ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદર (એલેક્ઝાન્ડર) ના કાળ દરમ્યાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. આ ક્ષેત્ર પર ગ્રેકો-બેક્ટ્રીઅન રાજા મિલિંદનું (મેનાન્દર - ૧) રાજ હતું. ઈંડો-સિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો અને ત્યાર બાદ આ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું. ઈ.સ.ની પ્રથમ સદીમાં, આ ક્ષેત્ર પશ્ચિમી સત્રપો અને ત્યાર બાદ ગુપ્ત સામ્રાજ્યના નેજા હેઠળ આવ્યું. પાંચમી સદીમાં કચ્છ વલ્લભીના મૈત્રકવંશના તાબામાં ગયું અને ત્યારથી ગુજરાતના શાસક કુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો. સાતમી સદીના કાળમાં કચ્છના પૂર્વી અને મધ્ય ક્ષેત્ર પર ચાવડાઓની સત્તા હતી. દસમી સદી દરમ્યાના આ ક્ષેત્ર સોલંકીઓના તાબામાં આવ્યું. સોલંકીઓના પતન પછી વાઘેલા અહીંના શાસક બન્યા. મુસલમાન રાજાઓએ સિંધ જીતી લેતા, સમા રજપૂતો દક્ષિણ તરફ કચ્છમાં ગયા અને શરૂઆતમાં કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ્ય કર્યુ. દસમી સદી સુધી તેઓએ કચ્છના ઘણા મોટા ભાગ પર કબ્જો કર્યો અને તેરમી સદી સુધી આખા કચ્છ પર તેમની સત્તા પથરાઈ ગઈ અને આ સાથે તેમણે જાડેજા એવું નવું કુળ નામ અપનાવ્યું.

ગુજરાત રાજ્યમાં કચ્છનું સ્થાન, ભારત.

ઈ.સ. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કચ્છ ભારત સાથે જોડાયું. અને તેને ભારતના સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. ૧૯૫૦માં તેને ભારતના સંઘરાજ્યના એક રાજ્યનો દરજ્જો મળ્યો. ઈ.સ. ૧૯૫૬માં ફરી કચ્છે એક વિનાશક ભૂકંપનો સામનો કર્યો. ૧ નવેમ્બર ૧૯૫૬ના દિવસે કચ્છને મુંબઈ રાજ્યમાં વિલિન કરી દેવામાં આવ્યું. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગ થયા અને કચ્છ, ગુજરાતના એક જિલ્લા તરીકે ગુજરાતનું અંગ બન્યું. ઈ.સ. ૧૯૯૮ માં કચ્છમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત (વાવાઝોડું) આવ્યું અને ૨૦૦૧માં વિનાશક ધરતીકંપ થયો. ત્યાર પછીના કાળમાં અહીં ઝડપી ઔધ્યોગિકરણ અને પર્યટનનો વિકાસ થયો છે.

પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ પહેલાં) ફેરફાર કરો

 
ધોળાવીરાનો એક હોજ
 
ધોળાવીરાના ઉત્તર દરવાજે મળી આવેલ દાર્શનિક અક્ષરો

કચ્છમાં વિવિધ કાળખંડના ડાયનોસોરના અવશેષો ધરાવતા ૧૫૦થી વધુ સ્થળો છે.[૧]

સિંધુ ખીણ સંસ્કૃતિ ફેરફાર કરો

આ ક્ષેત્રમાં માનવ વસવાટના સૌથી પુરાતન નમુના સિંધુ ખીણની સંસ્કૃતિના પૂર્વી હડપ્પીય કાળ (ઈ.પૂ. ૩૩૦૦ - ૨૬૦૦) દરમ્યાનના મળી આવ્યાં છે. કચ્છમાં ઘણાં સ્થળોએ સિંધુ સંસ્કૃતિના કાળના પુરાતત્ત્વીક અવશેષો મળ્યા છે. કચ્છમાં આવેલું ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીક સ્થળ છે. સ્થાનીક ભાષામાં તે કોટડા ટીંબો તરીકે ઓળખાય છે.[૨] આ સ્થળ ઉત્તર કચ્છના ખડીર બેટ પર આવેલું છે. ચોમાસા દરમ્યાન ખડીર બેટ પાણીથી ઘેરાયેલું રહે છે. ધોળાવીરામાં માનવ વસવાટ ઈ.પૂ. ૨૯૦૦ થી ૧૯૦૦ વચ્ચે હોવાનું અનુમાન છે. લગભગ ઈ.પૂ. ૨૧૦૦ બાદ તેના પતનની શરૂઆત થઈ. ત્યાર બાદ અમુક સમય સુધી તે આ સ્થળ તજી દીધું હતું. છેવટે તેના ખંડેરમાં ગામડાના લોકોએ લગભગ ઈ.સ. ૧૪૫૦ સુધી વસવાટ કર્યો હતો. ધોળાવીરા સિવાય સુરકોટડા, દેશલપર ગુંથલી, પાબુમઠ, કાનમેર અને શિકારપુર અન્ય પુરાતાત્વીક સ્થળો છે.

પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ - ઈ.સ. ૬૪૦) ફેરફાર કરો

 
૧૮૨૭નો સિંધ અને કચ્છનો નક્શો

પ્રાચીન હિંદુ પૌરાણીક લેખનોના વર્ણનમાં આ ક્ષેત્રને કચ્છ એટલે કે કાચબો અથવા કિનારાનો પ્રદેશ એવું નામ આપ્યું છે અને અમુક થોડાં જંગલી લોકોના રણ પ્રદેશ તરીકે તેનો પરિચય આપ્યો છે. એક સમયે અમુક પવિત્ર સાધુ પશ્ચિમે આવેલાં નારાયણ સરોવર જતાં હતાં તે આ પ્રદેશમાં ભુલા પડ્યા. તેમણે આગ દ્વારા આ ક્ષેત્રનો સફાયો કર્યો અને તેની રાખમાંથી તે પૌષ્ટિક ઘાસ ઊગી નીકળ્યું જેથી ગોવાળો, પશુપાલકો માલધારીઓ અને વણઝારાઓની ટોળી અહીં આવી વસી.[૩]

વિદેશી ઇતિહાસ કારોના લેખનમાં કચ્છનો સૌથી પ્રારંભિક ઉલ્લેખ ગ્રીક લેખનોમાં મળી આવે છે. તે અનુસાર સિંધુ નદીની પૂર્વી શાખાઓનું પરિક્ષણ કરતાં કરતાં સિકંદર (ઈ.પૂ. ૩૨૫) એક વિશાળ સરોવરને કિનારે આવ્યો હતો. આ તળાવ યા તો નદીના પ્રસરણથી અથવા તો નજીકના અન્ય જળ સ્રોતથી બન્યું હતું. તે સિવાય એમ પણ નોંધેલું છે કે દરિયામાંથી સિંધુ નદીમાં પ્રવેશવા માટે પૂર્વી મુખ પશ્ચિમિ મુખ કરતાં વધુ સરળ છે અને દરિયા કિનારે મીઠા પાણીનો પુરવઠો મળી રહે માટે કિનારે કુવાઓ ખોદેલા છે. ત્યાર પછીના લગભગ ૧૫૦ વર્ષ બાદ એટલે કે ઈ.પૂ. ૧૪૨-૧૨૪ દરમ્યાન કચ્છ ગ્રેકો-બેક્ટ્રીઅન રાજા મિલિંદ (મેનાન્દર - ૧) ના સામ્રાજ્યનો ભાગ હતો. તેનું રાજ્ય યમુના નદીથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું. લગભગ ઈ.પૂ. ૧૨૦ની આસપાસ શકોએ (ઈંડો-સિથિયન કુળ) તેમની દક્ષિણી કૂચ દરમ્યાન કચ્છ અને ઉત્તર ગુજરાત પર પોતાની સત્તા સ્થાપી. લગભગ ઈ.પૂ. ૫૬માં ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત (દ્વીતીય) અથવા વિક્રમાદિત્યએ શકોને હરાવ્યા અને કચ્છ પર સત્તા સ્થાપી. ત્યાર બાદ ફરી વીસ અને ત્રીસ વર્ષ પછી, યુકોત્શ્ચિન હેઠળ નવા રાજવંશની સ્થાપના થઈ જેણે ઈ.સ. પહેલી સદી દરમ્યાન પારદા વંશના (ઈંડો-પાર્થિયન) રાજાઓએ શકોને હરાવ્યા અને અહીં સત્તા સ્થાપી. તેમની સત્તા સિંધથી લઈ ભરૂચ સુધી વિસ્તરેલી હતી.[૩]

પ્લીનીએ પ્રથમ સદીમાં, (ઈ.સ. ૭૭)માં લખેલા લેખનમાં ઓદામ્બરી લોકોનો ઉલ્લેખ છે જે કચ્છના લોકો માટે વપરાયેલો હોવાનું મનાય છે. તેજ પ્રમાણે ટોલેમી (ઈ. સ. ૧૫૦)એ સિંધુ નદીના પૂર્વી ભાગમાં ઓર્બાદરી નામના નગરનો ઉલ્લેખ કર્યો છે જે તે લોકોનું મુખ્ય મથક હોવાનો અંદાજ છે. ટોલેમીને કચ્છના અખાતની જાણ હતી, તેણે તેને કન્થી (કંઠી) તરીકે ઓળખાવ્યો છે. હજી આજે પણ અખાતના ઉત્તર કિનારાના પ્રદેશને કંઠી નામે ઓળખાય છે અને રણને દક્ષિણે છેડે આવેલા એક કિલ્લાનું નામ પણ કંથકોટ છે.

આ ઉલ્લેખના સો વર્ષ પછી (ઈ.સ. ૨૪૬)માં લખાયેલા એક નૌકાવહન દસ્તાવેજમાં કચ્છના અખાતના બાહ્ય ભાગમાં બરાકે નામના બંદરનો ઉલ્લેખ થયો છે, મોટે ભાગે તે દ્વારકા હોવું જોઈએ. આ દસ્તાવેજ આગળ વર્ણવે છે કે તે બંદરથી આગળ એરિઓનનો અખાત (સંસ્કૃતમાં ઈરીણા કે અરણ્ય, ખાર કળણ, આજનું રણ) આવે છે, તેના બે ભાગ છે એક નાનો અને એક મોટો, આ બંને વિસ્તાર વણ ખેડાયેલા છે, અહીં વહાણ ચલાવવું જોખમી છે, તે છીછરા છે અને એમાં વિનાશક ભમર આવે છે. આ વર્ણન આજના કચ્છનું નાના રણ અને કચ્છના મોટા રણને વિષે હોવાનો અંદાજ છે. આ અખાતના બીજા કિનારે આવેલા પ્રદેશને તેણે અને ટોલેમીએ બંને સુરાષ્ટ્રીની (સૌરાષ્ટ્ર) તરીકે ઓળખાવ્યો છે. તેમની અનુસાર આ પ્રદેશ સમૃદ્ધ, વિપુલ પ્રમાણમાં મકાઈ, ચોખા, રાઈ, માખણ ઉત્પન્ન કરનારો હતો; અહીંના લોકો કાળા અને ઊંચા હતાં અને તેમની પાસે ધણ (પશુઓના મોટા ટોળાં) હતા. કરાંચી પાસેના બંદર પર ટોલેમીનું કંઠીના જહાજો માટેનું થાણું હતું, તે સિવાય ગ્રીકોનો કચ્છ સાથે કોઈ સીધો વ્યાપાર ન હતો. કચ્છના અખાતથી દૂર રહેવાની સલાહ અપાતી અને સમગ્ર વ્યાપાર ભરૂચમાં કેન્દ્રીત હતો. આ નૌકા વહન દસ્તાવેજ લખાયો તેના પછી ટૂંક સમયમાં જ કચ્છ સાહ રાજાઓએ (ઈ.સ.૧૪૦-૩૮૦) જીતી લીધું. આ રાજાઓ શક્યતઃ પશ્ચિમ સાત્રપ કુળના હતા જેમનું રાજ્ય તાપી નદીથી સિંધ સુધી ફેલાયેલું હતું. ત્યાર બાદ કચ્છ ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બન્યું અને ત્યાર બાદ તે વલ્લભીના મૈત્રકોના હાથમાં ગયું. સાતમી સદીમાં (લગભગ ઈ.સ. ૬૪૦)માં કચ્છ સિંધ રાજ્યનો ભાગ હતું. ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગ અનુસાર તે સમયની ભાકર નજીક સિંધુ નદી પર આવેલી, સિંધ રાજ્યની રાજધાની અરોરથી કચ્છ ૨૬૭ માઈલ (૧૬૦૦ લીસ) દૂર હતો. તેણે આ પ્રદેશને ઓટીએન-પો-ચી-લો નામ આપ્યું જે અધ્યાવાકિલા કે પ્લીનીના ઓડમ્બીરાને દર્શાવે છે. તેણે આ રાજ્યનો પરિપથ લગભ ૮૩૩ માઈલ (૫૦૦૦ લીસ) અને તેની રાજધાનીનો પરિપથ ૫ માઈલ (૩૦ લીસ) બતાવ્યો છે. આ પ્રદેશની રાજધાનીનું નામ તેણે કેઈ-ત્સી-ફા-લો જણાવ્યું છે, જે કદાચ કોટેશ્વર હોઈ શકે છે.[૪]

રાજપૂત કુળો (૬૪૦ – ૧૩૨૦) ફેરફાર કરો

આઠમી સદીના (લગભગ ઈ.સ. ૭૧૪)માં કચ્છનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે તેલેગુના પ્રમારના મૃત્યુ પછી કચ્છ ચારણોને આપવામાં આવ્યું હતું. મુસલમાન ઇતિહાસકારો અનુસાર કચ્છ અરોરના રાજાના આધિપત્યમાં હતું. ત્યાર બાદ ટૂંક સમયમાં સિંધમાંથી આવેલ કાઠી રાજપૂત ટોળી, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ કચ્છમાં સાશક બન્યા. તેમનું મુખ્ય મથક મંજલ નજીક આવેલ પવારગઢ હતું. આ સમયે પૂર્વી કચ્છમાં ચાવડા વંશનું સાશન હતું. આઠમી અને નવમી સદીમાં પંચાસર રાજા અને અણહીલવાડ પાટણની સહાયતાથી તેમનો પ્રભાવ વધ્યો હતો. ઈ.સ. ૯૪૨માં ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની પત્ની, તેના એક વર્ષના પુત્ર અહીપતને લઈ ને જેસલમેર, પોતાના પિતાને ઘેર ભાગી ગઈ. આગળ જતા અહીપત ભયંકર બહારવટીયો બન્યો અને અણહિલવાડ પાટણના અધિપત્યનો નાશ કરવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેણે કચ્છના ૯૦૦થી વધારે ગામડાં જીતી લીધા અને મોરગઢને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણાં વર્ષ રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસિં(હ) ગાદીએ આવ્યો. ત્યાર બાદ અનુક્રમે વિભુરાજા, તાકુલજી, શેષકરણજી, વાઘજી, અખેરાજા, તેજશી (તેજસિંહ), કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી અનુગામી બન્યા. પુંજાજી તેરમી સદીના અંતમાં એટલે કે અલાઉદ્દીન ખીલજી ના કાળમાં હયાત હતો.[૫]

દસમી સદીમાં, જ્યારે ચાવડા વંશના રાજાઓને હરાવી સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ પાટણ અણહીલવાડ પર કબજો કર્યો ત્યારે ચાવડા વંશના રાજાએ કચ્છ તરફ પ્રયાણ કર્યું. ત્યાર બાદ ટૂંક સમયમાં (લગભગ ઈ.સ. ૯૫૦) કલ્યાણના ચાલુક્યોના દબાણને લીધે મૂળરાજ સોલંકીએ કંથકોટ જીતી લીધો. આ સમય દરમિયાન આરબોએ ગુજરાતના કિનારે અને કાઠિયાવાડ પર ચઢાઈ કરી હતી અને સિંધ જીતી લીધું હતું. નવમી સદીમાં તેઓએ કચ્છના કિનારે વસાહતો સ્થાપી હતી અને દસમી સદીની શરૂઆતમાં કચ્છ સિંધનો ભાગ બની ગયું. અલ બીરુની નામના ઈરાની વિદ્વાને કચ્છનો તેના હાલના નામ કચ્છ તરીકે ઉપયોગ કર્યો છે, તેની અનુસાર સિંધુ નદીની એક શાખા કચ્છની સીમા આગળ સિંધ સાગરને મળે છે. દસમી અને અગિયારમી સદીના આરબ પ્રવાસીઓના લેખનમાં કચ્છનો ઉલ્લેખ ખાસ કરીને તેના ચાંચિયાઓના સંદર્ભમાં મળે છે, આ ચાંચિયાઓનું મુળ મથક કચ્છ અને સોમનાથ હતું તથા તેઓ બાવરીજ નામનું વહાણ વાપરતા તેથી તેમને બાઈરા કહેવાતા.[૫]

અગિયારમી સદીની શરૂઆતમાં (ઈ.સ. ૧૦૨૩) મહમ્મદ ગઝની આવે તે પહેલાં ભીમદેવ કંથકોટ ભાગી ગયો. મૂળરાજની જેમ તેણે આખા વાગડ પર અને તેની કચ્છના ગામની બે જાગીર પર અધિપત્ય જાળવી રાખ્યું. આ સદીના અંત સુધી કચ્છ પર સિંધના સુરમા વંશના ચોથા રાજ કુમાર સિંઘરે આધિપત્ય જમાવ્યું, પરંતુ તેની સત્તા લાંબી ટકી નહી. સોલંકી વંશના (ઈ.સ.૧૦૯૪-૧૧૪૩) સિદ્ધરાજ જયસિંહે કચ્છ પોતાના તાબા હેઠળ આણ્યું. ત્યાર બાદ થોડાં જ વર્ષોમાં (લગભગ ઈ.સ. ૧૧૮૦), સોલંકી વંશના ઇતિહાસના એક વૃતાંત અનુસાર, પૃથ્વીરાજ અને ભીમદેવ (દ્વીતીય) વચ્ચેના યુદ્ધમાં કચ્છના બલ્લાઓ તેમના ૩૦૦૦ ઘોડાની સાથે ભીમદેવને પક્ષે લડ્યા અને ૧૩મી સદીમાં સોલંકી વંશ પછી કચ્છ પર વાઘેલા વંશ (૧૨૪૦-૧૩૦૪)ની સર્વોપરિતતા સ્થપાઈ.[૬]

સુમરા સલ્તનત (ઈ.સ. ૧૩૨૦-૧૩૨૫) ફેરફાર કરો

 
લાખો ફુલાણી દ્વારા બંધાવવામાં આવેલા શિવ મંદિરના અવશેષ, કેરા (કચ્છ)

સિંધમાં મુસલમાન (ઈ.સ. ૭૧૨ - ૧૦૫૧) રાજ દરમ્યાન ત્યાંના સમ્મા રજપૂતોએ કચ્છમાં આવવાની શરૂઆત કરી હતી. તેરમી સદીની શરૂઆતના સમયમાં જ્યારે શમ્સ-ઉદ્-દીન ઈલ્ટુમીશે જ્યારે સિંધ જીતી લીધું ત્યારે સમ્મા વંશના અન્ય લોકો પણ કચ્છમાં આવ્યા. સ્થાનીય કથાઓ અનુસાર સિંધના સમ્મા સરદાર લાખાના પુત્રો વચ્ચે ઝઘડા થવાને કારણે તેઓ કચ્છમાં આવ્યા. લાખાના મૃત્યુ પછી તેના નાના પુત્રો મોડ અને માનઈએ તેના ભાઈ અને સરદારની ગાદીના ખરા હક્કદાર એવા ઉનાદ (અથવા ઉમર) વિરુદ્ધ કાવતરું કર્યું. પણ તે કાવતરું નિષ્ફળ ગયું અને તેમને સિંધ છોડી કચ્છ તરફ ભાગવાની ફરજ પડી. કચ્છમાં તેઓ તેમના કાકા, વાગમ પાસે આવ્યાં જે ચાવડા વંશના સરદાર હતા અને રણના પાતગઢમાં રાજ કરતા હતા. વાગમે તેના ભત્રીજાને આશ્રય આપ્યો. પણ અમુક સમય બાદ તેઓ તેની જ સામે થયા અને તેને મારી તેના કિલ્લા પર કબજો કર્યો.[૭] આ સમાચાર મળતા વાગમના અધિપતિ સરદારો, ગુંથલીના વાઘેલા બંને ભાઈઓ પર ક્રોધે ભરાયા. તેમને શાંત કરવા ભાઈઓએ ગુંથલીના વાઘેલાને વાગમ કરતાં બમણી ખંડણી આપવાનું તથા બંનેમાંથી એક ભાઈએ ગુંથલીમાં નજરકેદ રહેવાનું કબુલ કર્યું.[૮] આ ખંડણીના એક ભાગ રૂપે ચૌદ ગાડા ભરીને ઘાસચારો અપાતો હતો. એક વર્ષે તે ઘાસના ગાડાંમાં સૈનિકોને સંતાડી મોકલવામાં આવ્યા. રાતના સમયે તેઓ બહાર નીકળ્યા અને ગુંથલીના કિલ્લાનો કબજો લીધો અને વાઘેલાઓને અખાતને સામે છેડે કાઠીયાવાડ મોકલી દીધા. આ સફળતા પછી મોડ પશ્ચિમી કચ્છનો અધિપતિ બન્યો. ત્યાર બાદ ઈ.સ. ૧૩૦૫માં સાદ ગાદી પર આવ્યો. તેના પંદર વર્ષો બાદ ઈ.સ. ૧૩૨૦માં તેનો પુત્ર ફુલ ગાદીએ આવ્યો. તેનો અનુગામી લાખા ફુલાણી હતો.

સિંધના મુસલમાન ઇતિહાસકારો અનુસાર, સુમરા રાજાની રાજધાની મુહમ્મદ તુર હતી. તેરમી સદીની આસપાસ અલાઉદ્દીન ખીલજી સામે હાર્યા બાદ, સુમરાઓએ સિંધના પ્રાચીન જમીનદારો સમ્મા ઉપર ખુબ જુલમ ગુજાર્યો, આથી તેઓ સ્થળાંતર કરી કચ્છમાં ગયા. આ ઘટનાના અમુક સમય બાદ, સિંધ પર ફરી મુસલમાન રાજાએ ચઢાઈ કરી અને તેની રાજધાની મુહમ્મદ તુર નો નાશ કરવામાં આવ્યો. ત્યારે, સુમરા રાજાઓની સ્ત્રીઓ અને બાળકોને રક્ષણ માટે કચ્છના જાડેજા પાસે મોકલવામાં આવ્યા. કચ્છમાં આવ્યા પછી, સુમરાઓએ પ્રથમ તો રણમાં વસવાટ કર્યો. પણ બાદમાં તેમણે કચ્છના અધિપતિ, ચાવડા વંશના રાજાઓને જમીન ફાળવવા વિનંતિ કરી. આ વિનંતિ એક શરતે માન્ય કરવામાં આવી કે જમીન પર ઉઘતું ઘાસ ચાવડાઓને આપવામાં આવે અને ધાન સુમરાઓ રાખી શકે. તેમના દ્વારા ગુંથલી પર કબજો કરવાની અને રાજનૈતિક શક્તિ બનવાની કથા ઉપર જણાવી તેવી જ છે.

કચ્છના સ્થાનીય ઈતિહાસ અનુસાર ઈ.સ ૧૩૨૦માં આખું કચ્છ જીત્યા બાદ લાખા ફુલાણીનું રાજ્યારોહણ થયું જે કપિલકોટ (હાલનું કેરા)થી રાજ ચલાવતો હતો. મુસલમાન ઇતિહાસકારો અનુસાર ઈ.સ.૧૩૨૦માં સિંધથી સમ્માઓનું છેલ્લો કચ્છમાં આવ્યું. આ બંને મતો માને છે કે ઈ.સ. ૧૩૨૦માં કાઠીઓની હાર થઈ અને સમગ્ર કચ્છમાં સમ્માઓની સત્તા સ્થપાઈ. છેવટે ઈ.સ. ૧૩૪૦માં કાઠીયાવાડમાં લડતા લડતા લાખા ફુલાણીનું મૃત્યુ થયું.[૯]

સમ્માઓના કચ્છ વિજય સમયે આ ક્ષેત્રને રણ અને ટેકરીઓની ભૂમિ તરીકે વર્ણવાઈ હતી. એવું અનુમાન છે કે કચ્છના દક્ષિણમાં કાઠીઓની અને અન્ય ક્ષેત્રોમાં વાઘેલા અને ચાવડાઓની પાંખી વસ્તી હતી. કાઠીઓએ સૌરાષ્ટ્ર મા પોતાનો વિસ્તાર ફેલાવ્યો પણ ચાવડાઓ ત્યાજ રહ્યા.


અાં પણ ચાવડા અહીં કાયમ રહ્યા અને જ્યારે પણ કોઈ કૂવા કે તળાવ ખોદાતા ત્યારે તેમની સલાહ લેવામાં આવતી.[૯]

લાખા ફુલાણી પછી તેનો ભત્રીજો પુરા અથવા તો પુનવારો ગવાણી ગાદીએ આવ્યો. અલ્પ કાળ રાજ કર્યા પછી તે જખ બોંતેરાને હાથે માર્યો ગયો. પુરાને બે નાના ભાઈઓ હતા, પણ તેઓ રાજ ચલાવવા અયોગ્ય હતા આથી પુરાની વિધવા પત્નીને લાખાને તેડી લાવવા સિંધ મોકલવામાં આવી. લાખો એ મોડના મોટા ભાઈ જામ ઉનાદ (અથવા ઉમર)નો ચોથી પેઢીનો વંશજ હતો. (જામ ઉનાદનો પુત્ર તમાચી સમ્મા, તેનો પુત્ર સંધ, તેનો પુત્ર જાડા અને તેનો પુત્ર તે લાખો). લાખાનું શાસન ઈ.સ. ૧૩૫૦માં શરૂ થયું હોવાનું મનાય છે તે લગભગ ૧૫ વર્ષ ચાલ્યું. તે પહેલાંના કચ્છના અમુક સમ્મા રાજાઓએ સામ્રાજ્યને કાઠીયાવાડમાં પણ વિસ્તાર્યો હતો. લાખાના કાળમાં આ વિસ્તાર કચ્છ પુરતો સિમિત થયો તેનું કારણ હિંદુ ઐતિહાસિક વૃત્તાંત કાઠીઓનો પ્રખર ઘર્ષણ દર્શાવે છે,[૧૦]

ઈ.સ. ૧૧૪૭માં કચ્છ રાજ્ય નામે પૂર્વી કચ્છમાં લાખો જડાણી દ્વારા કચ્છના પૂરોગમી રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તેને જામ જાડાએ દત્તક લીધો હતો આથી તે લાખો જાડાણી કહેવાયો. તેણે તેની નવી રાજધાની લખીયારવીરોથી (આજના નખત્રાણાની નજીક) પૂર્વી કચ્છ પર ઈ.સ. ૧૧૪૭ થી ૧૧૭૫ સુધી રાજ કર્યું. આ રાજધાનીનું નામ તેના બે જોડિયા ભાઈઓ ઉપરથી પાડવામાં આવ્યું હતું.[૧૧]

પૂર્વી જાડેજા રાજ (ઈ.સ.૧૩૬૫-૧૫૦૦) ફેરફાર કરો

 
જાડેજા વંશનો કુટુંબ વડલો
 
ઈ.સ ૧૮૨૭નો સિંધ અને કચ્છનો નકશો

કચ્છના રાજવીઓનું રાજ કચ્છ પુરતુ જ સિમિત થયા બાદ, રાજવંશ જાડાના વંશજ એવા જાડેજા તરીકે ઓળખાવા લાગ્યો. જાડા ઉપરથી જાડેજા એવું નામ અપનાવ્યું તે દલીલ યોગ્ય છે પણ આ નામ પુરાણું છે તેવા અમુક પુરાવા પણ મળ્યા છે. તે અનુસાર સમ્મા ટોળીના સરદાર થટ્ટા સમ્માના ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાથી ઓછી જાણીતા એવી જાડેજા ઉપટોળી જાણીતી બની.[૧૨]

જાડેજાએ સિંધની ટોળીઓ પૈકી એક હતી જેમણે ૧૦મી સદીમાં કર્માશીયન ધર્મના સિદ્ધાંતને અપનાવ્યો હતો. જ્યારે સમ્માઓના પ્રમુખ સર્વ શાખાઓએ ચુસ્ત ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો ત્યારે જાડેજાઓ પોતાના જુના અર્ધ હિંદુ-અર્ધ મુસલમાન ધર્મને વળગી રહ્યા. જાડેજાઓના રાજાઓના નામો હિંદુ રહ્યા જ્યારે થટ્ટા જામન વંશે મુસ્લીમ નામો અંગીકાર કર્યા. સલાહુદ્દીન (ઈ.સ. ૧૩૯૩-૧૪૦૪) એ મુસલમાન ધર્મ અંગીકાર કરનાર પ્રથમ સમ્મા રાજા હતો. તેણે કચ્છ પર ભયંકર અને સફળ આક્રમણ કરી પોતાની આણ વર્તાવી. પારંપારિક ઐતિહાસિક સ્રોત અનુસાર લગભગ ૧૩૬૫માં લાખા પછી તેનો પુત્ર રાતા રાયધણ ગાદીએ આવ્યો. તે પોતાની પાઘડી ફરતે લાલ કપડું બાંધતો આથી તેને રાતા એવું વિશેષણ મળ્યું. રાતા રાયધણના સમયમાં કોઈ વિશેષ ઘટના ઘટી નહીં. રાતા રાયધણના ત્રણ પુત્રો હતા: દાદરજી, ઓથાજી અને ગજનજી. આ સિવાય બીજી પત્ની દ્વારા તેને હોથીજી નામે ચોથો પુત્ર પણ હતો. પહેલાં ત્રણ ભાઈઓએ રાજ્યની જમીનના ચાર ભાગ કર્યાં. બે ભાગ મોટા ભાઈના, અને નાના ભાઈઓને પ્રત્યેક એક ભાગ વહેંચી, ચોથા ભાઈ હોથીહી માટે બાર ગામ રાખ્યા.[૧૨] દાદરજીનું મુખ્ય મથક પૂર્વનો કંથકોટ હતું, ઓથાજીનું મુખ્ય મથક ભુજની ઈશાને હબા ટેકરીઓ નજીક આવેલ આજાપુર હતું. ગજનજી પશ્ચિમે આવેલા તેરા નજીક આવેલા બારા માં રહ્યાં.[૧૩] ઓથાજીએ લગભગ ઈ.સ. ૧૩૮૫ સુધી આજાપુર પર રાજ્ય કર્યું. દાદરજીના વંશજો આ પ્રમાણે હતા: જીહાજી, બરાચ, જાડાજી, ભાટ, રાવજી, લાખા, જીહાજી અને દાદર. ઓથાજીના ઔગામેઓ આ મુજબ હતા : ગાહોજી (૧૪૦૫), વેહાનજી (૧૪૩૦), મુલવાજી (૧૪૫૦), કાન્યોજી (૧૪૭૦), અમરજી (૧૪૯૦), ભીમજી (૧૫૧૦), હમીરજી (૧૫૨૫), અને અલીયાજી. ગજનજીના અનુગામીઓ હતા: હાલા (જેના નામે હાલા વંશ ચાલ્યો), રાયધણ, કુબેર, હરધાલ, પરિપલ, ઉનાદ, તમાચી, હરભમ, હરધાલ, લાખા, અને જામ રાવળ. જામ રાવળે ઈ.સ. ૧૫૩૯માં નવાનગર રાજની સ્થાપના કરી.[૧૪] ત્યાર બાદ તેમના વંશજોની શાખાએ રાજકોટ, ગોંડલ, ધ્રોલ અને વીરપુર રજવડાંની સ્થાપના કરી.[૧૫] ઈ.સ. ૧૧૪૭માં કચ્છની સ્થાપનાથી ઈ.સ.૧૫૪૮માં જામ રાવળના મૃત્યુ સુધી કચ્છની રાજધાની લખીયાવીરો રહી.

પંદરમી સદીના પ્રારંભમાં (ઈ.સ. ૧૪૧૦)માં ગુજરાત સલતનતના સ્થાપક મુઝફ્ફર શાહ (પ્રથમ)એ કંથકોટના વડાને હરાવ્યો હતો. આ હાર છતાં અમદાવાદની નીચે હોવા છતાં ઈ.સ. ૧૪૭૨ સુધી કચ્છ એક સ્વતંત્ર રજવાડું રહ્યું. તે સમયે મહમદ બેગડાએ માત્ર ૩૦૦ ઘોડે સવારોથી હુમલો કર્યો અને ૪૦૦૦ તીરંદાજોને સેનાને હરાવી. કચ્છી સેનાએ હાર સ્વીકારી. જ્યારે મહમદે તેમનો ધર્મ પૂછ્યો, ત્યારે તેમણે કહ્યું કે અમે રણના માણસો છીએ અમારી પાસે કોઈ ગુરુ નથી. આ સાંભળી મહમદે તેમને ત્યાં ગુરુઓ મોકલવાનું વચન આપ્યું. જે વડાઓ તેની સાથે જુનાગઢ ગયા તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો.[૧૪]

કચ્છ રજવાડું (૧૫૩૮-૧૬૯૭) ફેરફાર કરો

શાસક રાજ્યારોહણ
ખેંગારજી (પ્રથમ) ઈ.સ. ૧૫૪૮
ભારમલજી (પ્રથમ) ઈ.સ. ૧૫૮૫
ભોજરાજજી ઈ.સ. ૧૬૩૧
ખેંગારજી (દ્વીતિય) ઈ.સ. ૧૬૪૫
તામાચી ઈ.સ. ૧૬૫૪
રાયધણ (દ્વીતિય} ઈ.સ. ૧૬૬૫
ખેંગારજી (પ્રથમ)

સિંધના થટ્ટા સમ્માઓની સત્તાને ઉથલાવનાર અરગુણ વંશ સાથે સોળમી સદીની શરૂઆતમાં કચ્છના રાજાને સારા સંબંધ ન હતા. સિંધી ઇતિહાસકારો અનુસાર લગભગ ઈ.સ. ૧૫૩૦માં સિંધનો શાહ હુસેન (ઈસ. ૧૫૨૨ -૧૫૪૪) કચ્છમાં દાખલ થયો અને રાઓને કરારી હાર આપી. આ સમયે જાડેજા કુળની ત્રણ શાખાઓનું કચ્છ પર રાજ હતું. તે શાખાઓના પ્રતિનિધિઓ હતા: જામ દાદરજી, જામ હમીરજી અને જામ રાવળ. આ ત્રણેમાંથી જામ હમીરજી અને જામ રાવળ પાડોશી અને તીવ્ર પ્રતિસ્પર્ધીઓ હતા. ઈ.સ. ૧૫૩૭માં જામ રાવળે મૈત્રીના ઓઠા હેઠળ જામ હમીરજીની કતલ કરી. જ્યારે હમીરજીની કતલ થઈ તે સમયે તેના ચાર માંનો મોટો પુત્ર અલીયાજી તેની બહેન જે ગુજરાત ના સુલતાન મહમદ બેગડાને પરણી હતી, તેને મળવા અમદાવાદ ગયો હતો તથા તેનો દ્વીતીય પુત્ર ખેંગારજી પારકરમાં આવેલા વીરવાહની મુલાકતે ગયો હતો. તેના નાના બે પુત્રો સાહેબજી અને રાયબજીને ગુપ્ત રીતે વાગડના રાપરમાં લઈ જવાયા હતા. પારકરથી પાછા આવી બંને નાના ભાઈઓને લઈ ખેંગારજી (પ્રથમ) અમદાવાદ ગયા અને ત્યાં તે તેમના કુટુંબીઓ અને અનુગામીઓને મળ્યા. એક અસમયે મહમદ બેગડા સાથે શિકાર પર જતા, ખેંગારજી (પ્રથમે) માત્ર તલવાર વડે વાઘને ફાડી નાખ્યો. માત્ર ચૌદ વર્ષની ઉંમર ધરાવતા ખેંગારજીની આવી બહાદૂરી જોઈ મહમદ બેગડો ખૂબ ખુશ થયો અને તેની જે ઇચ્છા હોય તે માગવા જણાવ્યું. ખંગારજી (પ્રથમ)એ રણને કાંઠે આવેલા મોરબીની જાગીર માંગી. તે જાગીર સાથે બેગડા પાસેથી તેને રાઓનો ખિતાબ અને સેના પણ મળી. ખેંગારજી (પ્રથમ) મોરબીથી જામ રાવળના મિત્ર એવા જામ દાદરજીના ગામડાઓ ઉપર આક્રમણ કર્યા કરતા હતા. ત્યાર બાદ તેમણે રાપરમાં વસવાની રજા માંગી, શરૂઆતમાં તે સફળ ન થયા પણ પછીથી રજા મળી. ત્યાર પછી તેમણે તેના હોથી સરદારની સહાય વડે રાપરના વડાને કિલ્લામાંથી બહાર બોલાવી તેનું અને તેના પુત્રને મારી નાંખ્યો અને તેની માલમત્તા પર કબજો કર્યો.[૧૪] આમ ચૌદ વર્ષના દાવપેચ પછી છેવટે ઈ.સ ૧૫૪૮માં તેમણે તેના પિતાના ખૂની જામ રાવળને કચ્છમાંથી બહાર કાઢી મૂક્યા. તેણે અન્ય સરદારો પર દયા રાખી તેમને પોતાની જાગીરો પર રહેવા રજા આપી અને પોતે કચ્છના રાજા તરીકે આરૂઢ થયા. જામ રાવળ કચ્છ પર બે દાયકા રાજ કરી કાઠિયાવાડ નાસી ગયા. ત્યાં તેમણે નવાનગર નામનું શહેર સ્થાપ્યું અને સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. કચ્છના રાજા બનતા ખેંગારજીએ તેમના પિતા દ્વારા ઈસ. ૧૫૧૦માં સ્થાપેલ ભુજ શહેરને તેમની રાજધાની બનાવવાનો નિશ્વય કર્યો. આ ક્ષેત્ર લાંબા સમયથી બહારવટીયા અને ખૂનીઓનો આડ્ડો બન્યું હતું. તેમને ઘણાં પરિશ્રમથી હટાવવામાં આવ્યા અને છેવટે તેના સમર્થકો ત્યાં સ્થાયી થવા રાજી થયા અને રાજધાની વસી. ખેંગારજી (પ્રથમ)ને કચ્છ રાજ્યના સ્થાપક માનવામાં આવે છે. તેમણે ઈ.સ. ૧૫૪૮થી ૧૫૮૫ સુધી રાજ કર્યું.[૧૬] ખેંગારજી(પ્રથમ) એ માંડવી બંદરની પણ સ્થાપના કરી હતી.

ભારમલજી (પ્રથમ)

ઈ.સ. ૧૫૮૫માં ખેંગારજી પ્રથમના મૃત્યુ પછી ભારમલ રાજા બન્યા જેમણે ઈ.સ. ૧૬૩૧ સુધી રાજ કર્યું. તેમના શાસન દરમ્યાન ગુજરાતની સલતનત મોગલોને તાબે ગઈ. ગુજરાત સલ્તનત હેઠળ કચ્છને ૫,૦૦૦ ઘોડે સવારોની સહાય સિવાય અન્ય કોઈ ખંડણી આપવાની ન હતી. પણ જ્યારે ગુજરાત સલ્તનત હેઠળની પોતાની સત્તાઓ છીનવાઈ જતા ભારમલે પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યા. પણ છેવટે ઈ. સ. ૧૫૯૦ અને ૧૫૯૧ની મોગલો સામે થયેલી હાર પછી કચ્છના રાજવીએ મોગલોની સત્તા સ્વીકારી. તે હાર પછી તેમને તેમના જુનું પદ ફરી અપાયું અને ક્યારેક જ તેમની પાસે ખંડણી માગવામાં આવતી.[૧૭]

ઈ.સ. ૧૫૮૩-૧૫૯૦ દરમ્યાન લખાયેલ ગ્રંથ આઈને અકબરીમાં લેખકે કચ્છ વિશે આપ્રમાણે લખ્યું છે:

ઈ.સ. ૧૬૧૭ માં મોગલ સમ્રાટ જહાંગીરને માન આપવા અમદાવાદ ગયાં. ત્યાં તેમણે જહાંગીરને ૧૦૦ કચ્છી ઘોડા, ૧૦૦ સોનામહોર (અશરફી) અને ૨૦૦૦ રૂપિયાનું નજરાણું આપ્યું. તેમની ગણના ગુજરાતના એક મહાન જમીનદાર તરીકે થતી, જેમની પાસે હંમેશા ૫૦૦૦થી ૬૦૦૦ ઘોડાઓ રહેતાં અને લડાઈના સમયે તેઓ તેની બમણાની વ્યવસ્થા કરી શકતા. જહાંગીર આ વૃદ્ધ સરદારથી ખુશ થયો અને તેને પોતાનો ઘોડો, એક નર અને માદા હાથી, એક કટાર, હીરા જડિત હાથાવાળી તલવાર અને ચાર વીંટીઓ ભેંટ આપી. આ સાથે મક્કા જનારા જાત્રાળુઓને કચ્છમાંથી પસાર થવા દેવાના બદલામાં તેમને ખંડણી પણ માફ કરી.[૧૮]
ઈ.સ. ૧૬૩૧-૧૬૯૭

ઈ.સ. ૧૬૩૧માં ભારમલના મૃત્યુ પછી ભોજરાજ ગાદીએ આવ્યા અને તેમને ૧૬૪૫ સુધી રાજ કર્યું. ત્યાર બાદ તેમને ભત્રીજો ખેંગારજી (દ્વીતીય) ગાદીએ આવ્યો. ઈ.સ. ૧૬૫૪માં તેમના મૃત્યુ પછી તમાચી ગાદી પર આવ્યા અને તેમના પછી ઈ. સ. ૧૬૬૨માં રાયધણજી (દ્વીતીય) ગાદીએ આવ્યા. સત્તાનું આ હસ્તાંતરણ ખૂબ શાંતિ પૂર્ણ રહ્યું અને આ કાળ દરમ્યાન કચ્છે અસ્ખલિત શાંતિ અનુભવી. આ કાળ દરમ્યાન એક જ ઘટના નોંધવા લાયક બની, અને તે હતી ઔરંગઝેબના ભાગેડુ કુંવર દારા શિકોહનું આગમન. તામાચીએ પ્રથમ તો તેને આવકાર્યો પણ પછી તેથી વિપરિત જઈ તેને કચ્છમાંથી નીકળી જવાની ફરજ પાડી. રાયધણજીનો જ્યેષ્ઠ પુત્ર નોઘાજી તેના પિતાની હયાતીમાં નવયુવાન વયે અવસાન પામ્યો.[૧૮]

કચ્છ રજવાડું (૧૬૯૮-૧૮૧૯) ફેરફાર કરો

 
દેહળજી દ્વીતીયના સમયમાં જાડેજા શાસકનું ઈ. સ. ૧૮૩૮માં દોરાયેલું ચિત્ર
કાળખંડ શાસક
૧૬૯૮ – ૧૭૧૫ પ્રાગમલજી (પ્રથમ) (જ. ૧૬... - મૃ. ૧૭૧૫)
૧૭૧૫ – ૧૭૧૯ ગોડજી (પ્રથમ) (જ. ૧૬... - મૃ. ૧૭૧૮)
૧૭૧૮ – ૧૭૫૨ દેશળજી (પ્રથમ) (જ. ૧૬૮૨ - મૃ. ૧૭૫૨)
૧૭૪૧ – ૧૭૫૨ લખપતજી (રાજ-પ્રતિનિધિ)(જ. ૧૭૧૭ - મૃ. ૧૭૬૧)
૧૭૫૨ – ૧૭૬૦ લખપતજી (જ. ૧૭૧૭ - મૃ. ૧૭૬૧)
૧૭૬૦ – ૧૭૭૮ ગોડજી (દ્વીતિય) (જ. ૧૭3૪ - મૃ. ૧૭૭૮)
૧૭૭૮ – ૧૭૮૬ રાયધણ (તૃતિય) (પ્રથમ વખત) (જ. ૧૭૬3 - મૃ. ૧૮૧3)
૧૭૮૬ – ૧૮૦૧ પૃથ્વીરાજ (જ. ૧૭૭૪ - મૃ. ૧૮૦૧)
૧૭૮૬ − ૫ ઑક્ટોબર ૧૮૧3 ફત્તેહ મહંમદ (રાજ-પ્રતિનિધિ)
૫ ઑક્ટોબર ૧૮૧3 − ૩૦ ઑક્ટોબર ૧૮૧3 રાયધણ (તૃતિય) (બીજી વખત)
૩૦ ઑક્ટોબર ૧૮૧3 – ૬ નવેમ્બર ૧૮૧૪ હુસેન મિંયા (રાજ-પ્રતિનિધિ)
૬ નવેમ્બર ૧૮૧૪ − ૨૫ માર્ચ ૧૮૧૯ ભારમલજી (દ્વીતિય) (જ. ૧૭૯૮ - મૃ. ૧૮૪૬)
૨૫ માર્ચ ૧૮૧૯ − ૨૬ જુલાઈ ૧૮૬૦ દેશળજી (દ્વીતિય) (જ. ૧૮૧૪ - મૃ. ૧૮૬૦)
૨૬ જુલાઈ ૧૮૬૦ − ૧૯ ડિસેમ્બર ૧૮૭૫ પ્રાગમલજી (દ્વીતિય) (જ. ૧૮3૯ - મૃ. ૧૮૭૫)
૧૯ ડિસેમ્બર ૧૮૭૫ − ૧૫ જાન્યુઆરી ૧૯૪૨ ખેંગારજી (તૃતિય) (જ. ૧૮૬૬ - મૃ. ૧૯૪૨)
૧૫ જાન્યુઆરી ૧૯૪૨ − ૨૬ ફેબ્રુઆરી ૧૯૪૮ વિજયરાજજી (જ. ૧૮૮૫ - મૃ. ૧૯૪૮)
૨૬ ફેબ્રુઆરી ૧૯૪૮ − ૧ જૂન ૧૯૪૮ મદનસિંહજી
પ્રાગમલજી (પ્રથમ) અને ગોડજી (પ્રથમ)

રાયધણના ત્રીજા પુત્ર પ્રાગમલજીએ તેના મોટા ભાઈ રાવાજીની હત્યા કરાવી. તેના બંને મોટા ભાઈઓના પુત્રો ગાદીના ઉત્તરાધિકારી હતા, પણ તેઓ ઘણાં નાના હોવાથી ઈસ. ૧૬૯૭માં રાયધણ (દ્વિતીય)ના મૃત્યુ બાદ ગાદી પર કબ્જો કરવામાં પ્રાગમલજીને કોઈ તકલીફ પડી નહીં. જ્યારે રાવાજીનો પુત્ર કાન્યોજી ઉંમરલાયક થયો ત્યારથી પોતાના જન્મસિદ્ધ હક્ક પાછો લેવાનો તે હંમેશા પ્રયત્ન કરતો રહ્યો. ઈ.સ. ૧૬૯૭માં સત્તા પર આવતાં પ્રાગમલજીએ કછના અખાતના કિનારે આવેલ મોરબી તેની હેઠળ રાખ્યું. મોરબીમાં રહી તેણે કચ્છની ગાદી પર કબ્જો મેળવવાના ઘણાં પ્રયત્નો કર્યા અને છેવટે ઈ. સ. ૧૬૯૮માં સ્વતંત્ર મોરબી રાજ્યની સ્થાપના કરી અને તેના વંશજો મોરબીના રાજા બન્યા.[૧૮]

આજ કાળમાં, હાલાનો છઠ્ઠી પેઢીનો વારસ તમાચીને હાલારમાંથી તગેડી મુકવામાં આવ્યો હતો. તેણે પ્રાગમલજી પાસે આવીને મદદ માંગી. પ્રાગમલજીએ તેના પુત્ર ગોડજી અને મોટી સેનાને તેની સાથે મોકલ્યાં અને તેને હાલારના સિંહાસન પર બેસાડ્યો. અઢાર વર્ષ સફળતા પૂર્વક રાજ કર્યા બાદ ઈ.સ. ૧૭૧૫માં પ્રાગમલજી મૃત્યુ પામ્યા અને તેમનો પુત્ર ગોડજી ગાદી પર આવ્યો. ગોડજીએ ઈ.સ. ૧૭૧૫થી ૧૭૧૮ સુધીના ત્રણ વર્ષ રાજ કર્યું. આ ત્રણ વર્ષોમાં મુખ્ય ઘટના એ હતી કે તેણે પ્રાગમલજીના સૌથી મોટા ભાઈ નોઘણજીના પુત્ર હાલોજીને તેની મુન્દ્રાની જાગીરમાંથી કાઢી નાખ્યો. હાલોજી તેનો પ્રતિકાર ન કરી શકતા અબડાસા ચાલ્યો ગયો. ત્યાં તેણે કોઠારા, કોટ્રી અને નાગરચી જેવા નગરો સ્થાપ્યાં. તેના વંશજો હાલાણી જાડેજા તરીકે ઓળખાય છે.

દેશળજી (પ્રથમ) (૧૭૧૮-૧૭૫૨)

ઈસ. ૧૭૧૮માં ગોડજી (પ્રથમ)ના મૃત્યુ પછી તેનો પુત્ર દેશળજી (પ્રથમ) ગાદીએ આવ્યો. તેના કાળ દરમ્યાન કચ્છની આવક ઘણી ઓછી હતી અને તે રાજા સાદું અને કરકસર ભર્યું જીવન જીવતો. એક મેક પ્રત્યેના આદરને કારાણે તેના સ્થાનીય સરદારો તેને માન આપતાં. મોગલ સલ્તનતના એક ભાગ તરીકે લગભગ સવા સદી સુધી (૧૫૮૩-૧૭૧૮) કોઈ પણ બાહ્ય આક્રમણથી મુક્ત હતું અને જહાંગીરે કરેલી ગોઠવણ અનુસાર મક્કા જનાર યાત્રાળુ મફતમાં કચ્છમાંથી પસાર થઈ શકતાં અને કચ્છને કોઈ ખંડણી ભરવી પડતી ન હતી. દેશળજીની હત્યા પછી મોગલ સૂબાએ મોટી સેના સાથે એક મોઝીમ બેગ નામના પઠાણને કચ્છ મોકલ્યો. તે આ ઐતિહાસિક ગોઠવણથી સંતુષ્ટ થયો અને તેણે સેના પાછી હટાવી દીધી.[૧૯] ઈ. સ. ૧૭૨૧માં નવાબ કેસર ખાને ફરી કચ્છ પર હુમલો કર્યો પણ હાર્યો અને ખુબ ખાના ખરાબી સાથે પીછે હઠ કરી. રાજ્યના મંત્રી દેવકરણ શેઠે યુદ્ધની યોજના ઘડી હતી. આ સાથે રાજ્ય કારભારમાં પણ તેમને પૂર્ણ સ્વતંત્રતા હતી. તેમણે રાજ્યની આવક વધારી અને તેની સીમામાં પણ વધારો કર્યો.[૨૦]

લખપતજી (૧૭૪૧-૧૭૫૨, ૧૭૫૨-૧૭૬૦)
 
કુંવર લખપતજીનું ચિત્ર તેમના ચાર ચાકરો સાથે. આશરે ૧૭૫૦
 
રાઓ લખપતજીની છત્રી, ભુજ

દેશળજીના જીવનનો પાછલો ભાગ તેમના એક માત્ર પુત્ર લખપતજીના હિંસક વલણ અને તિરસ્કારને કારણે તાણમાં વિત્યો. લખપતજી છૂટા હાથે ખર્ચ કરતો અને તેને દેખાડો કરવાનો ખૂબ શોખ હતો, તેથી તેને તેની સત્તાનો ભાગ ન અપાયો અને તેને તેના ખર્ચ પર કાપ મૂકવાની સલાહ આપવામાં આવી. તેને તેના મંત્રી દેવકરણની હત્યા કરાવી અને તેના પિતા અને અન્ય અધિકારીઓને કાવતરાથી કેદમાં રાખ્યા. લખપતજી એ કાર્યવાહક તરીકે રાહકારભાર શરૂ કર્યો અને તેને માંડવી સિવાયના દરેક કિલ્લાઓમાંથી તેના આધિપત્યની સ્વિકૃતી મળી. ઈસ. ૧૭૫૧માં સિત્તેર વર્ષની ઉંમરે રાવ દેશળજી અવસાન પામ્યા અને લખપતજી ગાદીએ આવ્યો.[૨૧] તેને દેવકરણના પુત્ર પુંજાને મુખ્ય મંત્રી નીમ્યો. પણ પાછળથી તેણે રુપશી શાને મુખ્ય મંત્રી બનાવ્યો. રુપશીએ પુંજા અને તેના સગાંવહાલાંઓની સર્વ મિલકત હડપી લીધી.[૨૨] ચાર વર્ષ સુધી (૧૭૪૬-૧૭૫૦) રુપશી શાએ કારભાર ચલાવ્યો અને પુંજાને કેદમાં રખવામાં આવ્યો. ત્યાર બાદ રુપશી અણમાનીતો થઈ ગયો અને પુંજાના હાથમાં ફરી કારભાર આવ્યો અને તેણે રુપશી પર વેર વાળ્યું. છેવટે ફરીથી પુંજાને કાઢી ગોર્ધન મહેતાને કારભારું સોંપાયું.[૨૨]

પુંજા રાઓના એકમાત્ર કાયદેસર પુત્ર ગોડજી (દ્વીતીય) સાથે જોડાયો. જેમ તેના પિતાએ તેના દાદા દેશળજી પાસે રાજકારભરમાં પોતાનો હક્ક માંગ્યો હતો તેવી જ રીતે તેણે ૧૬ વર્ષની વયે તેને પણ પોતાનો હક્ક માંગ્યો. તેને તેની માતા અને પુંજાએ ઉશ્કેર્યો હતો. તેના પિતાએ તે વાત ન માનતા,તેણે પોતાની માતા સાથે ભુજ છોડી મુન્દ્રા ચાલ્યો ગયો. મુન્દ્રા જતા પહેલા પુંજએ તેના પ્રતિસ્પર્ધી ગોર્ધન મહેતાનો વિનાશ કરવાનું નક્કી કર્યું. પાછળથી ગોર્ધન મહેતાને વિશ્વાઘાતના આરોપમાં ફાંસી આપવામાં અવી હતી.[૨૩]

એક સમયે લખપતજીએ મુન્દ્રા ઉપર આક્રમણ કરવા સૈન્ય મોકયું ત્યારે ગોડજી મોરબી ભાગી ગયો, ત્યાંથી સૈન્ય લાવી મુન્દ્રા પર ફરી કબ્જો કર્યો. છેવટે લખપતજીએ તેમના પુત્ર પુંજા સાથે એક શરતે સુલેહ કરી, ગોડજી મુન્દ્રા રાખી શકે પણ તેણે પુંજાને કાઢી નાખવો. ગોડજી એ તે વાત માન્ય કરી અને ઈ.સ. ૧૭૫૮માં ગોડજી નિવૃત્ત થઈ અબડાસાના મોથાળા ગયો.[૨૪] ઈ.સ. ૧૭૬૦માં લખપતજીનું મૃત્યુ થયું.[૨૫] લખપતજીના શાસન દરમ્યાન કચ્છનો નૌકા ઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો. તેના જ સાશન દરમ્યાન કોરી નામે કચ્છનું પોતાનું ચલણ શરૂ થયું. કચ્છની કોરી બ્રિટિશ રાજમાં ઠેઠ ઈ.સ. ૧૯૪૮ સુધી પણ માન્યતા પ્રાપ્ત હતી. સ્વતંત્ર ભારતમાં તે ચલણનો અંત આવ્યો.

ગોડજી (દ્વીતીય) (ઈ.સ. ૧૭૬૦-૧૭૭૮)

તેમના પિતાના મૃત્યુ પછી ૧૭૬૦માં ગોડજી (દ્વીતીય) ગાદીએ આવ્યો. તેણે તેના ભૂતકાળના મદદગાર પુંજાને મંત્રીનું પદ ન આપ્યું, આથી તે સિંધ ગયો.[૨૫] ત્યાં જઈ તેણે સિંધના રાજા મિયાં ગુલામ શાહ કલહોરોને કચ્છ પર આક્રમણ કરવામાં મદદ કરી. મિયાં ગુલામ શાહ રાઓની બહેન સાથે લગ્ન કરવા માંગતો હતો. આ યુદ્ધમાં કચ્છની હાર થઈ અને કચ્છને ઘણી ખુવારી સહન કરવી પડી. રાઓ સાથે ગુપ્ત પત્રવ્યવહાર કરી પુંજાએ પોતાનું મંત્રીપદ પાછું મળવ્યું કલહોરાને સિંધ પાછો મોકલ્યો અને રાઓને તેમની બહેનના લગ્ન બાબતે ખાતરી આપી. કલહોરા સિંધ પાછો ગયો પણ રાવે તેની બહેનને ક્યારે પણ કલહોરા સાથે પરણાવી નહીં. રાવે પોતાના લશ્કર અને કિલ્લાને બળવાન કર્યા બાદ રાવે પુંજાને ફાંસી દીધી. કલહોરાએ ફરી કચ્છ પર આક્રમણ કર્યું પણ છેવટે સમાધાન કરી રાઓના ભાયાત, ખાખરના સરદારની પુત્રી સાથે લગ્ન કર્યા.

કચ્છમાંથી પાછા ફર્યા બાદના સાત વર્ષ પછી ઈ.સ. ૧૭૭૨માં ગુલામ શાહનું મૃત્યુ થયું અને તેઓ પુત્ર સરફરાઝ સત્તાપર આવ્યો. તે ઈ.સ. ૧૭૭૫માં કચ્છમાં આવ્યો. તેનો ઈરાદો ખાવડા સુમરસરના માર્ગે ભુજ પર આક્રમણ કરવાનો હતો. ભુજના સામર્થ્યની કથાઓ સાંભળી તે ગભરાયો અને તેણે પોતાનું સૈન્ય ચોબારી અને કંથકોટ તરફ વાળી. તેણે ઠાકોરની પુત્રી સાથે વિવાહ કર્યા અને આધોઈ પર દંડ નાખ્યો. છેવટે તે સિંધ પાછો ગયો.

તે સમયે (૧૭૭૬-૧૭૮૬), કલહોરા ને તાલપોરા વચ્ચે સિંધમાં સત્તા સંઘર્ષ ચાલુ હતો, આથી સિંધ બે ફીરકાઓમાં વહેંચાયેલું હતું. અબ્દુલ નબ્બી ખાન, ૧૭૭૧માં સત્તા પર આવ્યો. તેણે મીર બીર્જને પોતાનો પ્રધાન નીમ્યો. મીર બીર્જને ખૂબ સત્તા મળતાં, તેના પિતાનું ખૂન કરનારા બે બલૂચીઓએ કચ્છમાં આશ્રય માગ્યો હતો. તેમને સિંધને પાછા સોંપી દેવાનો રાઓએ ઈનકાર કર્યો, આથી સિંધની સેનાએ કચ્છ પર આક્રમણ કર્યું. પણ સિંધની સેનાને મિર્ઝા કુરપા બેગની આગેવાની હેઠળ લડતી કચ્છી સેના સામે હારનો સામનો કરવો પડ્યો. તે પછી ટૂંક સમયમાં ગોડજી બિમાર પડ્યો, કહે છે કે તેને કોઢ થયો હતો અને ચુમલીસ વર્ષની વયે તે મૃત્યુ પામ્યો. તેને બે પુત્ર હતાં રાયધણ અને પૃથ્વીરાજ. રાયધણ અસત્તા પર આવ્યો અને તેણે તેની બહેનને બરોડા રાજના દામાજી ગાયકવાડ સાથે પરણાવી હતી.[૨૬]

રાયધણજી (તૃતીય) (૧૭૭૮-૧૭૮૬)

ઈ.સ. ૧૭૭૮માં રાયધણજી (દ્વીતીય) ગાદી પર આવ્યો. તે સમયે તેને ઉંમર પંદર વર્ષની હતી. રાજ્યમાં અરાજકતા હતી, યુદ્ધના ખર્ચાને કારણે રાજ્યનો ખજાનો તળિયે ગયો હતી. તેની માતાના અગ્રહથી તેણે આગળના રાજમાંના કારભારી દેવચંદને મુખ્ય મંત્રી બનાવ્યા. એક દિવસ રાઓની અંગરક્ષકોએ શંકાને કારાણે દેવચંદની અટક કરી અને તેને ફાંસીએ ચડાવ્યો. ત્યાર બાદ રાઓની માતા ટૂંક સમયમાં મૃત્યુ પામી અને રાજ્યમાં ફરી અરાજકતા ફેલાઈ.[૨૭]

દેવચંદના મૃત્યુ પછી રાવે ભુજના રાજ્યપાલ સીદી મેરીચને પ્રધાન બનાવ્યો. તેણે રાવની હત્યાનો પ્રયાસ કર્યો. જેના પરિણામે સીદી સૈનિકોને દેશવટો અપાયો.[૨૮] રાયધણની વર્તણૂંકને કારણે સૌ તેને નાપસંદ કરતાં હતાં. તેના મંત્રી વાઘા પારેખે તેની હત્યા કરાવવાનો પ્રયત્ન કર્યો પણ તે બચી ગયો. આ સાથે રામજી ખવાસ હેઠળ માંડાવી, મેઘજી શેઠ હેઠળ અંજાર અને મુન્દ્રા, લખપત અને અન્ય નગરો સ્વતંત્ર બન્યા.[૨૯] મિયાણાંઓ બલિયારીમાં મોટાં જૂથોમાં જમા થવા લાગ્યાં અને તેમણે દરેક દિશામાં લૂંટ ચલાવી.[૩૦] રાયધણ (તૃતિય)ને ધર્માંધ બની ગયો હતો અને લોકોને બળજબરીથી ઈસ્લામમાં વટલાવતો હતો આને પરિણામે અંજારના મેઘજી શેઠની આગેવાની હેઠળ જમાદારોનો બળવો થયો અને રાયધણ (તૃતીય)ને પદભ્રષ્ટ કરવામાં આવ્યો.[૩૦]

પૃથ્વીરાજજી અને ફતેહ મોહમ્મદ (ઈ.સ. ૧૭૮૬-૧૮૦૧)

જમાદારના બળવાના આગેવાનો અમેન મેઘજી શેઠે, રાયધણના નાના ભાઈ પૃથ્વીરાજને રાજપદ માટે તૈયાર કર્યો. પૃથ્વીરાજે રાજ્યકારભાર ચલાવવા બાર સભ્યોની એક પરિષદનું ગઠન કર્યું જે બારભાઈની જમાત તરીકે ઓળખાઈ. શરૂઆતમાં આ પરિષદ સફળ રહી પણ અંતે તેમાં મદભેદ થયા. ત્યાર બાદ ફતેહ મોહમ્મદ જમાતમાં એક સભ્ય તરીકે દાખલ થયા. તેણે જાડેજા સરદારો અને તેની સૈન્યમાં લોકપ્રિયતાની મદદ વડે જમાતના દોસલ વેણની વગનો અંત આણ્યો. ત્યાર બાદ દોસલ વેણ મુન્દ્રા ગયો અને પૃથ્વીરાજને ફરી તેના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કર્યો.[૩૦] ઈ.અ ૧૭૮૬થી ૧૮૦૧ સુધી ફતેહ મહમદે કચ્છનો કારભાર ચલાવ્યો. તેણે કચ્છને ફરી એક છત્ર નીચે આણ્યું અને અરાજકતા દૂર કરી. રાજ્યની સમૃદ્ધિ વધી અને તે લોકોમાં લોકપ્રિય બન્યો.[૩૧] જ્યારે પૃથ્વીરાજ પુખ્ત વયે પહોંચ્યો ત્યારે તેને હંસરાજની મદદ વડે ફતેહ મોહમ્મદને પદ છોડવા ફરજ પાડી ત્યારે તેણે અંજાર અને ભચાઉની જાગીરદારીને શરતે પ્રધાન પદ છોડ્યું અને ત્યાર બાદ અને હંસરાજને પ્રધાન બન્યો.[૩૨]

 
મહારાઓ લખપતજીનો ઓરડો, આયના મહેલ, ભુજ
રાયધણજી (તૃતીય), બીજો કાર્યકાળ (૧૮૦૧-૧૮૧૩)

પૃથ્વીરાજના મૃત્યુ પછી રાયધણે (તૃતીય) પ્રધાન હંસરાજના હાથમાંથી સત્તા છીનવી લીધી. ઈ.સ. ૧૮૦૨માં ફરીથી હંસરાજે તેને નિયંત્રણમાં મુક્યો. ફતેહ મોહમ્મદના અનુયાયી અસકરણની મદદ વડે તેણે અંજારને ઘેરો ઘાલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને તેણે માંડવી નાસવું પડ્યું. અસકરણે તેને દગો દીધો અને છેવટે અસકરણે રાવને પ્રધાનપદની શરતે મુક્ત કર્યો.[૩૩]

ફતેહ મોહમ્મદનો કરભાર (ઈસ.૧૮૦૪-૧૮૧૩)

જ્યારે રાયધણે ૧૮૦૪માં અંજાર પર હુમલો કર્યો ત્યારે ફતેહ મોહમ્મદે તેને ફરીથી સત્તા પરથી દૂર કર્યો અને પોતે સત્તા હાથમાં લીધી. તેણે સ્થાનીય સરદાર પર આક્રમણ કર્યું અને તેની પાસેથી બળજબરીથી પૈસા કઢાવ્યા. તેણે માંડવી પર હુમલો કર્યો. ઈ.સ. ૧૮૦૯માં પ્રાચીન પ્રધાન હંસરાજનું મૃત્યુ થતાં માંડવી પણ તેને તાબે થયું. ત્યાર બાદ કાયદો વ્યવસ્થા સ્થિર કરવા અને કર ઉગરાવવા વાગડ ગયો.[૩૪]

ફતેહ મોહમ્મદે અરબી સમુદ્રમાં વધતી ચાંચીયાગીરી અને વાગડ ક્ષેત્રના બહારવટીયા સંબંધે બ્રિટિશ એજન્ટ જેમ્સ મેક મર્ડો સાથે વાટાઘાટો કરી.[૩૫] ઈસ. ૧૮૧૧માં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તીડનો હમલો થયો અને ૧૮૧૨માં દુકાળ પડ્યો. તેની પછીના વર્ષે કચ્છમાં મહામારી (રોગચાળો) ફેલાયો. છેવટે ૫ ઓક્ટોબર ૧૮૧૩ના દિવસે ફતેહ મોહમ્મદ મૃત્યુ પામ્યા અને તે પછી તુરંત ૩૦ ઓક્ટોબર ૧૮૧૩ના દિવસે રાયધણ (તૃતીય) પણ મૃત્યુ પામ્યા.[૩૬]

ભારમલજી (દ્વીતીય) (ઈ.સ. ૧૮૧૪-૧૮૧૯)

ફતેહ મોહમ્મદનું મૃત્યુ થતાં તેના બે પુત્રો ઇબ્રાહિમ મિંયા અને હુસેન મિયાંએ બાર ભાયાતની જમાતમાં સ્થાન મેળવ્યું. તે પરિષદની દોરવણી તેના પિતાના સલાહકાર જગજીવન મહેતા નામના નાગર બ્રાહ્મણ કરતા હતા. રાવ રાયધણના મૃત્યુને કારણે વધારે જટીલતા આવી.[૩૭][૩૮]

૧૩મી જાન્યુઆરી ૧૮૧૪ના દિવસે બાર ભાયાતની જમાતની સિફારસ અનુસાર માનસિંહજીને મહારાજાધિરાજ મિર્ઝા મહારાઓ ભારમલજી (દ્વીતીય)ના નામે સત્તાધીશ બનાવવામાં આવ્યા. અરબી સમુદ્રમઆંની ચાંચિયાગીરી અને વાગળ પ્રાંતમાં બહાવટીયાના ત્રાસનો અંત આણવાના બદલામાં અંગ્રેજોની અમુક માંગણીઓ જણાવવા બ્રિટિશ સરકારના એજન્ટ કેપ્ટન મૅકમર્ડો ૧૮૧૪માં મોરબીથી ક્ચ્છ ગયો[૩૯] ભારમલે (દ્વીતીય) એ ૧૮૧૫માં રાજ્ય વ્યવસ્થા પોતાના હાથમાં લીધી અને અંજાર, ભચાઉ, ભાદરગઢ અને કંથકોટની જાગીર સાથે હુસેન મિંયાએ નિવૃત્તિ લીધી.[૪૦]

મિંયા હુસેને બ્રિટિશ સરકારની શરણાગતિ સ્વીકારવાની મનાઈ કરતાં ૨૫ ડિસેમ્બર ૧૮૧૫ના દિવસે બ્રિટિશ સેનાએ કર્નલ ઈસ્ટના નેતૃત્વ હેઠળ વડોદરાના ગાયકવાડની સેના સાથે અંજાર પર હુમલો કર્યો. તેમણે પહેલા અંજારના કિલ્લા ઉપર અને પછી તુણાના કિલ્લા પર હુમલો કર્યો. ભુજ તરફ આગાળ વધતા આ સેનાએ ૩ જાન્યુઆરી ૧૮૧૬ના લાકોન્દમાં પડાવ નાખ્યો હતો. ૧૪મી જાન્યુઆરી ૧૮૧૬ના દિવસે રાવ ભારમલ (દ્વીતીય) એ શરણાગતિ સ્વીકારી અને કેપ્ટન મૅકમર્ડોની ભુજના બ્રિટિશ રેસિડેંટ અને અંજારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી.[૪૦] સાત વર્ષ સુધી અંજાર જિલ્લો સીધો બ્રિટિશ સેનાના તાબામાં રહ્યો હતો. ૨૫ ડિસેમ્બર ૧૮૨૨ના દિવસે એક કરાર નામા હેઠળ અંજારને પાછું કચ્છ રાજ્યમાં જોડી દેવામાં આવ્યું.[૪૧]

અમુક જાડેજા સરદારોની મદદ વડે ૨૫ માર્ચ ૧૮૧૯ના દિવસે બ્રિટિશ સેનાએ ભુજ પર ચઢાઈ કરી અને રાવ ભારમલ દ્વિતિયને પદભ્રષ્ટ કર્યો.[૪૨]

બ્રિટિશ અધિરાજપદ હેઠળ કચ્છ રાજ્ય (ઈ.સ.૧૮૧૯-૧૯૪૮) ફેરફાર કરો

 
પ્રાગમલજી (તૃતીય) દ્વારા બંધાવાયેલ પ્રાગમહેલનો દરબાર હૉલ
 
વિજયરાજજી દ્વારા માંડાવીના દૈયા કાંઠે બંધાવાયેલ વિજય વિલાસ મહેલ, રાઓના વારસદારોનું હાલનું નિવસ સ્થાન
દેશળજી દ્વિતિય (૧૮૧૯-૧૮૬૦)

ભારમલજી દ્વિતીયના કાચી વયના પુત્ર દેશળજી (દ્વીતીય)ને ૧૯ એપ્રિલ ૧૮૧૯ના દિવસે ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યો. તે પુખ્ત વયના થાય ત્યાં સુધી રાજ્ય વહીવટ કેપ્ટન મૅકમર્ડોની આગેવાની હેઠળ બનેલી જાડેજા સરદારોની એક પરિષદને સોંપાયો.[૪૩][૪૪][૪૫] રાજકારભાર માટે કચ્છ એજન્સીની સ્થાપના કરવામાં આવી. ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે વિનાશકારી ભૂકંપ આવ્યો અને જાનમાલનું ઘણું નુકશાન થયું.[૪૬] ૧૮૨૨માં અંજાર કચ્છને પરત સોંપાયું. ૧૮૨૩, ૧૮૨૫ અને ૧૮૬૦માં દુકાળનો સામનો કરવો પડ્યો. ૧૮ વર્ષની નાની ઉંમરે દેશળજીએ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉપાડી અને સિંધના આક્રમણકારીઓને હરાવ્યો પાડ્યા. તેના શાસન દરમ્યાન આફ્રિકા, ઓમાન અને ખાસ કરીને ઝાંઝીબાર સાથે દરિયાઇ વેપાર ઘણો સુધાર્યો. ધીમે ધીમે અને ક્રમશ: કચ્છમાં ઔદ્યોગિકરણના વળતા પાણી થયા. ૨૬ જુલાઈ ૧૮૬૦ના દિવસે દેશળજી મૃત્યુ પામ્યો. તેના પછી તેનો પુત્ર પ્રાગમલજી ગાદીએ આવ્યો.[૪૭][૪૮][૪૯]

પ્રાગમલજી (દ્વીતીય) (૧૮૬૦-૧૮૭૫) અને ખેંગારજી (તૃતીય) (૧૮૭૬-૧૯૪૨)

૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂવાર્ધ દરમ્યાન પ્રાગમલજી (દ્વીતીય) અને ખેંગારજી (તૃતીય)ની આગેવાની હેઠળ કચ્છે સારો વિકાસ સાધ્યો. તેમણે રાજ્યમાં શિક્ષણ, ન્યાયતંત્ર અને કારભાર સંબંધી બદલાવો પાગમલજી એ શરૂ કર્યા અને ખેંગારજીએ તેમને આગળ વધાર્યા. તેમના કાળમાં કચ્છ સ્ટેટ રેલ્વે, કંડલા બંદર અને ઘણી શાળાઓનો પાયો નખાયો. ખેંગારજી તૃતીય કચ્છ પર સૌથી લાંબો સમય રાજ્ય કરનાર રાજા બન્યા. અમુક વર્ષો સુધી ખેંગારજી (તૃતીય)એ વિક્ટોરિયા રાણીના અઈડી-દે-કામ્પ તરીકે પણ સેવા આપી. તેમના કાળ દરમ્યાન કચ્છ રાજ્ય ૧૭ બંદૂકોની સલામી ધરાવતા રાજ્યને દરજ્જે પહોંચ્યો. ૧૮૬૫માં પ્રાગમલજીએ પ્રાગ મહેલ બંધાવવાની શરૂઆત કરી.[૫૦] રાજાને પહેલાં જામ તરીકે સંબોધવામાં આવતો, બ્રિટિશ કાળમાં તે બદલી મહારાઓ થયો.[૫૧]

વિજયરાજજી (૧૯૪૨-૧૯૪૭)

ખેંગારજી તૃતીય પછી તેમના પુત્ર વિજયરાજજી ૧૯૪૨માં સત્તા પર આવ્યા અને ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી શાસન કર્યું. તેમના શાસન દરમિયાન કચ્છ હાઇ કોર્ટની સ્થાપના અને ગામોની સમિતિની રચના થઇ હતી. પાણીપુરવઠા અને ખેતીની વ્યવસ્થાનો વિકાસ તેમના ૬ વર્ષના શાસનમાં થયો હતો. તેમણે સિંચાઇની વ્યવસ્થા પર ખૂબ રસ દાખવ્યો હતો. વિજયસાગર તળાવ અને અન્ય ૨૨ બંધો તેમના શાસનમાં બંધાયા હતા.[૫૨] ૧૯૪૫માં પોતાની બસ વાહન વ્યવસ્થા શરૂ કરતાં કચ્છ રાજ્ય હૈદરાબાદ અને ત્રાવણકોર પછીનું ત્રીજું એવું રાજ્ય બન્યું હતું.[૫૩]

આઝાદી પછી (૧૯૪૮-હાલમાં) ફેરફાર કરો

 
કચ્છ[હંમેશ માટે મૃત કડી] બોમ્બે પ્રેસિડેન્સીના ભાગ તરીકે, ૧૯૦૯
 
૧૯૯૮ના[હંમેશ માટે મૃત કડી] વાવાઝોડાની માઇક્રોવેવ છબી
 
૨૦૦૧ના[હંમેશ માટે મૃત કડી] ધરતીકંપની અસરો. પીળો તારો કેન્દ્ર દર્શાવે છે.

૧૯૪૭માં ભારતની આઝાદી પછી સિંધ અને કરાચી બંદર પાકિસ્તાનના ભાગે ગયું. ભારત સરકારે કરાચીની અવેજીમાં પશ્ચિમ કાંઠે નવું આધુનિક બંદર કંડલાનું બાંધકામ કર્યું.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતની આઝાદી પછી ભારતમાં ભળવાવાળા રાજ્યોમાં કચ્છ સૌપ્રથમમાંનું એક હતું. વિજયરાજજી ત્યારે તબીબી સારવાર માટે લંડન હતા, તેમના હુકમ મુજબ મદનસિંહજીએ કચ્છના વિલિનિકરણ દસ્તાવેજ ઉપર ૬ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.[૫૪] ૨૬ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ વિજયરાજજીનું અવસાન થતા મદનસિંહજી ટૂંકા સમય ગાળા માટે ૪ મે ૧૯૪૮ સુધી ભારતમાં કચ્છનું સંપૂર્ણ વિલિનિકરણ થાય ત્યાં સુધી કચ્છના મહારાઓ બન્યા હતા.[૫૫] ૧૯૪૮માં કચ્છ ભારત સંઘમાં ભળતા તેને અલગથી કચ્છ રાજ્ય જાહેર કરાયું હતું. ૧ જૂન ૧૯૪૮ના રોજ છોટાલાલ ખોવશાલદાન દેસાઈ પ્રથમ મુખ્ય મંત્રી બન્યા હતા. ૧૯૫૨માં તેમના પછી સંભાજીરાવ અપ્પાસાહેબ ઘાટગે પદ પર આવ્યા હતા અને ૩૧ ઓક્ટોબર ૧૯૫૬ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ બોમ્બે સ્ટેટની પુન:રચના સમયે કચ્છ રાજ્યને તેમાં સમાવીને કચ્છ જિલ્લાની સ્થાપના થઇ હતી. મહાગુજરાત આંદોલન પછી બોમ્બે સ્ટેટનું ભાષા આધારિત રાજ્યોમાં વિભાજન થયું હતું.[૫૬] બોમ્બે સ્ટેટના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતો પ્રદેશ કચ્છની સાથે ગુજરાત રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યો.[૫૭] ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા કચ્છના વિસ્તાર બાબતે વિવાદ થયો હતો. ભારત અને પાકિસ્તાન બંને સમગ્ર 3,500 sq mi (9,100 km2) વિસ્તાર પર દાવો કરતા હતા તેથી આંતરરાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી હતી અને 350 sq mi (910 km2) વિસ્તાર પાકિસ્તાનને અને બાકીનો પાકિસ્તાનના ભાગે ગયો હતો. ૧૭ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ મદનસિંહજીનું અવસાન થયા પ્રાગમલજી તૃત્રિય તેમના સાથે વંશના વડા બન્યા હતા.

૧૯૯૮માં કંડલા બંદર અને કચ્છના અન્ય સ્થળોએ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું.[૫૮] ૧૯૯૯માં કારગિલ યુદ્ધ પછી એટલાન્ટિક ઘટનાને પગલે કચ્છમાં ભારે તણાવ સર્જાયો હતો. ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપનું કેન્દ્ર કચ્છ હતું અને તેમાં આશરે ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ થયા હતા અને ભારે નુકશાન થયું હતું. ત્યાર પછી કચ્છમાં ઝડપથી ઔદ્યોગિકરણ અને બંદર, ઉર્જા, ઉત્પાદન અને પ્રવાસન ક્ષેત્રોમાં વિકાસ થયો છે.[૫૯]

સંદર્ભ ફેરફાર કરો

  1. Kaushik, Himanshu (૨૪ જાન્યુઆરી ૨૦૧૬). "Dinosaur limb fossil found in Kutch". The Times of India. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૬.
  2. McIntosh, Jane R. (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. પૃષ્ઠ ix. ISBN 9781576079072.
  3. ૩.૦ ૩.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 129.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 130.
  5. ૫.૦ ૫.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 131.
  6. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 131-132.
  7. Kutch by India. Superintendent of Census Operations, Gujarat. Director, Government Print. and Stationery, Gujarat State. ૧૯૬૪. પૃષ્ઠ ૫૩. Vagham Chavdagadh or Patgadh, (Taluka Lakhpat) At this place are the ruins of the old city of Vagham Chavda who is said to have been killed in the thirteenth century by his nephews, Mod and Manai
  8. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 132.
  9. ૯.૦ ૯.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 133.
  10. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 133-134.
  11. Kutch rulers
  12. ૧૨.૦ ૧૨.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 134.
  13. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 134-135.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 135.
  15. The Paramount Power and the Princely States of India, 1858-1881 - Page 287
  16. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 135-136.
  17. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 136.
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 137.
  19. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 138.
  20. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 138-140.
  21. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 140.
  22. ૨૨.૦ ૨૨.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 141.
  23. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 141-142.
  24. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 142.
  25. ૨૫.૦ ૨૫.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 143.
  26. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 146.
  27. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 147.
  28. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 147-148.
  29. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 148.
  30. ૩૦.૦ ૩૦.૧ ૩૦.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 149.
  31. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 150.
  32. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 151.
  33. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 151-152.
  34. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 152-153.
  35. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 154.
  36. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 155.
  37. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 155-156.
  38. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 156.
  39. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 157.
  40. ૪૦.૦ ૪૦.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 158.
  41. "Glimpse of Anjar, Kutch". મૂળ માંથી 2011-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-18.
  42. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 162.
  43. [૧] Bhuj:art, architecture, history.
  44. "Jadeja Rulers of Kutch : Deshalji II (1814-1860)". મૂળ માંથી 2011-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-19.
  45. "Kutch State : Maharao DESALJI BHARMALJI II (Daishalji) 1819/1860". મૂળ માંથી 2011-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-19.
  46. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 163.
  47. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 165.
  48. [૨]
  49. The presence of a glass factory and good breed of horses led Maharao Deshalji II (1819-1960) to maritime long distance trade with Zanzibar and most of all with Sultan of Oman. Makran, Oman, and Zanzibar: three-terminal cultural corridor in the western By Beatrice Nicolini, Penelope-Jane Watson.
  50. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 166-172.
  51. Princely states of India: a guide to chronology and rulers - Page 54
  52. The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western ... By Lyla Mehta. 2005. p. 87,88.
  53. State Transport Undertakings: Structure, Growth and Performance by P. Jagdish Gandhi - 1998- Page 37.|Hyderabad (1932) and Travancore (1938) which owned State enterprises, operated fleets of passenger buses. The small State of Kutch joined then in 1945.
  54. [3] International Law Reports Volume 50
  55. Cutch
  56. "Sons of soil: born, reborn". The Indian Express. ૬ ફેબ્રુઆરી ૨૦૦૮. મેળવેલ ૧૨ નવેમ્બર ૨૦૦૮.
  57. "Gujarat". Government of India. મૂળ માંથી ૧૫ જાન્યુઆરી ૨૦૦૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૦૮.
  58. World Ship Society (૨૦૦૦). Marine News. World Ship Society. પૃષ્ઠ ૫૪. મેળવેલ ૪ જૂન ૨૦૧૨.
  59. "Kutch rises like phoenix from quake rubble". Hindustan Times  – via HighBeam (લવાજમ જરૂરી). ૨૬ જાન્યુઆરી ૨૦૦૬. મૂળ માંથી 2016-03-12 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુારી ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)