશ્વરાજ (અથવા આશારાજા) હતો.[૪][૨][upper-alpha ૧] બાદમાં અશ્વરાજ મંત્રી બન્યા અને પ્રાગવટ વણિક દંડનાયક અભુની પુત્રી કુમારદેવી સાથે લગ્ન કર્યા.[૨][૬] કુમારદેવીએ અશ્વરાજ સાથે લગ્ન કર્યા ત્યારે તે એક વિધવા હતા.[upper-alpha ૨][૨] જોકે આ વિવરણ વિવાદાસ્પદ છે.[upper-alpha ૩][૫]

આ દંપતીને અગિયાર બાળકો હતા - સાત પુત્રીઓ : જલ્હુ (અથવા ભાઉ અથવા જલુ), મઉ, સાઉ, ધનદેવી, સોહાગા, વૈજુકા (અથવા તેજુકા) અને પદ્માદેવી. અને ચાર પુત્રો : લુનિગા, મલ્લદેવ, વસ્તુપાળ અને તેજપાળ. લુનિગાનું બાળપણમાં અવસાન થયું હતું જ્યારે મલ્લદેવ પુત્ર પૂર્ણસિંહના પિતા બન્યા બાદ મૃત્યુ પામ્યા હતા.[૮][૪]

જીવન ફેરફાર કરો

અણહિલવાડ (હાલ પાટણ)ના પ્રાગવટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપ અને તેના વંશજોને ચૌલુકય વંશના રાજાઓ સાથે લાંબા કાળથી સંબંધ હતો. તે જ વંશમાં જન્મેલા અશ્વરાજને કુમારદેવી થકી અગિયાર સંતાનો, ચાર પુત્ર અને સાત પુત્રી, હતા જે પૈકી નાના બે પુત્રો વસ્તુપાળ અને તેજપાળ હતા. તેઓ ચૌલુકય રાજા ભીમદેવ બીજાની નીચે કામ કરતા હતા પણ વિક્રમ સંવત ૧૨૭૬ (સન ૧૨૨૦)માં વીરધવલે બોલાવી વસ્તુપાળને સ્તંભતીર્થ (હાલ ખંભાત)ના દંડનાયક તરીકે નીમ્યા. તે પૂર્વે સ્તંભતીર્થ લાટમંડળ હેઠળ હતું. શાસનને સ્થિર કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.[૧]

વસ્તુપાળે લાટમંડળના રાજા શંખ (સંગ્રામસિંહ)ને ભયંકર યુદ્ધમાં હરાવ્યો હતો જેથી શંખે તેમની સત્તા સ્વીકારવી પડી. વસ્તુપાળ અને તેજપાળની મદદથી વીરધવલે દિલ્હીના સુલતાન અલ્તમશ (મોજદિન)ને આબુ નજીક યુદ્ધમાં હરાવ્યો હતો જેની કથા જયસિંહસૂરિકૃત હમ્મીરમદમર્દનમાં મળે છે.[૧]

વસ્તુપાળને બે પત્ની હતી: લલિતાદેવી અને સોખુકાદેવી. તેમના પુત્ર જયંતસિંહે પછી સ્તંભતીર્થના અધિકારી તરીકે ફરજ બનાવી હતી.[૧]

આ ભાઈઓને પુષ્કળ ધનપ્રાપ્તિ થયેલી જેનો ઉપયોગ તેમણે જૈન દેરાસરો બંધાવવા અને યાત્રાઓ કરવામાં કરેલો. તેમણે ગિરનાર, શત્રુંજય, આબુ ઉપરાંત ડભોઇ, ધોળકા, પાટણ, ભરૂચ અને ખંભાતમાં પણ જૈન દેરાસરો બંધાવેલા. તેમણે મંદિરો, ધર્મશાળાઓ, વાવ, કુવા, તળાવો અને મસ્જિદો પણ બંધાવી આપેલી. તેમણે ભરૂચ, પાટણ, ખંભાતમાં જ્ઞાનભંડારો સ્થાપ્યાં હતા. તેમની શત્રુંજય અને ગિરનારની તેર યાત્રાઓના ઉલ્લેખ મળે છે.[૧]

તેમણે વિદ્વાનો, કવિઓ અને પંડિતોને આશ્રય આપ્યો હતો. તેમની જીવન અને કાર્યોની માહિતી તેઓના ગ્રંથોમાંથી મળે છે. જેમકે અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી, બાલચંદ્રકૃત વસંતવિલાસ. નાનાક, સુભટ, યશોવીર, મણિકયચંદ્ર, અમરચંદ્ર, હરિહર વગેરે તેમના સાથી વિદ્વાનો-કવિઓ હતા. વસ્તુપાળ પોતે કવિ અને વિદ્વાન હતા. તેમણે લખેલ મહાકાવ્ય નરનારાયણાનંદ; આદિનાથ, નેમિનાથ અને અંબિકાના સ્તોત્રો; અને સુભાષિતો ઉપલબ્ધ છે. તેમની વિદ્વવત્તા માટે તેમને 'કવિકુંજર', સરસ્વતીકંઠાભરણ', 'કવિચક્રવર્તી' અને 'કુર્ચાલસરસ્વતી' (દાઢીવાળી સરસ્વતી) જેવા ઉપનામ મળેલા.[૧]

વીરધવલના અવસાન બાદ વિક્રમ સંવત ૧૨૯૬ (સન ૧૨૪૦)માં શત્રુંજયની યાત્રાએ જતા માર્ગમાં અંકેવાલિયામાં વસ્તુપાલનું અવસાન થયું. ત્યારબાદ તેજપાળને મંત્રી બનાવવામાં આવેલા.[૧] તેમના ઘણા શિલાલેખો ગિરનારના મંદિરોમાં અને અન્ય સ્થાને ઉપલબ્ધ છે અને તેમના કેટલાય સાહિત્યિક ઉલ્લેખો પ્રાપ્ત છે.[૧][૪]

નોંધ ફેરફાર કરો

  1. અન્ય કોઈ સૂત્રોમાં આ પૂર્વજોનો ઉલ્લેખ નથી, જેઓ કદાચ મંત્રીપદ ધરાવતા હતા, પરંતુ વસ્તુપાળ અને તેજપાળ જેવો પ્રભાવ ધરાવતા ન હતા. [૫]
  2. આ ની નોંધ સૌ પ્રથમ મેરુતુંગા દ્વારા કરવામાં આવી હતી અને તેનો ઉલ્લેખ લક્ષ્મણસાગર, પાર્શ્વચંદ્ર અને મેરુવિજય દ્વારા 'વસ્તુપાળ-રાસ' શીર્ષક હેઠળની ત્રણ કવિતાઓમાં કરવામાં આવ્યો હતો. "પુરાણ-પ્રબંધ-સંગ્રહ"માં પણ તેનો ઉલ્લેખ છે કે તે એક બાળ વિધવા હતી. જૂના ગુજરાતી ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વિધવા પુનર્લગ્ને પ્રાગવતને બે શાખાઓમાં વિભાજિત કર્યા : 'વૃદ્ધ-શાખા'( જૂની' અથવા 'શ્રેષ્ઠ' શાખા, આધુનિક વીસ શાખા) અને 'લઘુ-શાખા' (નવી કે હલકી શાખા, આધુનિક દસ શાખા).[૫]
  3. સી. ડી. દલાલ અને એમ. ડી. દેસાઈ દલીલ કરે છે કે તેનો કોઈ સમકાલીન સ્ત્રોતોમાં ઉલ્લેખ નથી અને પછીના લેખકોએ તેનો ઉમેરો કર્યો હશે.[૨] ભોગીલાલ સાંડેસરા એ વાતનું ખંડન કરતાં નોંધે છે કે સમકાલીન લેખકોએ વિવાદાસ્પદ વિગતો લખવાનું ટાળ્યું હશે પરંતુ બાદના લેખકોને આવો કોઈ નૈતિક સંકોચ કે અવરોધ નડ્યો નહિ હોય.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ શુક્લ, જયકુમાર આર. (1990). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XIX. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ 619–620. OCLC 552367205.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Sandesara 1953, p. 26.
  3. Laughlin 2011, p. 298.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Diskalkar, D. B. (1928). "Some Unpublished Inscriptions of Vastupala". Annals of the Bhandarkar Oriental Research Institute. 9 (2/4): 171–182. JSTOR 44027988JSTOR વડે.(લવાજમ જરૂરી)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Laughlin 2011, p. 299.
  6. Srinivasachariar, M. (1989). History of Classical Sanskrit Literature: Being an Elaborate Account of All Branches of Classical Sanskrit Literature, with Full Epigraphical and Archaeological Notes and References, an Introduction Dealing with Language, Philology, and Chronology, and Index of Authors & Works. Motilal Banarsidass. પૃષ્ઠ 200–202. ISBN 978-81-208-0284-1.
  7. Sandesara 1953, pp. 26–27.
  8. Sandesara 1953, p. 27.

ગ્રંથસૂચિ ફેરફાર કરો

  • ઢાંકી, એમ. એ. (2010). "વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ". માં શેઠ, જીતેન્દ્ર બી. (સંપાદક). સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર. L. D. Series: 148 (સંબોધી-પુરાતત્ત્વ-વિશેષાંક-૨). અમદાવાદ: લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. પૃષ્ઠ 98–116. ISBN 978-81-85857-30-5. Unknown parameter |author-list= ignored (મદદ)CS1 maint: ref=harv (link)
  • Laughlin, Jack C. (1 November 2011). "Portraiture and Jain Sacred Place: The Patronage of Ministers Vastupala and Tejahpala". માં Granoff, Phyllis; Shinohara, Koichi (સંપાદકો). Pilgrims, Patrons, and Place: Localizing Sanctity in Asian Religions. UBC Press. પૃષ્ઠ 297–331. ISBN 978-0-7748-4219-8.CS1 maint: ref=harv (link)
  • Sandesara, Bhogilal J. (1953). Literary Circle Of Mahāmātya Vastupāla And Its Contribution To Sanskrit Literature. Shri Bahadur Singh Sindhi Memoir. 3. Bombay: Sindhi Jain Shastra Sikshapith, Bharatiya Vidya Bhavan. પૃષ્ઠ 23–139.CS1 maint: ref=harv (link)